Archive for the ‘મનોજ ખંડેરિયા’ Category

  • ચોમાસું : મનોજ ખંડેરિયા
  • અષાઢમાં : મનોજ ખંડેરિયા
  • આ સફરની વચાળે : મનોજ ખંડેરિયા
  • એક પળ નીકળે : મનોજ ખંડેરિયા
  • કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા
  • કાટ રે ચડેલ કડાં ખર્યાં : મનોજ ખંડેરિયા
  • કોને ? : મનોજ ખંડેરિયા
  • જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા
  • ઢળતી રે સાંજ : મનોજ ખંડેરિયા
  • નિસાસો : મનોજ ખંડેરિયા
  • નેવાં : મનોજ ખંડેરિયા
  • વાત : મનોજ ખંડેરિયા
  • વાસંતી વધામણાં : પગલાં વસંતનાં : મનોજ ખંડેરિયા
  • શું ખબર : મનોજ ખંડેરિયા
  • સૂરજમુખી : મનોજ ખંડેરિયા
  • હસ્તપ્રત : મનોજ ખંડેરિયા


  • જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા

    Monday, July 6th, 2009

     

    ક્યાંક

    વચ્ચેથી અચાનક

    વાતનું અનુસંધાન તૂટી જાય

    ને મન તો ખોવાઈ જાય

    કોઈ અગોચર ગલીમાં

    અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

    ઝાંખાપાંખા લખેલા નંબરમાં

    મને વંચાય છે મારી જન્મ-તારીખ.

     

    તારીખ સાથેના

    સંબંધો તો તૂટી ગયા છે ક્યારનાય

    છતાં તારીખનાં પાનાં

    હજી એવાંને એવાં છે અકબંધ.

    કોઈ પણ પાનું હજી ફાડ્યું નથી

    …………….

    આજ સુધી

    તારીખનાં પાનાં તેથી જ અકબંધ છે

    ક્યારેક એમ લાગે કે હાથ અંધ છે

    અગર હાથને તારીખ સાથે હશે અણબનાવ

    પણ એવું નથી

    ………..

    હાથ તો અટકી ગયો છે

    ક્યારનોય તારીખનાં પાનાનાં રસ્તે

    અને

    ક્યારેય પ્હોંચશે કે કેમ

    એવી કોઈ ઘટનાનું બીજ ઊગશે કે કેમ

    એ પ્રશ્ન લઈને ઊભો છું

    અગોચર ગલીનાં કોઈ અગોચર મકાને

    અને વાંચું છું

    મકાનના નંબરમાંથી મારી જન્મ-તારીખ.

    - મનોજ ખંડેરિયા

     

    મનોજ ખંડેરિયાનાં જન્મદિને માણીએ તેમની કલમે તેમના દીર્ઘ અછાંદસ ‘જન્મ-દિવસે’ નાં અમુક અંશો.  અગોચર મકાન પર ઝાંખાપાંખા લખેલા નંબરમાં જન્મ-તારીખ વાંચતાં વાંચતાં, આપણે ક્યારે મકાનને આપણું બનાવી દઈએ છીએ તેનો ખ્યાલ પણ નથી રહેતો. .

    ક્યાંક વાંચેલું, જો તમે ઈશ્વર સાથે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરતાં હો, તે જરુર મનમાં મલકાતો હશે.  બસ, એવું જ …. કંઈક !  આજે તેમનાં જન્મ-દિવસે તેમની વૅબસાઈટ પણ લૉન્ચ કરવામાં આવી છે.

     

     

    .

    શું ખબર : મનોજ ખંડેરિયા

    Thursday, April 9th, 2009

     

    ટેરવાં સૂરજ બની ગયાં,
    હાથને રસ્તા મળી ગયાં.

    આયનો ફૂટ્યાથી શું વળ્યું,
    પથ્થરો ભોંઠા પડી ગયાં.

    કાળની રહી છે બરડ ત્વચા,
    સ્પર્શના પડઘા શમી ગયાં.

