Archive for the ‘અનિલ ચાવડા’ Category
હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા
Saturday, July 31st, 2010
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઊડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
મને પૂછ્યા વગર લઈ જાય બાઇક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
પ્રથમ તો ફોસલાવીને મને એ, મારી અંગત વાત જાણે ને, પછી ?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
કદી મારા ઘરે મહેમાન થઈ આવે, પછી હું મૂકવા જઉં અને,
મને ખુદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
કરે હેરાન હરપલ એટલું કે, આંખમાં આંસુ જ આવી જાય, પણ ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાંક એવા મિત્ર છે.
- અનિલ ચાવડા
શબ્દકોશની વ્યાખ્યા કે સાહિત્યકારોની વિભાવના પણ મિત્રને શબ્દશઃ ઉકેલી ના શકે, પણ કવિમિત્ર અનિલની આ ગઝલ વાંચી ચોક્કસ બોલી ઉઠશો , અરે…. યાર, આને જ તો કહેવાય મિત્ર ! આવો જ હોય ખરો મિત્ર… ! મૈત્રી દિનનાં દિવસે ( ૧ ઓગષ્ટ,૨૦૧૦) આપ સૌ વાચકમિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ !
.
જાય છે : અનિલ ચાવડા
Monday, May 10th, 2010
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.
- અનિલ ચાવડા
મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્હાણ પણ ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે. જોકે, જિંદગીમાં આ બધું - વીત્યા પછી જ સમજાતું હોય છે. કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
તું ચાલને વરસાદમાં : અનિલ ચાવડા
Tuesday, December 22nd, 2009
પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.
આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.
એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.
એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.
- અનિલ ચાવડા
પ્રેમનો અનુવાદ એટલે જ વરસાદ… ! આગવી ભીનાશ લઇને, આગવું પલળવાનું પ્રેમમાં… બસ, એક વાદળ અને એક કાજલ પછી ક્યાં કોઇ વાદ કે વિખવાદ વરસાદમાં…. !!
.
એ જ મારે જોવું છે : અનિલ ચાવડા
Thursday, October 29th, 2009
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યાં છે પાલખીમાં એ જ મારે જોવું છે,
કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ,
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.
આવ ! મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો,
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે.
હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે.
કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે,
કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.
- અનિલ ચાવડા
’એ જ મારે જોવું છે’ જેવી અવનવી રદ્દીફ અને તેના પૂર્ણ અવકાશને અનિલ માત્ર ભરતો નથી, છલકાવી દે છે. માત્ર રદ્દીફ કે છંદવૈવિધ્ય જ નહિં, વિષયનાવીન્ય પણ ભાવકને સ્પર્શી જ જાય.
વિચારવિશ્વમાં વિહાર કરવાનું કોને ન ગમે ? બસ… પાલખીમાં સવાર થઈ, મન ચહે એમ સંચરવું. ભગવદ્.ગીતામાં કહ્યું છે, કર્મ કે પરિસ્થિતિથી નિર્લેપ રહેવું પણ આ તો ખુદથી જ એટલે કે પોતાનાં વિચારોથી જ અનાસક્ત રહેવાની વાત… ! શ્વાસ, નયન, ચામડી કે પછી હ્રદયને શારડીની જેમ વીંધતી આંસુની તીવ્રતાથી અલિપ્ત રહેવું એટલે કે, પંખીનો કલરવ પીંછાંને ના સ્પર્શે ?!!
બસ, આપણે પણ સમયની જેમ બાળક બની, એક જ રટણ કરીએ…. તો શક્ય છે કે, છાબડીમાં કૃષ્ણને જોઈ, વિચારોને પણ પાલખીમાં સંચરતાં જોઈ શકીએ.
.
એક બાજુ વાંસળી છે : અનિલ ચાવડા
Thursday, October 8th, 2009
એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે,
એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે.
તું નહીં જોઈ શકે – જાણી શકે મારા વિચારો,
મારી ઈચ્છાઓ હવા કરતાંય ખૂબ જ પાતળી છે.
ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યો છું,
જે સ્વજન સામે તરફ છે એ ઘણો બાણાવળી છે.
વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.
બેઉને હોવાપણું પેટાવવાની તક મળી છે,
મારી પાસે ટાઢ છે ને તારી પાસે કામળી છે.
- અનિલ ચાવડા
બરકત વિરાણી ‘બેફામ’ કહે છે, થાય જો સરખામણી તો ઊતરતાં છીએ…… ! બસ, આ ‘આઇન્સ્ટાઈન’નો સાપેક્ષવાદ જ માનવને દુઃખવાદી બનાવે છે (?). :) મારા સપના તો ૧૫,૦૦૦ રૂ.માં પૂરાં પણ સામે તો ના.. બાજુમાં તો…. ? એટલેકે, ચીસ અને વાંસળી બેઉ સાંભળ્યાનું, જાણ્યાનું દુઃખ… !! જોકે, અનિલે કહ્યું એમ, આખાંયે વિશ્વનો વૈભવ જેની પાસે છે તે ઈશ્વર પાસે આપણી ઈચ્છાઓ તો હવા કરતાંય ખૂબ જ પાતળી – પણ શું એને જાણ નહિં હોય કે આપણે તો ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યા છીએ અને મારો પોતાનો સ્વજન સામે બાણ લઈને ઊભો છે. હવે તો હોવાપણું પેટાવ, કામળીને દૂર કર…. મારી ટાઢને દૂર કર….. !!
.
ચાલ્યો જઈશ : અનિલ ચાવડા
Wednesday, July 1st, 2009
ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ.
છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ.
પુષ્પમાં સુગંધ મૂકી, વૃક્ષને ભીનાશ દઈ,
કોઈ પંખીના ગળામાં ટહુકીને ચાલ્યો જઈશ.
રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સ્હેજ અમથું પ્રગટીને ચાલ્યો જઈશ.
છે સ્વજન દરિયા સમા, ના આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ.
- અનિલ ચાવડા
નોખી વાત ને નોખી ભાત … અનિલની કલમની રીત !! દુન્યવી વાસ્તવિકતાને અનિલ કેવી બખૂબીથી રજૂ કરે છે. દુનિયામાં સૌ પોતપોતાનાં ભાગ્ય લઈને આવ્યા અને અંતે તો આ દુનિયા છોડી જવાનાં જ …… આ હકીકત તો આપણે સૌ પણ જાણીએ છીએ પણ પુષ્પનેય સુગંધ આપવા માંગતો, વૃક્ષને ભીનાશ દેતો, અને કોઈ પંખીનો ટહુકો બનતાં માણસને ક્યાં સુધી ટપાલની જેમ વાંચશો ? સંબંધોનાં સમંદરને તરી ના શકાય તો થોડું થોડું ડૂબી જોઈએ ! સૂર્યનું જ એક ટીપું આમ કો’ક કોડિયામાં પ્રગટી જતું હશે ને …. ?!!
.

