એકે લાલ દરવાજે : અવિનાશ વ્યાસ

એકે લાલ દરવાઝે(દરવાજે) તંબુ તોણિયા(તાણિયા) રે લોલ.
અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી,
માણેકનાથની મઢી, ગુર્ઝારી(ગુર્જરી) જોવા હાલી,
કે વઉ(વહુ) તમે નો (ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.
સીદી સૈયદની જાળી, ગુર્જરી જોવા હાલી,
કાંકરિયાનું પાણી, ગુર્જરી જોવા હાલી,
કે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.
ત્રણ દરવાજા માંહી, મા બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે, ગુર્જરી જોવા હાલી
હે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.
- અવિનાશ વ્યાસ
હોળી-ધૂળેટીનાં રંગોત્સવમાં રંગાઈ, વળી આજે વાત કરીશું અમદાવાદની.. ! ગીત તો એ જ જૂનું અને જાણીતું…. ગુજરાતી ચલચિત્ર ‘સંતુ રંગીલી’માં આવેલું આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયેલું અને તેનાં શબ્દોએ ગરવી ગુજરાતણ પર એવાં કામણ કીધેલાં કે કેટલાંય વરસો સુધી આ ગરબા વિના નવરાત્રિ પૂરી જ ના થતી. તો આ ગીતમાં વણી લીધેલી વાતો આવનારા સમયમાં, અમદાવાદનો ઐતિહાસિક પુરાવો પણ બની રહેશે.
શબ્દોમાં સચવાયેલ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો એક રેખતો હાલમાં જ ગુજરાતસમાચારમાં જોરાવરસિંહ જાદવની કોલમમાં પ્રકાશિત થયેલો. જેમાં, બસો ત્રણસો વર્ષ પૂર્વેના અમદાવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. ( રેખતા વિષે વધુ વાંચો )
અમદાવાદ કે અંદર હૈ દરવાજા પંદર
બીચમેં માણેક કા ચોક, બાવા ગોદડકા ગોંખ
બનિયા બેકતે હૈ માલ, સાડી ધોતિયું રસાલ
વાંસે આગે જાવે, પાનકોર કા નાકા આવે.
માલ મેવા બેચે, સૂર સારંગી ખેંચે
કીસબણ ગાણાં ગાવે, સૂનકે આગે જાવે
તીન દરવાજા આવે, બીચ કારંજકા ચોક,
ભદ્રકાલીકા ગોંખ, વાં કેદિયું કા કામ
વોહી ઉનકા મુકામ, ગારદી પહેરા ભરતે
ખૂબ ચોકી કરતે, ઐસા અમદાવાદ
મૈને દેખી ગુજરાત, જાત મહાજનકી સહી
બાત જુબને કહી, થૈયા થૈ તાથૈ તાથૈ (૩)
૧૮૫૦ સુધી, ગીતમાં ગાયેલ, લાલદરવાજાનું અસ્તિત્ત્વ જ ન હતું. પણ, તે સમયે બાર મુખ્ય દરવાજા અને બે કિલ્લા – ભદ્રનો કિલ્લો અને ગાયકવાડનો કિલ્લો તે બન્નેને અનુક્રમે છ અને પાંચ દરવાજાઓ હતાં. જેમાં હાલનાં લાલ દરવાજા પાસે, કિલ્લો અને કોટ હતો પણ તેની એકેય ઈંટ હાલ મળતી નથી. આવી જ અન્ય રસપ્રદ વાતો.
*સીદી સૈયદની જાળી- ભદ્રનો કિલ્લો અને દીવાલ હતી તે તોડીને મસ્જિદ બનાવવામાં આવી. *કાંકરિયા તળાવ- તેનું જૂનું નામ કુત્બી હોજ હતું પણ ખૂબ જ કાંકરા નીકળતાં, તે કાંકરિયા તળાવ તરીકે જાણીતું થયું. *દિલ્હી દરવાજા- તે દરવાજાથી દિલ્હી જવાતું આથી તે દિલ્હી દરવાજા તરીકે ઓળખાતો. *શાહપુર દરવાજા- હાલમાં તેનું અસ્તિત્ત્વ નથી, એન્જિનીયર ભાઈકાકાએ (લૉ-ગાર્ડનમાં ભાઈકાકા ભુવન છે તે) શાહપુર વિસ્તારનો કોટ અને દીવાલ તોડી તે રસ્તાને પહોળો કર્યો.
.
the attachments to this post:



હોળીગીત ગમ્યુ. સાથેનો રંગરસિયા સાથે રમાઈ રહેલી રંગ-પિચકારીઓ પણ ગમી.
તમારી પસંદ ગીના કાવ્યો વાચ્યા, આનંદ થયો.
“સાજ” મેવાડા
ખુબ જ સરસ ઓળખાણ આપી આપે અમદાવાદ ની…
“માનવ”