ગાંધી : રાજેન્દ્ર શાહ

મન
યરવડાચક્ર,
ત્રાક પર કંતાય છે
પીળાં ફૂલની પરિણતિનો શ્વેત પોલ,
તસુતસુ તંતુની સળંગસૂત્રતા
કારુણ્ય,
કોટિ કોટિ ઉઘાડાં અંગનું આચ્છાદન
પીળા ફૂલનું શ્વેત ચીવર.
શ્વેત એવું હાસ્ય,
બોખે મુખ એકલ બે દંત.
વાર્ધક્યનું સરલ શૈશવ મલકંત.
સંસારનાં લીલાં લીલાં સકલ ગરલ
હ્રદયની મથનીમાં ઝિલાય,
વલોવાય;
ઉદ્વેગ ક્ષોભ ને શમન
સંજીવની સુધા તરે વિપુલ ધવલ.
નયન
નિર્મિતિનું આદિમ સ્વપન,
અચર અંધારની ક્ષિતિજ, શ્વેત કોર,
દ્યુતિપુંજ નિહારિકા,
બહુલ વિશ્વનાં
રુપ-રંગનું ભવન એકલ અધિકરણ.
કટિ પર ઝૂલી રહ્યો કાલ,
અધખુલ્લા ચરણની એકડગ ચાલ.
બલિના યજ્ઞને ક્ષેત્ર
અકિંચન વામન
તે
અવર ન
વિષ્ણુ ત્રિવિક્રમ;
રટે
એક મંત્ર
રા…મ.
- રાજેન્દ્ર શાહ
ગાંધીજીને સંલગ્ન પ્રતિકો દ્વારા આબેહૂબ રેખાચિત્ર રાજેન્દ્ર શાહની શબ્દપીંછીએ દોર્યું છે.
શબ્દાર્થ : યરવડાચક્ર – એક પ્રકારનો રેંટિયો ( as shown in snap, it has sleeping wheels not standing ) , ચીવર – ફાટેલું કપડું, ગરલ – ઝેર, નિર્મિતિ – નિયતિ.
.
the attachments to this post:
gandhi on yaravadachakra, rantio.

ગાંધીજીને ઉત્તમ અંજ્લિ તો ખરી જ… પ્રશિષ્ટ શબ્દોની પ્રભાવશાળીપઠનક્ષમ ગોઠવણી….
આ પ્રકારની શબ્દાવલિ પ્રયોજી શકે અને પઠન કરી શકે એવા જૂજ કવિઓ હવે ગુજરાતી ભાષા પાસે બચ્યા છે.
યરવડા એટલે રેંટિયો? મારા ખ્યાલથી યરવડા જેલવાસ દરમિયાન ગાંધીજી જે રેંટિયો વાપરતા હતા એના પરથી આ નામ આવ્યું હોઈ શકે…
Pinki : સાચી વાત… ! બે પ્રકારનાં ચરખા આવે તેમાં આડા ચક્રો ધરાવતા રેંટિયાને યરવડાચક્ર કહેવામાં આવે છે. શક્ય છે બાપુએ તે પ્રકારનાં ચરખાનો ઉપયોગ યરવડા જેલમાં કર્યો હોય.
અદભુત …..