આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ
સાર મહીંથી સાર નહીં, નિ:સાર મળે છે,
નિ:સાર, સારના સાર સમો અણસાર મળે છે.
સપ્ત સૂરના સ્પંદન મધ્યે ડૂબતા ચાલ્યા,
લો, સ્પંદનની પાર હવે રણકાર મળે છે.
હવે અહીંથી બ્હાર નહીં પણ અંદર અંદર,
અંદર સઘળા સાજ અને શણગાર મળે છે.
લગન લગાવી ચાલ હવે તું ચાલ અહીંથી,
છેલ્લી છેલ્લી વાર અહીં અવતાર મળે છે.
સહજ સરકતા સમય શ્વાસને ભાર નથી કૈં,
અંતે તો આકારશૂન્ય સાકાર મળે છે !
- ધૈવત શુકલ
(૮.૯.૧૯૯૨)
આજની ગઝલ એટલે ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લનાં પુત્ર ધૈવત શુક્લની અભિવ્યક્તિ . જોકે ગઝલ જ તેનો અણસાર આપી દે છે કે પિંડ તો રાજેન્દ્ર અંકલના ઘરાનાનો જ છે. સમગ્રતયા, ગઝલનો સાર એ જ કે, ઊંડાઈ જેટલી પામી શક્યાં તેટલી જ ઊંચાઈને તાગી શકશો. અને તો જ આકારશૂન્ય સાકારને પામી શકાય.
.

ધૈવતભાઈ બહુ ઓછું પણ વારંવાર મમળાવ્યા કરીએ એવું લખે છે. મને ગમતી રચનઓમાંની એક એવી આ રચના.
ક્યા બાત હૈ !!
ઘણા દિવસે આવી મજાની ગઝલ માણવા મળી… આભાર ..