ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ
હાથમાં કરતાલ મીરાંની હતી,
ને ખરજમાં કાફી ધીરાની હતી.
અય નબી, તારા નબીરાની હતી,
દાસ્તાં મૌજે-ફકીરાની હતી.
હું હતો ને તું હતી, અંટસ હતી,
બસ હયાતી લીરે-લીરાની હતી.
પાંવમાં છનછન છનન, છનછન છનન,
તાન તિરકિટ ધા – મંજીરાની હતી.
ને કપૂરી નામ વેરાતાં ગયાં,
દોટ પણ કેવી અધીરાની હતી !
આજ આ કફની ગઝલની પ્હેરી છે,
એ કદી ચાદર કબીરાની હતી.
- જગન્નાથ રાજગુરુ
મીરાં, ધીરો, કબીર,નબી ખુદ ગઝલ બની આપણને છનન છન , તિરકિટ ધા તાલમાં મસ્તાન કરી ઈશ્વરીય અનુભૂતિ કરાવે છે. જગન્નાથ રાજગુરુની કલમે પરમ તત્ત્વનું શબ્દદેહે અવતરણ થયું ?!!

વાંચતાવેંત ગમી-સ્પર્શી જાય એવી વિચારપ્રેરક ગઝલ… ખૂબ આનંદ થયો… આભાર…
સુંદર,
ગઝલમાં પણ આધ્યાત્મ.