વરસાદમાં : ઉર્વીશ વસાવડા
એ રીતે આવીને મળ વરસાદમાં,
છોડ છત્રી, ને પલળ વરસાદમાં.
આપણું શૈશવ મળે પાછું ફરી,
હોય એવી બે’ક પળ વરસાદમાં.
તાપથી તપતી ધરાના દેહ પર,
લેપ લપાતો શીતળ વરસાદમાં.
મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં,
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં.
વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી,
તું કહે વરસે છે જળ વરસાદમાં.
- ઉર્વીશ વસાવડા
હિતેનભાઈએ કહ્યું એમ, કાગળની હોડી તરે તે તો બસ… આવડત કે શ્રદ્ધાનો વિષય પણ શૈશવની બે’ક પળ પાછી તો મળી જ જાય છે વરસાદમાં… !! તો ઈશ્વરનું વ્હાલ વરસતું હોય ત્યારે મોર, ચાતક, વૃક્ષ, સકળ સૃષ્ટિની સંગાથમાં મન છત્રી છોડી નાચી જ ઊઠે… ને.
.

સુંદર ગઝલ.. આખરી શેર મનોહર…