    દોસ્ત, રંગો પ્હાડના લીલા,
    કાળજામાંથી નથી ગયાં.

    શું ખબર એ શ્હેર ક્યાં હતું,
    મીણના નકશા ગળી ગયાં.

    લંગરો છૂટી ગયાં અને,
    શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

    - મનોજ ખંડેરિયા

     

    પ્રતિબિંબ જોઈ અરીસો તોડવાથી, તેના એક એક ટુકડામાં આપણું પ્રતિબિંબ પડશે અને ત્યારે પથ્થરો શું ભોંઠા નહિં પડે ? ટૂંકી બહેરની આ ગઝલમાં ઉત્તમોત્તમ કલ્પનો મનોજભાઈએ પ્રયોજ્યાં છે.

     

     

    .

    વાસંતી વધામણાં : પગલાં વસંતનાં : મનોજ ખંડેરિયા

    Friday, January 23rd, 2009

     

    આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
    ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના.

    મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
    દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

    આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
    જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

    મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
    મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

    ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
    હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

    ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
    પાછા ફરી ન આવશે તડકા વસંતના !

     

    ભરપાનખરે પણ હૈયે વસંતનાં છાંટા અને આંખમાં આંબા મ્હોરે આ વાસંતી ગઝલ વાંચીને તો….. !! શબ્દે શબ્દે વસંતનો સ્પર્શ….. !!

     

    .

    નેવાં : મનોજ ખંડેરિયા

    Monday, October 27th, 2008

     

    “આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ;
    શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.”- મનોજ ખંડેરિયા.

    અને સાચે જ,

    “ગઝલના થડમાંથી
    કોતરણી કરી હોય
    એવા એક ચહેરાનો આદમી મનોજ.” (રમેશ પારેખ) ૨૭ ઑકટોબર,૨૦૦૩નાં રોજ કેન્સરના કારણે આ ફાની દુનિયા છોડીને ચાલી ગયાં. જો કે ‘ગઝલ તણી નસનસમાં’ હજુયે ધસમસતા વહી રહ્યા છે તેમના શબ્દો ‘કંકુ અને ચોખા’ બનીને અને ‘શ્રી સવા’ લખી ગુજરાતી ગઝલને શુકનવંતી બનાવી રહ્યા છે. એમણે કહેલું એમ ‘મારો અભાવ મોરની માફક ટહુકશે’ જ પણ બસ, ‘ક્યાંય પણ ગયો નથી’ કહી મન મનાવવું જ રહ્યું. આજે તેમની એક હાઈકુગઝલ…!!

    ટપકે નેવાં
    આજે તો અવકાશે
    છલકે નેવાં

    રાત પડે ને
    સામે ઘેર જવાને
    સરકે નેવાં

    કોણ આવતું
    આજ આંખની જેવાં
    ફરકે નેવાં

    અષાઢ-રાતે
    કણું બનીને આંખે
    ખટકે નેવાં

    પાંખ-પાંખમાં
    મૌન ધ્રૂજતું ભીનું
    ધબકે નેવાં

    - મનોજ ખંડેરિયા

     

    હૃદય પણ ભીંજાઈને નેવાંની જેમ ચૂવે નહીં તો જ નવાઈ ? આકાશનાં નેવાંય મન મૂકી વરસે અને જ્યારે નેવાં સરકવાની વાત કરે છે ત્યારે આપણું મન પણ તેની સાથે સામે ઘેર પહોંચી જાય છે. ફરકવાની ઘટના આંખની પણ બીજું કોણ ‘ફરકી’ જાય છે નેવાં સાથે ? ને અષાઢી રાતના પ્રિયજનનો અભાવ કેવો સાલે કે એ જ નેવાં અંતે આંખમાં ખટકે અને પછી રાતનાં સન્નાટામાં ધબકતું મૌન. કારણ એ એકલતામાં બસ હોય છે તો વરસતો વરસાદ, ટપકતાં નેવાં ને એની સાથે તાલ મેળવતા હૃદયનાં ધબકાર ….!!

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME