હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
હું ગુર્જર ભારતવાસી.
અર્બુદ અરબસમુદ્ર વચાળે,
ધરતીનાં આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે;
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું ગુર્જર ભારતવાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં. (અહીંયા)
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું ગુર્જર ભારતવાસી.
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત,
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી.
હું ગુર્જર ભારતવાસી.
ગિરિચટ્ટાન સમાણી છાતી,
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી;
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
- ઉમાશંકર જોશી
( ૨૯.૪.૧૯૬૦ )
મહાગુજરાત આંદોલન શરુ કરી નવલોહિયા યુવાનોએ લોહી વહાવી આપણને સૌને અલગ ‘ગુજરાત’ અપાવ્યું તે સૌને નતમસ્તક વંદન. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પૂર્વે, ઉમાશંકર જોશીની કલમ ગાઇ ઊઠે છે, હું ગુર્જર ભારતવાસી….! જ્યારે જ્યારે અલગ રાજ્યની માંગણી ઊઠી છે ત્યારે દેશનાં ટુકડા થઇ જશે તેવો ડર સતાવે છે. પણ આજે મને પ્રશ્ન થાય છે, જો ગુજરાત સ્વતંત્ર ન થયું હોત તો તેનો વિકાસ આટલો શક્ય હોત ? જે વિકસિત મુંબઇ માટે મહારાષ્ટ્ર અને ગુજરાત લડતું હતું … આજે પચાસ વર્ષે “Times of India” કહે છે, શું અમદાવાદ મુંબઈનું હરીફ બની રહ્યું છે ? - જે આપણાં સૌ માટે ગર્વની વાત છે. કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી જાય તો શું આપણે તેને જુદાં ઘર નથી કરી આપતાં એવું કંઈ શું ના વિચારી શકાય - અને અંતે તો આપણે સૌ ભારતવાસી જ છીએ એક જ માટીનાં સંતાન !
‘ગુણવંતી ગુજરાત’ નાં સુવર્ણજયંતિનાં અવસરે સૌ ગુજરાતી ( એટલે કે, ગુજરાતમાં રહેનાર દરેક પ્રાંત/રાજ્ય/દેશનો નાગરિક) જગત નાગરિક બની ભારતનું નામ રોશન કરે તેવી મબલખ શુભેચ્છાઓ સહ. હાલમાં જ અમદાવાદનો છસોમા વર્ષમાં પ્રવેશ અને હવે ગુજરાતની સુવર્ણ જયંતિ … આ સુંદર યોગાનુયોગને વૅબમહેફિલ પર અવનવાં ગુજરાતનાં કાવ્યો માણીને ઉજવીશું ?!
.
the attachments to this post:


ગુજરાત સ્વર્ણિમ દિન નિમિત્તે સૌને મબલખ શુભેચ્છાઓ!
સુંદર પ્રાસંગિક ગીત!
સુધીર પટેલ.
દીદી,
ખુબ જ સરસ ગીત છે..
સુંદર રચના…
જય ગુર્જરી!!!