અમદાવાદી : અવિનાશ વ્યાસ

 

murut pol

( અમદાવાદની પહેલી પોળ )

 અમે અમદાવાદી, અમે અમદાવાદી.
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,
 અમે અમદાવાદી.

અમદાવાદના જીવનનો સૂણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલાં બોલે મિલનુ ભૂંગળુ પછી પુકારે કૂકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતાં, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરનાં ‘નગદેશ્વર’નો રસ્તો કયાં છે ઢૂંકડો,
મિલ મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી,
અમે અમદાવાદી.

સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદી, મૂડીવાદી.
નહિ સમિતિ,  નહિ કમિટિ, નહિ સોશ્યાલિસ્ટ કે જ્ઞાતિવાદી,
નહિ વાદની વાદવિવાદી, ‘M’ વિટામિનવાદી.
 અમે અમદાવાદી.

ઊડે હવામાં ધોતિયું ને પ્હેરી ટોપી ખાદી,
ઊઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓ તો સૂકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
 અમે અમદાવાદી.

હોય ભલે ને સક્કરમી કે હોય ભલે અક્કરમી,
રાખે ના ગરમીની મોસમ કોઈની શરમાશરમી.
પણ ઠંડીમાં બંડીને ભરમે ના રહેવાનું ભરમી,
ચોમાસાનાં ચાર ટીપાંમાં ધરમ કરી લે ધરમી.
આવી તો ભાઈ બહુ કહેવાની, આ તો કહી નાંખી એકાદી.
અમે અમદાવાદી.

પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં ઢળી,
શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી,
અરે મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચૂંકી ગલી-ગલીમાં વળી વળી ને ભલી,
ભાઈ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,

અમે અમદાવાદી, ભાઈ અમે અમદાવાદી.
જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી,

 અમે અમદાવાદી.

- અવિનાશ વ્યાસ

 

અમદાવાદની વાત કરીએ અને અવિનાશભાઈનું આ ગીત યાદ ના કરીએ તો કેમ ચાલે ? આ ગીતમાં તેમણે અમદાવાદનું આબેહૂબ વર્ણન કર્યું છે. જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ પોળનું મૂહૅુત કર્યું તે આજે પણ જૂના શેરબજારનાં મકાનની બરાબર સામે અડીખમ ઊભી છે. અમદાવાદની પોળોનો ઈતિહાસ જાણવા લોકો વિદેશથી પણ આવે છે.

* પોળ શબ્દ સંસ્કૃત ‘પ્રતોલિ’ પરથી આવ્યો છે, જેનો અર્થ દરવાજો વાળો મહોલ્લો થાય છે. * ઓળ એટલે હાર કે પંક્તિ દુકાનોની હાર એટલે કે બજાર જેમકે આજનું ચાંલ્લાઓળ  * અમદાવાદની રચના તે સમયની ગુજરાતની રાજધાની પાટણ શહેર મુજબ કરવામાં આવી છે.

  

.

Pinki on March 10th, 2010 | File Under અવિનાશ વ્યાસ, ગીત | No Comments -

વાત મારી : અંકિત ત્રિવેદી

 

વાત મારી વિસ્તરી છે ત્યારથી,
શ્વાસમાં એને ભરી છે ત્યારથી.

આપણે છૂટાં પડયાં ને જ્યારથી,
સાંજ મારી નીતરી છે ત્યારથી.

તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી.

ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા, તમારી ખાતરી છે ત્યારથી.

ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી.

સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી.

એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી.

- અંકિત ત્રિવેદી

 

અંકિત ત્રિવેદીની તરવરતી કલમે માણીએ તેમની વિસ્તરેલી વાતને.  અને, હજુ પણ વિસ્તરો તેવી જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. :)  

 

.

Pinki on March 9th, 2010 | File Under અંકિત ત્રિવેદી, ગઝલ | 7 Comments -

અબળા : પ્રીતમ લખલાણી

 

stri

એના દેહને

ચિતા પર અગ્નિદાહ દેવા મૂકાશે,

ત્યારે વ્યથિત અગ્નિ ચીસ પાડી ઊઠશે.

અરે ! આને હું શું બાળું ?

આ તો પહેલેથી જ બળી ચૂકેલ છે.

અથવા

તેના દેહને દફનાવવા એકાદ ખાડામાં ઉતારવામાં આવશે ત્યારે

ચિચિયારી પાડતી ધૂળ ઊડી જતાં કહેતી જશે,

અરે ! આને હું શું દફનાવું ?

આ તો અહીં આવતાં પહેલાં જ

ક્યારની ધૂળ થઈ ગઈ હતી.

કે પછી

તેના દેહને

ગીધડાં સામે ખુલ્લો મૂકી દેવાશે ત્યારે

અત્યાચાર, અન્યાય અને લાચારી તળે

ચૂંથાઈ ગયેલા દેહને જોઈ

આક્રોશ વ્યકત કરતી ગીધડાંની આંખ

પૂછી બેસશે એક પ્રશ્ન કે જે દીકરી,બહેન,પત્ની અને માતાનો

દરજ્જો ભોગવતી હતી તે

શું ક્યારેય

સ્ત્રીની જેમ જિંદગી જીવી શકી છે ખરી ?

- પ્રીતમ લખલાણી

 

માત્ર સ્ત્રી હોવાનાં કારણે ભોગવવી પડતી તકલીફોને શબ્દોમાં વ્યકત કરવી પણ મુશ્કેલ છે.સમાજે (પુરુષ માત્રની વાત નથી, વ્યાપક અર્થમાં)  સ્ત્રીને શક્તિ સ્વરુપે પૂજી છે તો તેને પગ નીચે પણ કચડી છે. કદાચ આથી જ નિર્મિશ ઠાકરે તેને અશ્રુનું ઘર કહી છે. પણ એક સ્ત્રી  એક માણસ તો છે જ જે અરુંધતીનો તારો બનવા તેને પ્રેરે છે.  વેદોમાં વર્ણવેલ નારીત્વ – સ્નેહ, કરુણા, ધીરજ, લજ્જા, ઉદારતાને આજનાં દિને વંદન.

પાંડુરંગ શાસ્ત્રી કહે છે એમ,નારીત્વનાં આ લક્ષણો જો પુરુષમાં હોય તો તે પણ વંદનીય જ છે. સ્ત્રી કે પુરુષ મનુષ્ય તરીકે દોષી સાબિત થઈ શકે પણ નારીત્વ તો વંદનીય જ છે. જેવી રીતે  પુરુષનાં ગુણ વીરતા, બહાદુરી, ચતુરાઈ ઈત્યાદિ વંદનીય છે.

 

.

Pinki on March 8th, 2010 | File Under અછાંદસ, પ્રીતમ લખલાણી | 11 Comments -

Technical Problem

 

Dear Friends,

Due to some technical problem, still site is not working properly.  It will take only one day more, and from Monday we will be with you with new geets and gazals.

Sorry for inconvenience, just bear with us.

WebMehfiL

 

.

Pinki on March 6th, 2010 | File Under Uncategorized | 1 Comment -

એકે લાલ દરવાજે

 

tran darwaja ahmedabad

 

એકે લાલ દરવાઝે(દરવાજે) તંબુ તોણિયા(તાણિયા) રે લોલ.

અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી,
માણેકનાથની મઢી, ગુર્ઝારી(ગુર્જરી) જોવા હાલી,
કે વઉ(વહુ) તમે નો (ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.

સીદી સૈયદની જાળી, ગુર્જરી જોવા હાલી,
કાંકરિયાનું પાણી, ગુર્જરી જોવા હાલી,
કે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.

ત્રણ દરવાજા માંહી, મા બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે, ગુર્જરી જોવા હાલી
હે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.

 

હોળી-ધૂળેટીનાં રંગોત્સવમાં રંગાઈ, વળી આજે વાત કરીશું અમદાવાદની.. !  ગીત તો એ જ જૂનું અને જાણીતું….  ગુજરાતી ચલચિત્ર ‘સંતુ રંગીલી’માં આવેલું આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયેલું અને તેનાં શબ્દોએ ગરવી ગુજરાતણ પર એવાં કામણ કીધેલાં કે કેટલાંય વરસો સુધી આ ગરબા વિના નવરાત્રિ પૂરી જ ના થતી.  તો આ ગીતમાં વણી લીધેલી વાતો આવનારા સમયમાં, અમદાવાદનો ઐતિહાસિક પુરાવો પણ બની રહેશે.

શબ્દોમાં સચવાયેલ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો એક રેખતો હાલમાં જ ગુજરાતસમાચારમાં જોરાવરસિંહ જાદવની કોલમમાં પ્રકાશિત થયેલો. જેમાં,  બસો ત્રણસો વર્ષ પૂર્વેના અમદાવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. ( રેખતા વિષે વધુ વાંચો )

અમદાવાદ કે અંદર હૈ દરવાજા પંદર
બીચમેં માણેક કા ચોક, બાવા ગોદડકા ગોંખ
બનિયા બેકતે હૈ માલ, સાડી ધોતિયું રસાલ
વાંસે આગે જાવે, પાનકોર કા નાકા આવે.
માલ મેવા બેચે, સૂર સારંગી ખેંચે
કીસબણ ગાણાં ગાવે, સૂનકે આગે જાવે
તીન દરવાજા આવે, બીચ કારંજકા ચોક,
ભદ્રકાલીકા ગોંખ, વાં કેદિયું કા કામ
વોહી ઉનકા મુકામ, ગારદી પહેરા ભરતે
ખૂબ ચોકી કરતે, ઐસા અમદાવાદ
મૈને દેખી ગુજરાત, જાત મહાજનકી સહી
બાત જુબને કહી, થૈયા થૈ તાથૈ તાથૈ (૩)

૧૮૫૦ સુધી, ગીતમાં ગાયેલ,  લાલદરવાજાનું અસ્તિત્ત્વ જ ન હતું.  પણ, તે સમયે બાર મુખ્ય દરવાજા અને બે કિલ્લા – ભદ્રનો કિલ્લો અને ગાયકવાડનો કિલ્લો તે બન્નેને અનુક્રમે છ અને પાંચ દરવાજાઓ હતાં.  જેમાં હાલનાં લાલ દરવાજા પાસે, કિલ્લો અને કોટ હતો પણ તેની એકેય ઈંટ હાલ મળતી નથી.  આવી જ અન્ય રસપ્રદ વાતો.

*સીદી સૈયદની જાળી- ભદ્રનો કિલ્લો અને દીવાલ હતી તે તોડીને મસ્જિદ બનાવવામાં આવી.   *કાંકરિયા તળાવ- તેનું જૂનું નામ કુત્બી હોજ હતું પણ ખૂબ જ કાંકરા નીકળતાં, તે કાંકરિયા તળાવ તરીકે જાણીતું થયું.    *દિલ્હી દરવાજા- તે દરવાજાથી દિલ્હી જવાતું આથી તે દિલ્હી દરવાજા તરીકે ઓળખાતો.    *શાહપુર દરવાજા- હાલમાં તેનું અસ્તિત્ત્વ નથી, એન્જિનીયર ભાઈકાકાએ (લૉ-ગાર્ડનમાં ભાઈકાકા ભુવન છે તે)  શાહપુર વિસ્તારનો કોટ અને દીવાલ તોડી તે રસ્તાને પહોળો કર્યો.

 

.

Pinki on March 2nd, 2010 | File Under ગીત | 2 Comments -

હોરી-ગઝલ : સુધીર પટેલ

holi2 

પ્રગટ હો ક્રિષ્ન જબ ખેલન કો હોરી,
ભયે રાધા યહાઁ હર કોઈ છોરી !

ભીગે પૂરણ ભીતર હર એક ગોપી,
લલન પિચકારી દે ઝાઝી કે થોરી !

ચલે પહને નઈ ખુશ્બૂ ઝકોરેં,
રહી સઘરી ગલી-કુંજો ય ફોરી !

કરે કારી કોયલ જબ કૂક મીઠી,
વસંતો ડાર ડારે ગઈ મહોરી !

બજાવી બંસી છિપ જાયે નજર-સે,
કરે કાન્હા સભી પર શિરજોરી !

ઉડારે જબ છબીલો છોળ ‘સુધીર’,
સ્વયં ભીગું, ગઝલ ભી રહે ના કોરી !

- સુધીર પટેલ

 

 સૌ મિત્રોને હોળી-ધૂળેટીની ગુલાલી અને રંગબેરંગી શુભેચ્છાઓ.

 

.

Pinki on February 28th, 2010 | File Under ગઝલ, વસંત, સુધીર પટેલ | 16 Comments -