કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’
.
સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ.
બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ.
એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ.
આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ.
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ.
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ.
પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે,
આળ જેવું કૈંક ચડવું જોઇએ.
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ.
– રતિલાલ ‘અનિલ’
.
.
જાતની સાથે ઝઘડવું એટલે, આત્મચિંતન. જો તટસ્થપણે મનોમંથન કરીએ તો, આત્મચ્છિદ્ર મળી જ આવે એટલે કે, આપણું જ કોઇ કડવું સત્ય જડી જાય. ભીનાં ને ભીનાં સડવું એનાં કરતાં તો આત્મપ્રકાશનાં તાપમાં પોતાનાં દોષને દૂર કરવો તે વધુ સારું. કારણ, આખરે આપણે તો માનવ – ઈશ્વર નિરાકારી નિર્ગુણ સ્વરુપે છે પણ આપણે તો આપણી જાતને ઘડવી જ પડે.
.
.
.
.

very shatik…sha na na
ખાલેીપોતો બહુ ખખડે પણ એનો અવાજ આ બહેરા કાનવાળાઓને સમ્ભળાયતો આત્મ નિરેીક્ષણ
કરાયને! અહિતો બધાને જે આપોઆપ મળ્યુ છે અએમાજ આગળ વધવુ છે અને જીન્દગી જીવવી છે.સત્ય હમ્મેશા કડ્વુજ હો પણ એ વાત કોઇના ગળે ઉઅતરતી નથી.
બહુ સરસ ભાવાર્થયુક્ત રચના- તમસો મા જ્યોતિર્ગમય—