ચાર એકલતાની ભીંતો : મનહર ચોકસી

 

ચાર એકલતાની ભીંતો ગોઠવી,
ને પછી એને હું મારું ઘર કહું !

ચોર પગલે શૂન્યતા ઊગી ગઈ,
આ હ્રદયને દર્દનું ખેતર કહું !

સંભવોની ટોચ દેખાતી નથી,
શી રીતે ધબકારનું ભીતર કહું ? 

પાંચ ક્ષણમાં જાગતી આશા અને,
પાંચ ક્ષણમાં કોઈને ઈશ્વર કહું.

હું ઘણી વેળા નથી ગમતો મને,
હું મને પણ શી રીતે ‘મનહર’ કહું ?

- મનહર ચોકસી

 

ભીતરની ઉદાસીને એકલતાની ભીંતો ચણતાં કેટલી વાર ?!  અને ત્યારે ખુદનાં પ્રત્યે પણ ધૃણાનો ભાવ જાગે.  આવી જ કોઇક નકારાત્મક ક્ષણની વેદના  ડૉ. મુકુલ ચોકસીનાં પિતાની કલમે.

 

 


5 Comments to “ચાર એકલતાની ભીંતો : મનહર ચોકસી”

  1. Hiten Bhatt says:

    mari eakaltathi kantaline
    hu puchhi besu chhu-
    ast thata suryane shu kare chhe tu
    ast thaya pachhi….

  2. Maheshchandra Naik says:

    કવિશ્રી એકલતા અને ઉદાસીના ગઝલકાર હતા, મને એમને સાંભળવાનો અવસર સુરતમાં અનેકવાર મળ્યો હતો કારણ કે મારા ઘરની નજીક એઓ રહેતા હતા અને અમારો વ્યવસાય પણ એક જ હતો, એમની સ્મૃતીઓને યાદ કરાવવા બદલ આપનો આભાર……

  3. kishoremodi says:

    પૂ.મનહરભાઈની સુંદર ગઝલ વાંચી એમની યાદ આવી.આ ગઝલ મેં એમની પાસે સાંભળી હતી એવું મને ચોક્કસ યાદ છે.

  4. મત્લાનો શેર બહુ જ ગમ્યો. પોતાની ટીકા કરવાની કવિની પ્રામાણિકતા જચી ગઈ.

  5. sudhir Patel says:

    બહુ જ સુંદર ગઝલ! છેલ્લા બન્ને શે’ર વિશેષ ગમ્યાં.
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME