ભીતર નીકળે : બેન્યાઝ ધ્રોલવી
શબ્દ બારેમાસ ભીતર નીકળે,
અર્થનો ઈતિહાસ ભીતર નીકળે.
ચૌદ વર્ષે પ્યાલી ટહુકાની પીધી,
મોરનો વનવાસ ભીતર નીકળે.
યાદની ડમરી ચડી છે પાદરે,
સ્મૃતિનું ધણ ખાસ ભીતર નીકળે
પારુની દાસ્તા કદી ભૂલાય ક્યાં ?
આજપણ દેવદાસ ભીતર નીકળે.
બા’ર ટમટમતા અમાસી તારલા,
ચંદ્રનો અજવાસ ભીતર નીકળે.
એક ખોવાયેલ પંખી શોધવા
આખુંયે આકાશ ભીતર નીકળે.
લોહીથી `બેન્યાઝ’ લખવી છે ગઝલ
દર્દનો અહેસાસ ભીતર નીકળે
- બેન્યાઝ ધ્રોલવી
ભીતરનાં ખજાનાની કૂંચી ભીતરે જ નીકળે પણ એ આતમનાં પંખીને શોધવા પ્રયત્ન કરવો પડે તો આખુંય આકાશ અનાયાસ મળી આવે…!!
.

ભીતરના એક અકળ વિશ્વને બહાર લાવતી સુંદર ગઝલ.
આ ભીતરના રહસ્યોને ઉકેલવા જેટલા ભીતર જાઓ એટલા એ વધારે ને વધારે અટપટા બનતા જાય છે.
સુંદર ગઝલ…