Archive for the ‘કૃષ્ણ દવે’ Category
પતંગિયું : કૃષ્ણ દવે
Friday, November 14th, 2008( મારું પતંગિયું…… !! )
પતંગિયું કહે મમ્મી,મમ્મી, ઝટ પાંખો પ્હેરાવ,
ઊઘડી ગઈ છે સ્કૂલ અમારી, ઝટ હું ભણવા જાઉં.
બીજાં કરતાં જરાક જુદી છે આ મારી સ્કૂલ,
જેના પર બેસી ભણીએ તે બૅંચ નથી છે ફૂલ;
લીલી છમ્મ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ. -પતંગિયું.
પહેલાં પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે,
ઝાકળનાં ટીપાંઓ જ્યારે દડ દડ દડ દદડે છે;
કિરણો સાથે રમીએ છીએ પકડાપકડી દાવ. – પતંગિયું.
લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,
બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ;
મધમાખી મૅડમ કહે ચાલો મીઠું મીઠું ગાવ. – પતંગિયું.
- કૃષ્ણ દવે
દિવાળી વેકેશન લગભગ પૂરું થઈ ગયું છે અથવા તો આજ-કાલમાં વેકેશન ખૂલી જશે અને ત્યારે આજે બાળદિન નિમિત્તે ભૂલકાંઓને પણ સ્કૂલ જવાનું મન થઈ જાય એવું ગીત- જો આવી સ્કૂલ હોય તો ?!! કૃષ્ણભાઈએ પહેલાં તો ફૂલોને યુનિફોર્મમાં આવવા ઈજન આપી બાળપુષ્પોને ખુશ કરી દીધેલાં તો આજે પતંગિયાંને !! આપણાં બાળકો પણ આમ જ ખુશ થતાં થતાં સ્કૂલ જવાં તૈયાર થાય તો ? જેવાં દફતર ખૂલેને ઉમંગ નીકળે અને એમને પણ પહેલાં જ પિરિયડથી ખૂબ મસ્તી પડે તેવી શિક્ષણપ્રથા અમલી બને કે જેથી લૅસનમાં ડાયરેક્ટ જ્ઞાનની સુગંધ પામી શકે. અને હા, મધમાખી મૅડમની જેમ શિક્ષક પોતે જ આદર્શ બને અને પ્રેરણા પામી તેઓ પણ મીઠું મીઠું ગાય ?!! નહેરુચાચાનાં જન્મદિને આજથી જ મારા દિકરાની સ્કૂલ શરૂ થઈ. કહેવાની જરૂર છે કે મારું પતંગિયું જરા પણ તૈયાર ન’તું અને આજે રજા જ પાડી છે !! આજે બાળદિન નિમિત્તે બાળક બની થોડીક મજા લૂંટી જ લેજો લાફિંગ ક્લબમાં રજા પાડીને પણ કારણ એનાં જેવો નિર્દોષ આનંદ ત્યાં પણ નહિં આવે અને હાઆઆ……… આજે એક બીજાં પતંગિયા સ્વયંનો જન્મદિન પણ છે તેને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!
નેનોના ફુટી નીકળેલાં વિરોધીઓને : કૃષ્ણ દવે
Monday, October 13th, 2008નેનો ….નેનો…..નેનો , ઉફ્…!!
ટીવી, ન્યુઝપેપર(પાછું દરેક કોલમમાં), પાનનાં ગલ્લે, શાકભાજીનાં ગલ્લે કે મોર્નિંગ- ઈવનીંગ વૉક કરવા જાઓ કે અનિમેષભાઈના બ્લૉગ પર પણ ?!! બધે બસ નેનો, નેનો અને નેનો…… તો વૅબમહેફિલ પર પણ ??
થયું એવું કે ગઈકાલે આપણા કવિ કૃષ્ણભાઈ દવે સાણંદ રોડ પરથી પસાર થયાં અને યાદ આવી ગઈ નેનો !! પછી તો શું એમણે પણ એક કવિતા ‘નેનો’ પર લખી જ નાંખી. આમ તો રાજકારણ અને મારે બાર ગાઉનું છેટું પણ આ છેલ્લાં અંતરાની વાત મને ગમી ગઈ કે ઘણાં પરિવારો કદાચ નાનકડી ગાડીનુ સપનું જોઈ શકશે જો નેનો માર્કેટમાં આવશે અને મધ્યમવર્ગનું તો આંગણું આ ગાડીથી શોભી જ ઊઠશે. જો કે આજે સાણંદના રાજવી ઠાકોર જયશિવસિંહજી કહે છે એમની જ જમીન ૧૧૦૦ એકર છે તો કદાચ વિરોધ શાંત થઈ પણ જાય કાં તો મમતાવાળી પણ થાય ? જોઈએ… કોને શું પેટમાં દુ:ખે છે ?
જ્યાંને ત્યાં પાડીએ ના ઘાંટા, જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
મમતાની જેમ ખોટી મમતા ના રાખીએ ને મારગમાં વેરીએ ના કાંટા,
આ તો ગુજરાતની છે જનતા, ને કહી દેશે તમને પણ બાય બાય ટાટા.
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
સૂક્કી ભઠ્ ધરતીમાં ચંદન રોપાય એમાં દુખ્યું ક્યાં પેટમાં બોલો ?
આંધળો વિરોધ આમ કરતા રહો છો કદીક અંતરની આંખને તો ખોલો.
કોઈ શું ઉખેડવાના ? સૌના વિકાસના જે હૈયે નંખાઈ ગયા પાટા.
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
નાનકડું ઘર હોય,નાનકડું આંગણું ને નાનકડી હોય એમાં નેનો !
નાનકડા માણસનું સપનું ફળે છે એમાં વાંધો છે આપશ્રીને શેનો ?
ખુરશી દેખાતી બંધ થઈ ગઈ છે એમાં શું ફળ બધાં લાગે છે ખાટાં ?
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
- કૃષ્ણ દવે
( આ રચનાકાર કે વૅબમહેફિલને રાજકારણ સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી.)
મહાભારત : એક માથાકૂટ
Sunday, August 24th, 2008
આજે જન્માષ્ટમી ….અને કૃષ્ણ તો સૌ સાહિત્યકારનો પ્રિય કથાનાયક.
લાગે છે કે આપણામાં ક્યાંક તો ગોપીભાવ છુપાયેલો જ છે જે આપણને કૃષ્ણ પ્રત્યે આકર્ષે છે
અને તેની નિકટ રહેવા મજબૂર કરે છે. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણના વ્યક્તિત્વના કે જીવનના
દરેક પાસાને ઉજાગર કરતી ઘણી રચનાઓ થઈ છે. પણ આપણા ‘કૃષ્ણ’ દવે દર વખતની જેમ કંઈક નવી જ વાત લઈને આવે છે. મહાભારતના મહાન પાત્રોની મજબૂરી પર એક વ્યંગાત્મક કાવ્ય……
જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. -૧.
રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. -૨.
સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. -૩.
આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. -૪.
નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. -૫.
નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. -૬.
ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. -૭.
સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. -૮.
કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. -૯.
તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. -૧૦.
અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. -૧૧.
છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. -૧૨.
મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. -૧૩.
નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. -૧૪.
થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. -૧૫.
અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. -૧૬.
ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. -૧૭.
મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. -૧૮.
-કૃષ્ણ દવે
૧. કૃષ્ણ ૨. ભીષ્મ ૩. ધૃતરાષ્ટ્ર ૪. ગાંધારી ૫. કુંતી ૬. સહદેવ ૭. દ્રૌપદી ૮. ભીમ ૯. કર્ણ
૧૦. અર્જુન ૧૧. એકલવ્ય ૧૨. અભિમન્યુ ૧૩. શકુનિ ૧૪. દ્રોણ ૧૫. દુર્યોધન
૧૬. અશ્વત્થામા ૧૭. યુધિષ્ઠિર ૧૮. વેદવ્યાસ

