Archive for the ‘નિર્મિશ ઠાકર’ Category
ઘર અશ્રુનું : નિર્મિશ ઠાકર
Sunday, March 8th, 2009
જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?
- નિર્મિશ ઠાકર
નિર્મિશભાઈએ પોતાની કલમથી સ્ત્રીની લાગણીઓને વાચા આપી છે. સ્ત્રીને તો પોતાનું ઘર લાગે એવી વર્તણૂંક માત્રથી જ તેને તેનું ઘર મળી જશે કોઈ કાયદા-કાનૂન મુજબ તેનાં નામે ઘર કરવાની વાત નથી. જેમ પન્ના આંટીના કાવ્યમાં સ્ત્રી સ્વાતંત્ર્ય ચીસો પાડીને એટલું જ કહે છે તેને પોતાની ‘માત્ર’ પોતાની કહેવાય એવી ક્ષણો જીવવી છે. રસોઈ કરતાં કરતાં મસાલાનાં ડબ્બામાં મીઠા, મરચાં, હળદરમાં કો’ક વાર તેનો સફેદ, લાલ કે પીળો રંગ આંખમાં ઊભરાઈ આવે તો કેન્વાસ પર એક પીંછી મારવાની મોકળાશ જોઈએ છે. કૂકરની વ્હીસલમાં જો સંગીતનો કોઈ આઠમો સૂર સંભળાય તો સિતારનો એક તાર છેડવાની સ્વતંત્રતા જોઈએ છે. જય વસાવડા કહે એમ, ‘woman’ તો ‘working’ જ હોયને ?!! તે પછી ઘરમાં કે બહાર…. પણ તે આવી મોકળાશ કે સ્વતંત્રતા માંગે તો તેને સ્વચ્છંદતા તો નહિં કહોને ?!! શક્ય છે અરુંધતીનો નાનો અને ઝાંખો તારો ધ્રુવ સમાન ઝળહળી ઊઠે !!
.
ફ્લેટને ત્રીજે માળેથી
Thursday, September 11th, 2008
તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો,
નીચે આવ્યો તન ઉપરને તુર્ત ફેલાઈ જાતાં,
પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રુંધાઈ જાતાં.
શું છે.. શું છે ? અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,
છાંટ્યું કો’કે તરત જળ ને ઉઘડ્યો એક ચ્હેરો !
( ગેલેરીથી ઘટઘટ પીતો દૃશ્ય હું ભવ્યતાનું ! )
ઊઠ્યો એહ ! કડક હલકી ગાળ દેવા ફરીને ,
નાઠો હું તો ઘર મહીં, ડરી ઈચ્છતો ઊડવાને !
( નીચે પેલો કર ઘસી રહ્યો, ઈચ્છતો ઝૂડવાને ! )
ના પાડી મેં પથ તરફ કૈં ફેંકવા શ્રીમતીને,
હે પંથીડા, સુખથી ફરજો ફલેટ પાસે ફરીથી !
રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે ?
આવે તોયે છતરી લઈને, બહાર ન કાઢે માથું ,
કાઢે ક્યાંથી ? સ્મરણ નડશે ક્રૂર આ હસ્તનું ત્યાં !
લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે ?
- નિર્મિશ ઠાકર
હાસ્ય લેખની સાથે આ હુરટી કવિ પ્રતિકાવ્ય પણ રચે છે અને તે પણ પોતાની આગવી શૈલીમાં….
કલાપીનું તે પંખીની ઉપર પથરો…. વાંચ્યું જ હશે પણ નિર્મિશના શબ્દોમાં પંથી અને કચરો ફેંકનારની અવદશાને જાણીએ.
