અમે ઈચ્છયું એવું : માધવ રામાનુજ
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે -
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે.
- માધવ રામાનુજ
માધવ રામાનુજનો આજે જન્મદિન અને તેમની ગમતી રચનાઓમાં આ કાવ્યને કેમ ભૂલાય ?!! કોને આવી દુનિયાની ઝંખના ન હોય ? તેઓ કલમ સાથે પીંછીનાં રંગે પણ રંગાયેલાં. હમણાં જ સમાચાર મળ્યાં કે તેઓ થોડાં દિવસ પહેલાં હાઈવે પર ગંભીર અકસ્માતમાં ઘવાયાં. આજનાં શુભદિને ઈશ્વરને પ્રાર્થના કે જલ્દીથી તેઓ સારા થઈ જાય. જેથી રંગો અને શબ્દોની મહેફિલમાં તેમને જલ્દીથી મળી શકીએ.
.

Many many happy returns to madhavsir!!
સુંદર કાવ્ય સાથે કવિશ્રી માધવ રામાનુજને જન્મ-દિવસના અભિનંદન અને ત્વરિત સાજા થવા માટેની
શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
સોનેટ-ગઝલ કે ગઝલ-સૉનેટ???
કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને સત્વરે નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એ માટેની પ્રાર્થના…
એક એવી રાહ પર તમે લાવીને મૂક્યો કે બસ….. કવિ માધવ રામાનુજે જે કહ્યું છે ત્યાર પછી કશું કેવા જેવું રહેતું નથી. બસ તેમણે કલ્પેલા નગરમાં ચાલતો રહું અને તમે આપેલ કાવ્યોના ભાથાંને આધારે આગળ વધતો રહું. શ્રી.રામાનુજને જન્મદિનની શુભકામનાઓ!