ફ્લેટને ત્રીજે માળેથી
તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો,
નીચે આવ્યો તન ઉપરને તુર્ત ફેલાઈ જાતાં,
પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રુંધાઈ જાતાં.
શું છે.. શું છે ? અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,
છાંટ્યું કો’કે તરત જળ ને ઉઘડ્યો એક ચ્હેરો !
( ગેલેરીથી ઘટઘટ પીતો દૃશ્ય હું ભવ્યતાનું ! )
ઊઠ્યો એહ ! કડક હલકી ગાળ દેવા ફરીને ,
નાઠો હું તો ઘર મહીં, ડરી ઈચ્છતો ઊડવાને !
( નીચે પેલો કર ઘસી રહ્યો, ઈચ્છતો ઝૂડવાને ! )
ના પાડી મેં પથ તરફ કૈં ફેંકવા શ્રીમતીને,
હે પંથીડા, સુખથી ફરજો ફલેટ પાસે ફરીથી !
રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે ?
આવે તોયે છતરી લઈને, બહાર ન કાઢે માથું ,
કાઢે ક્યાંથી ? સ્મરણ નડશે ક્રૂર આ હસ્તનું ત્યાં !
લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે ?
- નિર્મિશ ઠાકર
હાસ્ય લેખની સાથે આ હુરટી કવિ પ્રતિકાવ્ય પણ રચે છે અને તે પણ પોતાની આગવી શૈલીમાં….
કલાપીનું તે પંખીની ઉપર પથરો…. વાંચ્યું જ હશે પણ નિર્મિશના શબ્દોમાં પંથી અને કચરો ફેંકનારની અવદશાને જાણીએ.

ગઝલ સાથે હઝલ પણ હુરટીઓને વધુ ફાવે!
આ હુરટી કવિનું પ્રતિકાવ્ય ગમ્યું
શાર્દુલવિકડીતમાં ગાઈ-તરન્નુમમાં મૂકશો