Archive for the ‘પ્રેમાનંદ’ Category

  • મને કેમ વિસરે રે ? : પ્રેમાનંદ


  • મને કેમ વિસરે રે ? : પ્રેમાનંદ

    Thursday, September 9th, 2010

     

     

    પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
    હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ?

    આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે,
    હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ?

    અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે,
    હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ?

    આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે,
    હાજી સુખદુ:ખની કરતા વાત મને કેમ વિસરે રે ?

    પાછલી રાતના જાગતા તને સાંભરે રે,
    હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે ?

    ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે,
    હાજી જાચવા કોઈ શ્રેષ્ઠ મને કેમ વિસરે રે ?

    કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે,
    કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે ?

    શરીર આપણાં ઊકળી ગયાં તને સાંભરે રે,
    હાજી લાગ્યો સૂરજનો તાપ મને કેમ વિસરે રે ?

    ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે,
    ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે ?

    આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે,
    હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે ?

    ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે,
    હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે ?

    શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે,
    હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે ?

    નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે,
    હાજી ઘન વરસ્યો મૂશળ ધાર મને કેમ વિસરે રે ?

    એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે,
    થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે ?

    ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે,
    ગોરાણીને આપ્યો ઠપકો અપાર મને કેમ વિસરે રે ?

    આપણને છાતિયે ચાંપિયાં તને સાંભરે રે,
    હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે ?

    ગોરાણી ગાય દોતાં હતા તને સાંભરે રે,
    તમને દાણ માગવાની ટેવ મને કેમ વિસરે રે ?

    મેં નિશાળેથી હાથ લંબાવિયો તને સાંભરે રે,
    દીધી ગોરાણીએ દોણી તતખેવ મને કેમ વિસરે રે ?

    ગોરાણીને નીપજ્યું જ્ઞાન તને સાંભરે રે,
    તમને જાણ્યા જગદાધાર મને કેમ વિસરે રે  ?

    - પ્રેમાનંદ

    મૈત્રીનું એક ઉત્તમોત્તમ ઉદાહરણ એટલે કૃષ્ણ – સુદામા.  તાંદુરની પોટલી લઇને આવનાર સુદામાને કૃષ્ણ હેતેથી ગળે લગાડે છે અને મીઠાં સંભારણામાં ખોવાઇ જાય છે.  અચાનક જ કોઈ જૂનો મિત્ર મળી આવે અને આપણે સ્કૂલમાં / કોલેજમાં આ કરતાં- તે કરતાં ની જૂની વાતોએ વળગી પડીએ એમ જ કૃષ્ણસુદામા પણ – ગુરુકુલમાં ભણતાં તેની વાતોને યાદ કરી શામળિયો પૂછે છે, તને સાંભરે રે ?  અને ઉત્તરમાં સુદામા  કહે છે, મને કેમ વિસરે રે ?

     

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME