Archive for the ‘મીરાંબાઈ’ Category
જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
Wednesday, August 18th, 2010
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. – મારો0
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. – મારો0
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. – મારો0
- મીરાંબાઈ
મીરાંબાઇ આમ તો, રાજસ્થાનનાં … તો ગુજરાતીમાં કેવી રીતે તેમનાં આટલાં બધાં ભજનો ? આ પ્રશ્ન કાયમ મને સતાવતો. પણ, ઘણું કરીને, પ્રાચીન ભજનોને અર્વાચીન બોલીમાં જ આપણે અપનાવી લીધાં છે તેમ, મીરાંબાઇનાં રાજસ્થાની કે હિન્દી ભજનો પણ ગુજરાતીમાં ફેરવાઇ ગયાં હશે ?!! હાલમાં જ ક્યાંક વાંચવામાં આવેલું કે, કૃષ્ણની જે મૂર્તિ લઇને મીરાંબાઈ, મેવાડ ગયેલાં, તે મૂર્તિની સ્થાપના દહેગામ પાસે આવેલ કોઇ ગામમાં કરેલી છે.
મીરાંબાઈ, દેવળ ને કાયા અને હંસ ને આત્માની ઉપમા આપી, સ્થૂળ દેહ નહિં, નિરાકાર આત્મસ્વરુપ જ સત્ય છે, તે બ્રહ્મસત્યને કેટલી સહજતાપૂર્વક વર્ણવે છે !
.
ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
Wednesday, August 18th, 2010
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ.
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.
વિષનો પ્યાલો રાણાએ મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.
- મીરાંબાઈ
રાણી મીરાંબાઇ મહેલ છોડી, મેવાડનાં રાણાને છોડી, સાધુ-સંતોની જોડે વસવાટ કરે છે. કૃષ્ણ દિવાની, પ્રેમ દિવાની મીરાં હરિરસનો પ્યાલો પીવાનું ભૂલી શકતી નથી. રાણા તેમને પત્ર મોકલી, મહેલમાં પુનરાગમન માટે વિનંતી કરે છે પણ, મીરાં તો તેમને પણ રાજપાટ છોડી, સાધુ-સંતો જોડે વસવાટ કરવાનું કહે છે. ત્યારે રાણો ક્રોધિત થઇ, વિષનો પ્યાલો મોકલે છે, પણ હરિરસનો પ્યાલો જેણે પીધો હોય તેને વિષની અસર કેમ થાય ?!!
.
