જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા

 

ક્યાંક

વચ્ચેથી અચાનક

વાતનું અનુસંધાન તૂટી જાય

ને મન તો ખોવાઈ જાય

કોઈ અગોચર ગલીમાં

અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

ઝાંખાપાંખા લખેલા નંબરમાં

મને વંચાય છે મારી જન્મ-તારીખ.

 

તારીખ સાથેના

સંબંધો તો તૂટી ગયા છે ક્યારનાય

છતાં તારીખનાં પાનાં

હજી એવાંને એવાં છે અકબંધ.

કોઈ પણ પાનું હજી ફાડ્યું નથી

…………….

આજ સુધી

તારીખનાં પાનાં તેથી જ અકબંધ છે

ક્યારેક એમ લાગે કે હાથ અંધ છે

અગર હાથને તારીખ સાથે હશે અણબનાવ

પણ એવું નથી

………..

હાથ તો અટકી ગયો છે

ક્યારનોય તારીખનાં પાનાનાં રસ્તે

અને

ક્યારેય પ્હોંચશે કે કેમ

એવી કોઈ ઘટનાનું બીજ ઊગશે કે કેમ

એ પ્રશ્ન લઈને ઊભો છું

અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

અને વાંચું છું

મકાનના નંબરમાંથી મારી જન્મ-તારીખ.

- મનોજ ખંડેરિયા

 

મનોજ ખંડેરિયાનાં જન્મદિને માણીએ તેમની કલમે તેમના દીર્ઘ અછાંદસ ‘જન્મ-દિવસે’ નાં અમુક અંશો.  અગોચર મકાન પર ઝાંખાપાંખા લખેલા નંબરમાં જન્મ-તારીખ વાંચતાં વાંચતાં, આપણે ક્યારે મકાનને આપણું બનાવી દઈએ છીએ તેનો ખ્યાલ પણ નથી રહેતો. .

ક્યાંક વાંચેલું, જો તમે ઈશ્વર સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરતાં હો, તે જરુર મનમાં મલકાતો હશે.  બસ, એવું જ …. કંઈક !  આજે તેમનાં જન્મ-દિવસે તેમની વૅબસાઈટ પણ લૉન્ચ કરવામાં આવી છે.

 

 

.


3 Comments to “જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા”

  1. સુંદર કવિતા…

  2. sapana says:

    ભાવવાહી કવિતા

    સપના

  3. sudhir Patel says:

    સુંદર અછાંદસ. કવિશ્રીને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલી!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME