Archive for the ‘ઉશનસ્’ Category
બાઇ રે, તારાં ભાગ્ય : ઉશનસ્
Tuesday, September 28th, 2010.
બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન !
ઊંચે વ્યોમભવન, ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ.
કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !
- ઉશનસ્
.
કવિ શ્રી ઉશનસ્નાં જન્મદિને , માણીએ એક સુંદર કૃષ્ણગીત ! કંઇ કંઈ મિષે ગોપીઓ કૃષ્ણની મીઠી ફરિયાદ જ કરતી હોય છે. ત્યારે કવિ તેમને કહે છે, ચૌદ લોકનો સ્વામી ખુદ જો લૂંટણહાર બનીને આવે ત્યારે કૈં બચાવવું નહિં કારણ અહીં તો લૂંટવ્યું એટલી જ લ્હાણ ! મટુકી નહીં એ તારો ભવ ફેડે છે.
.
.
.
ધૂપસળી : ઉશનસ્
Tuesday, September 28th, 2010.

.
સાંજ પડ્યે એ તો
ચાલ્યાં ગયાં છે.
પણ આપણાં એ વત્સલજ પૂર્વજ
આપણા આ વનવગડાના
અંધારા ઘરનાં ગોખલામાં
દીવાસળીની એક પેટી
મૂકતાં ગયાં છે.
હવે તમે તેને તડકી કરો
કે ભડકો ,
દવ ચાંપો કે
પેટાવો દીપક
બધું હવે
તમારા જ હાથમાં છે.
- ઉશનસ્
.
હવે બધું આપણા જ હાથમાં છે……. આપણે શું કરવું છે ? આપણાં વત્સલ વડીલો, પૂર્વજો ને શ્રાદ્ધ પર્વે હૃદયાંજલિ !
.
.
.
ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્
Sunday, May 2nd, 2010
જય જય ગુર્જરભૂમિ !
જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જરભૂમિ !
જય જય ગુર્જરભૂમિ.
આનર્ત, કચ્છ, સૌરાષ્ટ્ર, ચરોતર, દક્ષિણ લાટપ્રદેશ,
બનાસ, સાબર, મહી, નર્મદા, તાપી, સમદર શેષ,
અર્બુદગિરિ, ગિરનાર, પવનગઢ રક્ષક રહ્યાં ઝઝૂમી.
જય જય ગુર્જરભૂમિ.
છીછરી વ્હેતી તવ સરિતાઓના ઘાટે શોભિત ફૂલ,
ભરચક પાક ભરેલાં ડોલે ખેતર, મધુવનફૂલ,
ફળફૂલભારવતી તરુરાજિ વલ્લરી લૂમી ઝૂમી.
જય જય ગુર્જરભૂમિ.
કાઠી, ખારવા, મેર, રબારી, બારૈયા, વાઘેર,
તવ જળસ્થળવન નિર્ભય ઘૂમે ગીર શા સાવજ શેર,
સોમનાથ, જગજનની, દ્વારકાધીશની પાવનભૂમિ !
જય જય ગુર્જર ભૂમિ.
સિદ્ધપુર, અણહિલપુરપાટણ, સોમનાથ ખંડેર !
સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, વલભીપુર શાં પ્રાચીનનેર !
અતીત ભૂત થઈ ભટકે અહિં તવ અવશેષો ચૂમી !
જય જય ગુર્જર ભૂમિ.
સિદ્ધરાજ મહારાજ, પરશુધર સાર્વભૌમ દ્વિજરાજ,
પ્રેમ ભટ્ટની અમર માણ ને નરસિંહની કરતાલ,
કૃષ્ણ રમાને નર્મદ મોહન જંગ ગયા જ્યહીં ઘૂમી.
જય જય ગુર્જરભૂમિ.
સુંદર કુસુમિત વલ્લરીઓ શી રાસ રમે અહીં નારી,
કચ્છી, પારસી, મેમણ, કોળી, પંચખંડ ઘરબારી !
પૃથ્વી તણાં પાદર ખૂંદે પણ રટણા ‘તુમી તુમી’
જય જય ગુર્જર ભૂમિ.
હે વ્યવહારકુશળ, દાનેશ્વરી, પ્રેમપરાક્રમશૂર !
તવ મુખ આભામંડળ વિલસે રવિશશી ઉભયે નૂર !
વિશ્વસભામાં સહુ સંગે તવ આસન જોઉં નજૂમી.
જય જય ગુર્જર ભૂમિ.
- ઉશનસ્
ગુર્જરભૂમિનાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક મૂલ્યો,સ્થળો તો ગુર્જરી જાતિ અને વિભૂતિઓનો ઉલ્લેખ કરી, કવિ અંતમાં રવિ-શશીનું તેજ જે ગુર્જરીનાં મુખ પર દીપે છે તેને વિશ્વસભામાં સૌ સાથે આસન મળે તેવી અભિલાષા વ્યકત કરે છે. સ્વર્ણિમ ગુજરાતનાં અવસરે, આ અભિલાષા પરિપૂર્ણ થાય તેવી જ અભ્યર્થના.
શબ્દાર્થ : અમિયલ – અમૃત ભરેલ, રસકસવાળી ધરા, આનર્ત – કાઠિયાવાડનું પ્રાચીન નામ, લાટ પ્રદેશ - મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ, સમદર – સમુદ્ર, અર્બુદગિરિ – આબુ પ્હાડની આસપાસનો વિસ્તાર, પવનગઢ – પાવાગઢ, ( તે કુદરતી રીતે જ ગુજરાતની રક્ષા કરે છે અને આથી ગુજરાતનો હિમાલય પણ ગણાય છે ) વલ્લરી - વેલી, લતા, પરશુધર – પરશુરામ, સ્તંભતીર્થ – ખંભાતનું પ્રાચીન નામ.
.
કિતાબોમાં : ઉશનસ્
Monday, September 29th, 2008
કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં:
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.
ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો :
ઊંચી-નીચી અહીં અંકાઇ છે માઝા કિતાબોમાં !
હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્.ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં !
જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવાં કંઇક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં !
અરે આ શબ્દ- જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ – સૂતાં છે કિતાબોમાં !
કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્હાર ઘૂમતો હું
શકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમા ?
હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી
- જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?
- ઉશનસ્
૨૮ સપ્ટેમ્બર મારા દીકરાના નટુદાદાનો જન્મદિન. એટલે આપણા કવિ ઉશનસ્ નો.. આ ઉંમરે હજુ પણ યાદદાસ્ત એટલી સારી કે ૪૦ વર્ષે પણ એમના વિદ્યાર્થી એવા મારા મમ્મીને તો ઓળખી જ કાઢ્યા અને ખૂબ બધી વાતો કરી. અને મારા દીકરાને પણ તેમની દોસ્તી ગમી ગઈ એવા સરળ સ્વભાવના. અમારી ત્રણ પેઢી દાદાના આશીર્વાદ મેળવી શક્યાં એ અમારું અહોભાગ્ય… તેમની તબિયત થોડી નાદુરસ્ત છે તેમના જન્મદિને પ્રભુને પ્રાર્થના કે તેઓ જલ્દી સાજાં થઈ જાય અને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!
શબ્દોનો ઈતિહાસ વેદની ઋચાઓથી પયગમ્બર થી મીરાં ને મયખાના ( જામે-ગઝલ ) સુધી રહ્યો, તેણે કૈં તખ્તા પણ પલટ્યાં (જેમ કે દ્રૌપદી) ને છેલ્લો શેર તો ખૂબ મજાનો થયો છે. પરમતત્વને તો બસ મનની આંખો જ જોઈ શકે એમ કહે છે પણ શબ્દોએ તો એ નિરાકારને પણ આકાર આપ્યો છે કિતાબોમાં…..તો ઈતિહાસનો દસ્તાવેજ પણ બની રહ્યો છે કિતાબોનો શબ્દ…..તો ગઝલરૂપે શબ્દ મયથી પણ વધુ કેફી બની તેના નશામાં ચકચૂર કરે છે….આપણી મહેફિલમાં પણ આ ગઝલનો નશો કંઈક ઓર જ નથી ?!!
