Archive for the ‘નરસિંહ મહેતા’ Category
જળકમળ છાંડી જાને, બાળા ! : નરસિંહ મહેતા
Tuesday, September 7th, 2010
.
.
.
જળકમળ છાંડી જાને, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક ! તું મારગ ભૂલ્યો ? કે તારા વેરીએ વળાવિયો ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો ?
‘નથી નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું હારિયો.’
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યાં, તેમાં તું અળખામણો ?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’
‘શું કરું, નાગણ, હાર તારો ? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ ! તારે ઘરમાં કરવી ચોરિયો?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડી વિનવે: ‘સ્વામી, મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ, શ્રીકૃષ્ણને રે વધાવિયો ;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.
- નરસિંહ મહેતા
.
આપણે સૌ બાળપણથી જ કૃષ્ણ જીવનની ગાથાઓ સાંભળી મોટાં થયાં છીએ. બાલ્યકાળનાં તેનાં પરાક્રમોએ આપણને એટલાં આકર્ષ્યાં છે કે આજે પણ ભૂલ્યા ભૂલાયાં નથી. અને તેવી જ એક રચના એટલે જળકમળ… ! યમુનાતીરે ગેડી-દડો રમતાં રમતાં દડો બહાર કાઢવાનાં બહાને, બાળ કાનુડો લોકોને કાલિનાગનાં ત્રાસથી છૂટકારો અપાવે છે. તો વળી, દામોદર-લીલાને હરીન્દ્ર દવેની કલમે માણવી જરુર ગમશે.
.
.
.
પરભાતે મહી મથવા : નરસિંહ મહેતા
Monday, September 6th, 2010.
.
પરભાતે મહી મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.
માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.
વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.
બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.
- નરસિંહ મહેતા
.
શ્રાવણ એટલે કે, ઇશ્વર માટે પ્રેમ અને ભક્તિનો મહિનો. આમ તો, ભોલે શંકરને જ દૂધ – બીલીથી ખુશ કરવાનો મહિનો. પણ, હમણાં જ જન્માષ્ટમી ગઇ છે તો કૃષ્ણલીલાનું વર્ણન કરતાં કેટલાંક ગીત – ભજનોને માણીશું. બાળ કાનુડો, મૈયા જશોદાને મહી વલોવવાની મદદ કરવાનું કહે છે. ત્યારે સર્વ દેવી-દેવતાઓને સમુદ્ર-મંથન યાદ આવી જાય છે. વિષ્ણુ ફરીથી જો મહી વલોવવા બેસી જશે તો ? - આથી મેરૂ ( એક પર્વત) અને વાસુકિ નાગ ( જેને દોરડું બનાવ્યું ) ની મદદથી સમુદ્રમંથન કરેલું તે બન્ને કહે છે, હવે ફરીથી સમુદ્ર – મંથન કરશો તો અમારું શું ? વળી, મહાદેવજી કહે છે, હવે ફરીથી ઝેર નીકળશે તો હું કેમ કરીને પીશ ? આથી બ્રહ્મા – ઇંદ્ર સર્વે દેવી-દેવતાઓ બાલ કૃષ્ણને વિનંતી કરીને મહી વલોવવાની ના પાડે છે.
.
શબ્દાર્થ : ગોળી – દહીં વલોવવાનું એક ગોળ વાસણ. મેરુ – એક પર્વતનું નામ. ( તેને આધારે પૃથ્વી રહેલી છે અને ગ્રહો તેની આસપાસ ફરે છે. વળી, તે સોનાનો પર્વત છે, જેની ઉપર ઇંદ્રની નગરી વસેલી છે ) રવૈયો – દહીં વલોવવા માટેનો એક ઊભો વાંસ. (મંથનદંડ) વાસુકિ – નાગોનો રાજા. નેતરું - દહીં વલોવવા માટે રવૈયાને ફરતે ત્રણ-ચાર આંટા મારી વીંટવામાં આવેલું દોરડું. ( દેવ-દૈત્યોએ ભેગાં મળી, સમુદ્ર મંથન કરેલું ત્યારે મેરુ પર્વતનો રવૈયો કરેલો અને નેતરું વાસુકિ નાગનું બનાવેલું. તે ઘટના આધારિત ઉપરોક્ત ગીત છે. )
.
.
હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
Tuesday, August 17th, 2010
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
- નરસિંહ મહેતા
આશરે પંદરમી સદીથી ગુજરાતી ભાષા પોતાનો અજવાશ ફેલાવી રહી છે. ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસ પર એક નજર નાંખીએ તો, જૈનાચાર્યો અને સંતોએ, તેને ભક્તિપદોમાં જાળવી છે, મૂલવી છે. વૅબમહેફિલની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે આ સપ્તાહમાં આવાં સાહિત્યકારો અને તેમની કૃતિઓને યાદ કરીશું. નરસિંહ મહેતા એક એવું નામ છે જે દરેક ગુજરાતીનાં હૈયે અને હોઠે વસેલું જ હોય… ! આશરે પંદરમી સદીમાં થયેલ આ ભક્તકવિનાં બે દિવ્ય, ગોપીભાવનાં ભક્તિ પદો માણીશું.
હળવે હળવે હરિ, મનમંદિરમાં પધારી, એવું કામણ કરે છે કે, ઘરનું બધું કામકાજ ભૂલી પ્રભુમય બની જાય છે.અને તેનો સંગ લાગતાં જ , ભવભવની ભાવટ ભાગે છે. શબ્દોનું પુનરાવર્તન આ પદને અદ્ભૂત લય બક્ષે છે.
.
.
ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
Tuesday, August 17th, 2010
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. – ભોળીo
અનાથના નાથને વેચે આહિરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. – ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. -ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. – ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. – ભોળીo
- નરસિંહ મહેતા
સોળ સહસ્ત્ર ગોપીઓનો વ્હાલો, અનાથનો નાથ અને ચૌદ લોકનો સ્વામીને ભોળી ભરવાડણ મટુકીમાં ઘાલી, વેચવા ચાલી નીકળી છે. કૃષ્ણમય ગોપી, મહી લ્યો ને બદલે લ્યો કોઇ મોરારિ બોલી ઊઠે છે અને એ અલૌકિક સંવેદનની અનુભૂતિએ નરસૈંયો સર્જે છે એક અદ્ભૂત ગીત ! વળી, ભોળી ભરવાડણનાં ભાગ્ય પણ કેવાં કે, મટુકીમાં મહીને બદલે, મોરલી વગાડતાં કૃષ્ણને નિહાળી પણ શકે છે ?!!
શબ્દાર્થ : સહસ્ત્ર – હજાર. કૌતક (કૌતુક) – અજાયબી, ચમત્કાર. પેખવું – જોવું.
.
.
જાગને જાદવા : નરસિંહ મહેતા
Tuesday, August 18th, 2009
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળિયો કુણ થાશે ? – જાગને.
દહીંતણાં દૈથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયેલ દૂધ તે કુણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ વહેશે ? – જાગને.
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કુણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કુણ સાહશે ? - જાગને.
- નરસિંહ મહેતા
નરસૈંયાનાં પરભાતિયાંએ ગુજરાતી સાહિત્યનું પ્રભાત ઊગ્યું અને આજે પાંચ-છ સદી પછી પંણ, પ્રભાતિયાં હજુ પણ લોકહ્રદયે બિરાજમાન છે. આશ્ચર્ય થશે, પણ હજુ પણ અમારા વિસ્તારમાં એક મહારાજ પ્રભાતફેરી માટે આવે છે ( મહિનામાં એકાદ-બે વાર , પછી દક્ષિણા લઈને બીજા મહિને ) પણ જે દિવસે આવે તે દિ’ સારો તો ઊગે જ … કેવો જાય એ તો .. ?!!
જે આપણને જગાડે તેનેય જગાડવો પડે ?!! ઈશ્વર તો જાગતો જ હોય તેને જગાડવો ના પડે… છતાં નરસૈંયો કૃષ્ણને જશોદાની જેમ લાડથી જગાડે છે અને કહે છે, જાગને જાદવા.. ! જેનો આતમ જાગેલો, તેવો નરસૈંયો આવું કેમ ગાય ? દુન્યવી વાસ્તવિકતા કોઇક વાર એટલી કડવી લાગે કે, એવું જ થાય… અરે, ઈશ્વર સૂઈ ગયો છે કે શું ? એમ પણ થઈ જાય કે ના.. ના… ઈશ્વર છે જ નહિં ક્યાંય. જોકે, પરોક્ષ રીતે, ત્રણસેં ને સાંઠ ગોવાળિયાની વાત કરીને આખું વર્ષ હર ક્ષણ આપણને જ જાગતા રાખવાની વાત કરી જ દે છે.
શબ્દાર્થ : કુણ – કોણ, વાહશે – વહેવડાવશે, સાહવું – પકડવું , બાંહે – હાથ, કર.
.
