થોભ્યાનો થાક : સુરેશ દલાલ

 

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય,
હવે પંથ મારો ચાલે તો ચાલુ :

પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર,
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું ;

વેદનાનું નામ ક્યાંય હોય નહિં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;

જંપ નહિં જીવનએ આ એનો અજંપો,
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને,
થીજેલાં બિંદુઓ જો ખાળું !

સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક;

આઘે જવાના કોઇ ઓરતા નહિં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.

આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સ્મિતને સંભાળું ?

- સુરેશ દલાલ

મનઃસ્થિતિને શબ્દોમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ છે. પણ સુરેશદાદા મનને ઉકેલીને શબ્દોમાં રજૂ કરે છે ને મન પણ કેવું અજીબોગરીબ જિંદગી જેવું જ ……. ?!!  જિંદગીથી નિરાશ આપણું મન આપણને જંપવા નથી દેતું ને ત્યારે આવી જ કઈક સ્થિતિ આપણી હોય છે . જો કે આપણને હોઠને હસતાં રાખતાં આવડી ગયું છે હવે તો બસ જરૂર છે મન મનાવવાની.

 

 

.


2 Comments to “થોભ્યાનો થાક : સુરેશ દલાલ”

  1. ખૂબ જાણીતી છતાં અજાણી લાગે એવી કવિતા… જ્યારે વાંચો, એક નવું જ આકાશ ઊઘડવાનું…

  2. pragnaju says:

    સરસ
    યાદ આવી
    મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
    તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

    જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
    મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

    મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
    હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.

    મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
    રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

    નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
    પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME