Archive for the ‘બાલમુકુન્દ દવે’ Category
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે
Monday, July 19th, 2010

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી, પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી, પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી, આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી, આ હરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી, એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી, આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી, પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી, પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.
- બાલમુકુન્દ દવે
આષાઢી અવસરને ઊજવ્યાં બાદ, શ્રાવણની નીતરતી જલધારાને ઝીલવું ગમશેને ?!! શ્રાવણનાં સોહામણાં દિવસો - એ તો કો’ જતિ - સતીનાં તપનું પુણ્ય. કપૂર જેવી કાયા તો પળમાં ધૂપ બની ઊડી જશે. નેવલેથી ટપકતાં આ અમૃતને હૈયે ઝીલી લેજો, એળે ના જવા દેતાં…. !
.
પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે
Monday, February 16th, 2009
કેવા રે મળેલા મનનાં મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલાં મનનાં મેળ ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાનાં રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
- બાલમુકુન્દ દવે
આ ગીત તો હર પ્રેમીજનને કે સાહિત્યપ્રેમીને હૈયે…… પણ પૂરા શબ્દો સાથે માણવું આપ સૌને ગમશે. બે મળેલાં મનની વાતને ઉજાગર કરતું પ્રણયગીતની જેમ સૌનાં મનમેળ રહે તેવી શુભેચ્છાઓ સહ !!
.
