ગઝલ : અનિલ ચાવડા

 

છોડ    દીવાને   પહેલાં   તું   મને   પ્રગટાવને,
આવવા  તૈયાર  છું,   રસ્તો   જરા  બદલાવને.

પ્રેમની  વ્યાખ્યા  કરે  છે  એક માણસ ક્યારનો,
તું  જરા  એને  ખૂણામાં  લઈ  જઈ  સમજાવને.

ભાઈ  ખાલીપા ! હજીયે  કોઈ  પણ આવ્યું નહીં,
તું  જ  ઘરની  બ્હાર  જઈને  બારણું ખખડાવને.

આંસુ  આંખોનાં  પ્રવાહી  થઈ  ગયેલા શબ્દ છે,
ચાલ  નવરો  હોય  તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં  સુધી  હું  આભ  સામે  જોઈને  બેસી  રહું?
તું  હવે  વરસાવતો  જો  હોય  તો  વરસાવને.

- અનિલ ચાવડા

 

અનિલની એક મજેદાર ગઝલ આજે તેના જન્મદિને …. !!  ભીતરનો દીવો ઈશ્વર આમ જ ઝળહળતો રાખે તેવી શુભેચ્છા સાથે.  ન બોલાયેલ શબ્દોનું પ્રવાહીપણું  તે આંસુ – તો માણસના ખાલીપાને ખુદને જ બારણું ખખડાવવાનું ઇજન આપતા શેરમાં દુનિયામાં વધતો ‘માણસ’નો ખાલીપો કેવો વર્તાય છે ?!!

 

 

.


10 Comments to “ગઝલ : અનિલ ચાવડા”

  1. કવિતા મૌર્ય says:

    ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
    તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

    સુંદર શેર ! અને જન્મદિન મુબારક.

  2. sudhir Patel says:

    ખૂબ જ સુંદર ગઝલ! સાથે અનિલભાઈને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
    સુધીર પટેલ.

  3. સુંદર ગઝલ. કવિને જન્મદિન મુબારક.

  4. kirankumar chauhan says:

    આને કહેવાય સાચ્ચી ગઝલ. વ્હાલા કવિબંધુ! નિષ્પક્ષ રીતે અપાતા તમામ ઍવોર્ડ તને મળે એવી શુભેચ્છા.

  5. વાહ અનિલ સરસ ગઝલ..જન્મદિન મુબારક દોસ્ત..

  6. ખુબ સરસ

    “આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
    ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.”

  7. ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
    તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

    - આનાથી વધારે ધારદાર એકલતા કઈ હોઈ શકે ?

    -જન્મદિવસ મુબારક હો, દોસ્ત !

  8. Rakesh Chavda says:

    લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
    વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

    તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
    એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

    હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
    હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

    એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
    કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

    છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
    પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

    kya baat hai yaar I LOVE YOU ANILYA

  9. Mukesh Parmar says:

    એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
    કે જેમણે કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

    Kya Baat Hai Yaar

  10. Chavda Rakesh says:

    જય મરિઝ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME