આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે

zarnu varsaad

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી, પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી, પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી, આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી, આ હરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી, એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી, આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી, પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી, પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

- બાલમુકુન્દ દવે

આષાઢી અવસરને ઊજવ્યાં બાદ, શ્રાવણની નીતરતી જલધારાને ઝીલવું ગમશેને ?!!    શ્રાવણનાં સોહામણાં દિવસો - એ તો કો’  જતિ - સતીનાં તપનું પુણ્ય.  કપૂર જેવી કાયા તો પળમાં ધૂપ બની ઊડી જશે.   નેવલેથી ટપકતાં આ અમૃતને હૈયે ઝીલી લેજો, એળે ના જવા દેતાં…. !

.


the attachments to this post:

zarnu varsaad
zarnu varsaad


2 Comments to “આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે”

  1. Ajitsinh says:

    શ્રાવન સરવડા સરવર સરવર
    ઝીણા વરસે ઝરમર ઝરમર

  2. Maheshchandra Naik says:

    સંતુ રંગીલીમાં આ ગીત સામ્ભળ્યુ હતુ એટલે આજે ફરી યાદ કરાવ્યુ એટલે આનંદ થઈ ગયો………આભાર..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME