Archive for the ‘ચીનુ મોદી’ Category
કૈં જ દેખાતું નથી : ચિનુ મોદી
Wednesday, September 30th, 2009

માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર, તો કૈં જ બોલાતું નથી.
રોજ મારા નામ, જોગી ચિઠ્ઠી મોકલતા તમે,
રોજ આંખો તાણતો, પણ કૈં જ વંચાતું નથી.
રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલ, પાંદડાં,
કૈંક ખામી છે કે, બુલબુલ એ છતાં ગાતું નથી.
ખૂબ સગવડ છે છતાં પણ શું કરું આ સ્વર્ગને ?
મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક છે, ‘ઇર્શાદ’ પકડાતું નથી.
- ચિનુ મોદી
શનિસભામાં તેમના આગવા અંદાજમાં માણેલી એક ગઝલ…. ચિનુકાકાનાં જન્મદિને મબલખ શુભેચ્છાઓ સહ !!
.
મહેફિલ : ચિનુ મોદી
Tuesday, September 30th, 2008
ગઝલને થયું : છે આ ‘ઈર્શાદ’ તો,
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
ગઝલ સહજ રીતે જ્યાં ઠરીઠામ થઈ ગઈ છે તેવા આપણા કવિશ્રી ચિનુ મોદીનો આજે જન્મદિન છે. આજે માણીશું તેમના કેટલાંક શેર….. (કોઈ એક જ ગઝલ પસંદ કરતાં મુશ્કેલી પડી તો આજે મનભાવન શેરની મહેફિલ )
પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાની જીદ ઝાકળ ના કરે
તો ઝાંઝવાં પર તડકાનો સિતમ કેવો ?-
ધોમ તડકાના સિતમ પર છે સિતમ,
ઝાંઝવાની જોઈ લે તું અવદશા.
તીવ્ર વેદના વચ્ચે પણ કવિનું ખુમારીસભર આવેદન-
ઠાઠ ભપકા એ જ છે ‘ઈર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
આંસુના પટને આમ શબ્દમાં કોણ બાંધી શકે ?!!
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો !
તો પોતાનું સરનામું જણાવતાં કહે છે,
નામ-સરનામાં હવે ‘ઈર્શાદ’નાં શાં પૂછવાં ?
સાત સૂકાં પાંદડાં પર આંસુઓની છાપ છે.
મનનાં વિચારોનું દ્રઢીકરણ ઈચ્છામાં પરિવર્તિત થાયને
પછી તો એને હાથ-પગ પણ આવી જાય …!!
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
તીવ્ર ઈચ્છાનો વખત ચાલ્યો ગયો,
નખ વગરના શું કરું હું આંગળાં ?
અને હવે તો -
तेन त्यकतेन भूंजिथा: ની પેલે પાર
કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.
શબ્દોના સાગરમાં ડૂબકી લગાવી આપણને અણમોલ મુક્તકો આપનાર કવિશ્રીને જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વૅબમહેફિલ અને તેના સૌ વાંચકો તરફથી……..
અભિનંદન
Wednesday, September 24th, 2008
(ફોટો સૌજન્ય : સંજય વૈદ્ય)
કિનારા નથીને નદી પણ નથી
તને એવી ક્ષણ સાંપડી પણ નથી
મને જીવવા એક બહાનું મળે
કહે છે : ખુદા ઘાતકી પણ નથી
અરીસા ઊપર ધુળ જામી ગઈ
ખરાં છો તમે, ઝાપટી પણ નથી
હતા જેમ જેવા, જણાયા અમે,
કદી જાતને છાવરી પણ નથી
તને કોઇ “ઈર્શાદ” કહેતું નથી
ગઝલ લોહી રેડી લખી પણ નથી
- ચિનુ મોદી
આપણા આધુનિક કવિ ચિનુ મોદીને આદ્ય કવિ નરસિંહ મહેતા પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો છે. તો વૅબમહેફિલ અને શનિસભાના સૌ મિત્રો તરફથી ચિનુકાકાને ખૂબ ખૂબ અભિનંદન…!!
વિશ્વ હૃદય દિન નિમિત્તે એક રચના લાગણીવશ હૃદય !

