કહે છે : મનહર મોદી
કહે છે ઉનાળો તો આંસુઓ સારે,
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે.
તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં,
એ હમણાં બતાવું કે કાલે સવારે ?
અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.
ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.
હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.
અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે,
એ જાણીને જે કોઈ આવે, પધારે.
સમય હોય ડંકા તો ચાલો વગાડો,
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?
- મનહર મોદી
કાંટા ફેરવી, સમય દોડાવીને ચોમાસું તો નહિં લવાય પણ ઉનાળાની ગરમીમાં ઠંડક કરી દેતી ગઝલ તો માણીએ. મનહર મોદીનો આગવો મિજાજ રજૂ કરતી એક ગઝલ.
.

મારા પ્રિય ગઝલકારની ખૂબ જ માનીતી ગઝલ ફરી ફરી માણવી ગમી!
ગઝલના પૂરા મિજાજ સાથે આધુનિક ગઝલ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે આ ગઝલ!
સુધીર પટેલ.
સુધીરભાઈના મંતવ્ય સાથે સહમત.
સુંદર રચના… બે ઘડી વિચારવા મજબૂર કરી દે એવી…