Archive for the ‘ભરત વિંઝુડા’ Category
ઈશ્વરમાં : ભરત વિંઝુડા
Tuesday, September 13th, 2011.
તું નદી છે તો જા સમંદરમાં,
નહીં સમાવી શકું હું ગાગરમાં !
બેઉ બાજુ વિચાર તારા છે,
કેમ પડખું ફરું હું બિસ્તરમાં !
તૂટતાં-તૂટતાં વધે છે પણ,
માત્ર સંખ્યા જ આમ પથ્થરમાં !
તે પછી તારા ગામની હદ છે,
આવું છું ગામમાંથી પાદરમાં !
આપણાંમાં કશુંક ખૂટે છે,
શોધીએ છીએ એ જ ઈશ્વરમાં !
- ભરત વિંઝુડા
,
,
સીધી બાત દિલસે…. ગઝલિયત ને બરકરાર રાખીને પણ ગઝલ કેટલી સહજ અને સરળ રીતે ખૂલી શકે છે !!
.
.
.
.
સાચવીને રાખ્યો તેં ! : ભરત વિંઝુડા
Monday, April 18th, 2011.
( આ જગતનો કોઈ જવાબ નથી ?!! )
.
મેં ન પીધો તો ઢોળી નાખ્યો તેં,
જામ જે સાચવીને રાખ્યો તેં !
આ જગતનો કોઈ જવાબ નથી,
એમ ઉત્તર છતાંય આપ્યો તેં !
બીજા હાથે લખું છું ગઝલો હું,
જ્યારથી એક હાથ ઝાલ્યો તેં !
આ નગરમાં ય હું અજાણ્યો છું,
જે રીતે સહેજ પણ ન જાણ્યો તેં !
ચારેબાજુ ફરી વળ્યાં પાણી,
જ્યાં હતો ત્યાં મને ડૂબાડ્યો તેં !
- ભરત વિંઝુડા
.
.
જ્યારથી એક હાથ ઝાલ્યો તેં, બીજા હાથે લખું છું ગઝલો હું. અને એટલે જ તો - આ ગઝલનો કોઈ જવાબ નથી !
.
.
.
.
પ્રયાસ ન કર : ભરત વિંઝુડા
Monday, December 6th, 2010.
પ્રેમ કરવાનો તું પ્રયાસ ન કર
આ જગતને વધુ ઉદાસ ન કર
તું મને શોધ સામી છાતીએ
પીઠ પાછળ બહુ તપાસ ન કર
દૂર તું ને નજીક પણ તું છે
બે જગાએ સતત નિવાસ ન કર
એક એને નિહાળીએ તો બસ
એટલાથી વધુ ઉજાસ ન કર
આમ હર પળ મને મિટાવીને
ખાલીપાને ય તું ખલાસ ન કર
- ભરત વિંઝુડા
.
.
પ્રેમ હોય એટલે અપેક્ષા રહેવાની અને સ્વાભાવિક છે અપેક્ષા હોય ત્યાં જગતને ઉદાસી મળે જ. પણ પ્રેમ વિના જિંદગીમાં ઉજાસ હોય ? આથી જ તો કવિ કહે છે, પ્રિયજનની યાદ પણ મિટાવીશ તો જિંદગીમાં ખાલીપો પણ નહિં રહે !
.
.
.
.
પંખીઓ જેવી તરજ : ભરત વિંઝુડા
Thursday, July 22nd, 2010

( પોતપોતાનો સૂરજ )
પોતપોતાનો સૂરજ લઈ નીકળ્યાં,
માપસરની સૌ સમજ લઈ નીકળ્યાં.
વસ્ત્ર ખંખેરો તો ખંખેરાય તે,
ઊડતી થોડીક રજ લઈ નીકળ્યાં.
આપણે ઘડિયાળના કાંટાની જેમ,
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં.
એક પગ અટકે ને ચાલે છે બીજો,
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં.
શબ્દને મૂકી દઈને કોશમાં,
પંખીઓ જેવી તરજ લઈ નીકળ્યાં.
– ભરત વિંઝુડા
શબ્દને શબ્દકોશમાં જ રાખી, આ ગઝલને માણીએ તો ? કારણ, આ તો આપણાં સૌનાં દિલની વાત જ છે….. બસ, પોતપોતાનો સૂરજ લઇને નીકળી પડીએ ?!! ભરતભાઇનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.

