Archive for the ‘અધ્યાત્મ’ Category

  • અંદર તો એવું અજવાળું : માધવ રામાનુજ
  • અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ
  • આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ
  • ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
  • ઈશ્વર : સૌમ્ય જોશી
  • ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા
  • એ પણ સાચું,આ પણ સાચું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા
  • કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’
  • ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
  • જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
  • ઝાહિદ ! : વિહંગ વ્યાસ
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • પિંડથી બ્રહ્માંડ : હાર્દિક વ્યાસ
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • પ્રાર્થના : સંધ્યા ભટ્ટ
  • પ્‍હેરે છે : કિરીટ ગોસ્વામી
  • મથે છે : બી.કે.રાઠોડ ‘બાબુ’
  • મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
  • યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ
  • વિસર્જન : એષા દાદાવાલા
  • સ્વયં : અશરફ ડબાવાલા
  • હવે ધોધમાર વરસો તો કેવું ? : ભાગ્યેશ જ્હા


  • સ્વયં : અશરફ ડબાવાલા

    Tuesday, September 20th, 2011

    .

    છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં,
    હું છું, એ એના ભાસનો આધાર છે સ્વયં.

    આ શૂન્યતાને શબ્દમાં ઢાળ્યા કરો છો શું ?
    એને ઘડી રહ્યા છો જે આકાર છે સ્વયં.

    વચમાં છું દ્વિધામાં કે હું કોના તરફ વળું,
    એ પાર તારો સાદ ને આ પાર છે સ્વયં.

    મનમાંથી મન તો અમને ફંગોળે મનન સુધી,
    એને કહો એ શું કે જે સરકાર છે સ્વયં.

    અશરફ, તમારા હાથમાં શોભે છે એ કમળ;
    જે આખાય સરોવરનો પણ શણગાર છે સ્વયં.

    - અશરફ ડબાવાલા

    .

    .

    ‘ અહમ્ બ્રહ્માસ્મિ’ નો નાદ ગૂંજવા લાગે ત્યારે સ્વયંને  ‘સ્વયં’ થી અલગ કેમ કરી શકાય ?   આપણું હોવાપણું જ તો ઈશ્વરનાં હોવાપણુંનો આધાર છે.

    .

    .

    .

    .

    કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’

    Monday, September 19th, 2011

    .

    સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
    જાતની સાથે ઝઘડવું જોઇએ.

    બ્હારના સમરાંગણોની વાત શી ?
    ભીતરે કે લમણે લડવું જોઇએ.

    એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
    માનવી છું, મારે ઘડવું જોઇએ.

    આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
    રાહ છે તો કૈંક નડવું જોઇએ.

    આ વિશેષણના વળી શણગાર શા ?
    રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ.

    કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
    ખાલીપાએ પણ ખખડવું જોઇએ.

    પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે,
    આળ જેવું કૈંક ચડવું જોઇએ.

    સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
    ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

    ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
    એય તક છે, કૈંક જડવું જોઇએ.

    – રતિલાલ ‘અનિલ’

    .

    .

    જાતની સાથે ઝઘડવું એટલે, આત્મચિંતન.  જો તટસ્થપણે મનોમંથન કરીએ તો,  આત્મચ્છિદ્ર મળી જ આવે એટલે કે, આપણું જ કોઇ કડવું સત્ય જડી જાય.   ભીનાં ને ભીનાં સડવું એનાં કરતાં તો આત્મપ્રકાશનાં તાપમાં પોતાનાં દોષને દૂર કરવો તે વધુ સારું.  કારણ, આખરે આપણે તો માનવ – ઈશ્વર નિરાકારી નિર્ગુણ સ્વરુપે છે પણ આપણે તો આપણી જાતને ઘડવી જ પડે.

    .

    .

    .

    .

    વિસર્જન : એષા દાદાવાલા

    Thursday, September 1st, 2011

    .

    .

    બાપ અને બાપ્પામાં ઝાઝો ફરક નથી હોતો
    આવું તે જ્યારથી મૂર્તિઓ ઘડતો થયો છે
    ત્યારથી તેને સમજાઈ ગયું છે.

    મૂર્તિઓનું ફિનિશિંગ કરીને
    તે જ્યારે બાપ્પાના હાથમાં માટીના લાડુ ગોઠવતો હોય છે
    ત્યારે તેની દીકરી
    તેની સામે જોયા કરે છે.

    દીકરીના મોઢામાં આવી ગયેલું પાણી
    તેની આંખો સુધી ધસી આવે છે
    અને તે ભીની આંખે બાપ્પા સામે જુએ છે
    પણ બાપ્પાની આંખો ભીની નથી હોતી.

    દર વર્ષે બાપ્પાના હાથમાં માટીનો લાડુ પણ
    તે એટલે જ મૂકે છે
    કદાચ એ સાચો થઈ જાય તો ?
    પણ લાડુ સાચો થતો નથી
    એના હાથમાં હોય છે ત્યારે પણ.

    અને પછી
    નદીના પાણીમાં બાપ્પા
    અને લાડુ નહીં મળતાં
    દીકરીની ભીની થયેલી આંખમાં
    એક  બાપ વિસર્જિત થઈ જાય છે.

    - એષા દાદાવાલા

    .

    .

    માનવીય સંવેદનાને ધડમૂળથી હચમચાવી જાય તેવી એષાની રચનાઓ હોય છે.  આ ગણેશકાવ્ય પણ ગણેશ વિસર્જન સમયે અન્ય કેટલું વિસર્જિત થઈ જતું હોય છે  તે દર્શાવી એષા ફરી એક વાર તેની કલમનો પરચો આપી જાય છે.  બાપ્પાની સાથે આવા ‘બાપ’નો પણ વિચાર કરવો જરુરી છે. જેટલા લાડુનો ભોગ ગણેશને ચડાવીએ જે પાણીમાં ચૂર જ થઈ જતાં હોય છે – તે કો’ક ગરીબની ભૂખ પણ મટાડી શકે. બાપ્પા તો ક્યારે જાગે એ ખબર નથી પણ પ્રદૂષણ અને ગરીબી જેવી સમસ્યાનો વિચાર કરી, ઉત્સવોનો મનાવીએ તો ઈશ્વર પણ પ્રસન્ન રહે.  આજે આપણે ઘરે પણ ‘બાપ્પા’ પધરામણી કરે તો મૂર્તિકારની જોડે ભાવતાલ ન કરતાં. અને એક લાડુનો ભોગ એને ચડાવીશું ?! ગણેશચતુર્થીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    .

    .

    .

    .

    કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા

    Saturday, August 27th, 2011

    .

    તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
    હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.

    કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો -
    જગત ના દિસે તો યે જાગ્યા કરે છે.

    અમે વેચવા નીકળ્યા મોર-પીંછા,
    છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે.

    ભૂતળ મર્મ જેવો પદારથ ન એકે,
    પકડવા જઉં એમ ભાગ્યા કરે છે.

    અહીં આપણે આપણા શબ્દ ગાવા,
    જમાનો તો બીજું ય માગ્યા કરે છે.

    - મનોજ ખંડેરિયા

    .

    .

    ગિરનારની તળેટીમાં જઇએ અને જો કરતાલ ન સંભળાય તો,  ગિરનારની પરિક્રમા સંપન્ન કેમ કહેવાય ? આજે પણ, જાગીને જોઉં તો જગત દિસે નહીં કે ભૂતળ ભક્તિ પદારથ મોટું રે ગાનાર નરસિંહ મહેતાની કરતાલ દામોદર કુંડમાં જાણે કે, વાગ્યા જ કરે છે.  જેમ ત્રીજી આંખ હોય તો જ ઇશ્વર દર્શન થાય એમ ત્રીજો કાન જોઇએ એટલું જ .

    .

    .

    .

    .

    એ પણ સાચું,આ પણ સાચું : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    Thursday, August 25th, 2011

    .

    રાત દિવસ કૈં લાગે હરપળ, એ પણ સાચું, આ પણ સાચું,
    અંધારે આ કેવી ઝળહળ ? એ પણ સાચું, આ પણ સાચું.

    ભીતર શું ય ગયું દેખાઈ, ભણતર સઘળું ગયું ભૂલાઈ,
    કહેતો ફરું છું સૌની આગળ, એ પણ સાચું, આ પણ સાચું.

    અપમાનિત કે સમ્માનિત હો, બેઉ ખેલ છે બન્ને ખોટાં,
    કાં તો સ્વીકારી લે હરપળ, એ પણ સાચું, આ પણ સાચું.

    સપનામાંથી જાગ્યો જ્યારે, એ પળમાં મૂંઝાયો ભારે,
    અંદર- બાહર, આગળ- પાછળ, એ પણ સાચું, આ પણ સાચું.

    કોઈ ‘કાલ’માં શું બંધાવું ? કેવળ ખળખળ વહેતા જાવું,
    ‘મિસ્કીન’ આનું નામ છે અંજળ, એ પણ સાચું, આ પણ સાચું.

    કોણ અહીં કોનું કે ક્યાં લગ , સઘળું નિશ્ચિત છતાંય લગભગ,
    ‘મિસ્કીન’ એનું નામ છે અંજળ, એ પણ સાચું, આ પણ સાચું.

    - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    .

    .

    જિંદગી ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી રહે છે કે, શું સાચું ? શું ખોટું ? શું કરવું ? ક્યાં જવું ? -  કોઈ નિર્ણય લઈ શકાતો નથી. આ દ્વિધાત્મક પરિસ્થિતિમાં  - એ પણ સાચું, આ પણ સાચું લાગતું હોય છે.  પણ, આ વિધાન ને વિધેયાત્મક બનાવીએ અને બસ, ખળખળ વહેતા જઇએ પછી તો ?  - ” એ પણ સાચું , આ પણ સાચું.” !!

    કવિ શ્રી રાજેશ વ્યાસનાં શબ્દોમાં જ આ ગઝલસર્જનની રસપ્રદ વાતો માણીએ  -

    ” એક પ્રસંગ યાદ આવે છે.  એક ગામમાં એક વૃદ્ધ, અભણ, ગરીબ મુસ્લિમ રહેતો હતો. બહુ જ પાક કહેવાતો હતો. ગામના લોકો એના જેવો નેકદિલ ખુદાનો બંદો કોઈ નથી એવું કહેતા તેના પિતાના સમયનું એની પાસે કુરાન હતું. રોજ સવાર- સાંજ એ કુરાન વાંચે દરેક પાને- પાને અને લીટીએ લીટીએ આંગળીઓ ફેરવે અને હોઠ ફફડાવે. સાવ અભણ આ ડોસો શું વાંચતો હશે ? એવું સૌના મનમાં થતું. શબ્દે શબ્દ અને અક્ષરે અક્ષર ઉપર આંગળી ફેરવીને એટલું જ બોલતો હતો કે ‘એ પણ સાચું.. આ પણ સાચું…’ આ શબ્દોએ મને અંદરથી હચમચાવી નાખ્યો એક અભણ વૃદ્ધ કેવી શ્રદ્ધાથી બોલે છે કે એ પણ સાચું. મને સો ટકા ખાતરી છે કે તેના આ એકે એક શબ્દો ભીતરથી જાગી ગયેલાના શબ્દો છે. ઉપનિષદના ઋષિઓએ કહ્યું છે કે જ્યાં બધાં સમાધાન થઈ જાય તેનું નામ સમાધિ. મને તો આ વાક્ય અનેક રીતે સ્પર્શ્યું છે અને એક દિવસ આ જ વાક્ય રદીફ બનીને આવ્યું. ” ( સૌજન્ય : ગુજરાત સમાચાર )

    .

    .

    .

    .

    પ્‍હેરે છે : કિરીટ ગોસ્વામી

    Tuesday, May 3rd, 2011

    .

    કદી મન આજ પ્‍હેરે છે, કદી ગઇ કાલ પ્‍હેરે છે,
    કદી એ આવનારી કાલનાં કૈં ખ્યાલ પહેરે છે.

    બિચારા માણસો ઇચ્છા પડે તે ક્યાં શકે પ્‍હેરી ?
    સતત સંજોગ પ્‍હેરે છે, સમયની ચાલ પ્‍હેરે છે.

    તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમસુખનું,
    તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્‍હેરે છે.

    વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી,
    તરત એ એટલે સૌની નજરનું વ્‍હાલ પ્‍હેરે છે.

    કણેકણમાં સમાયો છે તમારા નામનો જાદુ,
    બધાં તવ નામની માળા, થવાને ન્યાલ, પ્‍હેરે છે.

    - કિરીટ ગોસ્વામી

    .

    .

    ભગવદ્‍ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો પહેરે છે,  તેવી જ રીતે આત્મા જૂનો દેહ છોડી નવો દેહ ધારણ કરે છે. પણ,  દેહ ધારણ કર્યા બાદ, દુન્યવી જંજાળ મનને કેવાં કેવાં પહેરણ  પહેરાવે છે ?!

    .

    .

    .

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME