જળકમળ છાંડી જાને, બાળા ! : નરસિંહ મહેતા
.
.
.
જળકમળ છાંડી જાને, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક ! તું મારગ ભૂલ્યો ? કે તારા વેરીએ વળાવિયો ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો ?
‘નથી નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું હારિયો.’
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યાં, તેમાં તું અળખામણો ?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’
‘શું કરું, નાગણ, હાર તારો ? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ ! તારે ઘરમાં કરવી ચોરિયો?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડી વિનવે: ‘સ્વામી, મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ, શ્રીકૃષ્ણને રે વધાવિયો ;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.
- નરસિંહ મહેતા
.
આપણે સૌ બાળપણથી જ કૃષ્ણ જીવનની ગાથાઓ સાંભળી મોટાં થયાં છીએ. બાલ્યકાળનાં તેનાં પરાક્રમોએ આપણને એટલાં આકર્ષ્યાં છે કે આજે પણ ભૂલ્યા ભૂલાયાં નથી. અને તેવી જ એક રચના એટલે જળકમળ… ! યમુનાતીરે ગેડી-દડો રમતાં રમતાં દડો બહાર કાઢવાનાં બહાને, બાળ કાનુડો લોકોને કાલિનાગનાં ત્રાસથી છૂટકારો અપાવે છે. તો વળી, દામોદર-લીલાને હરીન્દ્ર દવેની કલમે માણવી જરુર ગમશે.
.
.
.
the attachments to this post:


[...] છોડાવિયો. ઉપરનું પદ સાચું છે, સૌજન્ય: વેબ મહેફિલ જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો [...]
it is very special for me…..
is reminds me my school days…!!!!