ઝાડ તને મારા સોગંદ : હિતેન આનંદપરા

( સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?!! )
ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !
આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?
ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ.
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !
- હિતેન આનંદપરા
કવિની સંવેદના કેટલી નાજુક હોઇ શકે તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ. મોટામસ ખડક તોડીનેય ઘાસનું એક તણખલું ઉગી આવે એમ ઝાડમય બની આપણને પણ ઝાડને પાંખો આવી જાય એવી લાગણી ઉગી આવે. આકાશને સ્પર્શવા મથતો હોય તેમ ઊંચે ને ઊંચે ઉગતું જાય ને તોય આકાશથી છેટું ને છેટું ?!! પંખીનો ટહુકો સાંભળી રોજ સવારે કૂંપળ ફૂટેને જો એ પંખી આથમણે પાછું ના વળે તો પાંદડાંને ડૂમો ના ફૂટે ?!! તો સાવ-માણસ જેવો સંબંધ કે છાંયે બેઠેલો માણસ ગમે કે ગાય એમ પ્રશ્ન પૂછીને જ કવિ ઉત્તર આપી દે છે, સમજી ગયાંને ?!!
.
the attachments to this post:


સરસ…
હિતેનભાઈનું જાણીતુ, નાજુક નકશીકામવાળું ગીત.
અનોખી કલ્પના..અનોખાં સંવેદન…અનોખી રજૂઆત. હૈયે સાચવીને રાખવા જેવું ગીત.
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડામાં ડૂમો ભરાય … સંવેદનાનું ખુબ સુંદર ચિત્રણ. પોતે જણેલ પુત્ર જો સાંજ પડ્યે ઘર ન આવે તો અધીરી થઈને રાહ જોતી મા ને દેવ તરીકે પૂજતા હોઈએ તો આ તો પારકાંની સંવેદનાથી પલળવાની વાત છે. કદાચ એટલે જ આપણા ઋષિઓએ વૃક્ષને દેવતા કહ્યા હશે.
સુંદર ગીત… વારંવાર માણવું ગમે એવું…
અદભુદ રચના…વ્રુક્ષનાં અસ્તિત્વને જીવંત કરી આંખો ભિંજવી ગઈ !
પ્રિય હિતેનભાઇ, તમારા ગીતનુ સઁવેદન સ્પર્શી જાય એવુ છે. અભિનઁદન.
પઁકજ ત્રિવેદી
૦૯૮૭૯૫૨૩૩૩૧
સરસ રચના … ખુબ જ ગમે ચેતનાને જગાવે તેવિ
વાહ્….. શબ્દ્..જાને નાનો લાગે ચે ખુબ મઝા આવિ અભિનદન.
A superb poetry….hrtly congr8s hitenbhai