શબ્દોથી રહેવાયું નહીં : રતિલાલ ‘અનિલ’

 

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં !

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન;
તારા હૈયે કૈં જ ભટકાયું નહીં ?

ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

રંજ એવો, દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

- રતિલાલ ‘અનિલ’

 

 ચોમાસાંની ભીની મોસમને પ્રાણમાં ભરી લઈ બારમાસી કોરપને ભૂલવાની મજાની વાત -   આ લીલાં પર્વની ઉજવણી કર્યાં વિના શબ્દોથી પણ રહેવાયું નહીં , અને કેવાં વરસી પડ્યાં છે ?  વસંત અને વરસાદ તો આમ પણ કવિની સંવેદનાને ભીની ભીની કરી દે.  કદાચ એટલે જ હર્ષઅંકલ કહે છે… વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ, ને ધરા વળ ખાય છે, લે લખ ગઝલ … !!

 

 

.


4 Comments to “શબ્દોથી રહેવાયું નહીં : રતિલાલ ‘અનિલ’”

  1. sapana says:

    સરસ ભીની ગઝલ.

    સપના

  2. વર્ષાનું આગમન ભરપૂર હોવું જોઇએ તે નથી, – પણ આ રચનાએ ભીંજવી દીધા.

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    વરસાદની મોસમને હવે ચાર મહીનાને બદલે બાર મહીનાની કરો.
    જોઈએ તો હડતાલો પાડો;બંધ પાડો;અને સરકારને મજબૂર કરો.
    ચપટી વાગતાં ચોમાસું પૂરું કે આવી કવિતાઓ વાંચવા નહીં મળે.
    ચોમાસું સરકાર પાસે બારમાસી કરાવો;કવિઓને બારમાસી કરો.

  4. સુંદર કૃતિ…

    ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
    કોણ છે એવું, જે હરખાયું નહીં ?

    ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
    બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

    - આ બે અર્થગર્ભિત શેર વધુ ગમી ગયા…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME