Archive for the ‘નિરંજન ભગત’ Category
ન-કશાનું નગર : નિરંજન ભગત
Monday, February 28th, 2011.

( a painting by Dutch traveller Phillipus Baldaeus during 17th century )
.
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા,
કોઈને ખબર નથી
એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં,
એ તો જો કે એમને પણ ખબર નથી.
કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા.
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
કોઈને ખબર નથી.
કે શાથી એ રાતે વણીને દ્હાડે ઉકેલી રહ્યો.
પણ એને શું ખબર નથી.
કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો ?
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો.
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો.
વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા.
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર,
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર.
- નિરંજન ભગત
.
નગર એટલે ઈંટ, માટી ને પથ્થર માત્ર ? નકશામાં દેખાતું નગર – અમદાવાદને સત્તરમી સદીમાં કોઇ ડચ મુસાફરે રંગોમાં ઉતાર્યું છે. પણ એ સિવાય પણ, ન-કશાનું નગરમાં કશુંક તો છે.
.
.
.
.
રે આજ અષાઢ આયો : નિરંજન ભગત
Wednesday, July 14th, 2010

.
રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !
દૂરને દખ્ખણ મીટ માંડીને, મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને, વરસી હેતની હેલ ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !
મેઘવીણાને કોમલ તારે, મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે, રેલ્યા મલ્હારસૂર ;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !
જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો, સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો, મને, ન લાગ્યો રંગ ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !
આપણે રે પ્રિય, સામસામે તીર, ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર, વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !
બિરહમાં બાઢ લાયો, રે આજ આષાઢ આયો !
- નિરંજન ભગત
કવિ નિરંજન ભગતની કલમે મેઘદૂતનાં વિષયવસ્તુની (?) કાવ્યમય રજૂઆત.
.
શબ્દાર્થ : માઢ – શાસ્ત્રીય સંગીતનો એક રાગ, દખ્ખણ – દક્ષિણ દિશા, અલકા – કાલિદાસ રચિત મેઘદૂતમાં વર્ણવેલ અલકાનગરીનો સંદર્ભ, બિરહ – વિરહ.
.
.
.
.
