Archive for the ‘અધ્યાત્મ’ Category

  • અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
  • આકારશૂન્ય સાકાર : ધૈવત શુકલ
  • આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ
  • ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
  • ઈશ્વર : સૌમ્ય જોશી
  • ઋષિનું વિધાન છું : અશરફ ડબાવાલા
  • ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’
  • જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • મળી ગયું કોઈ મારા જેવું ! : નયના જાની
  • હવે ધોધમાર વરસો તો કેવું ? : ભાગ્યેશ જ્હા


  • જય મારો હવે : અમૃત ‘ઘાયલ’

    Thursday, August 26th, 2010

    ઉત્પત્તિ સ્થિતિ, ન લય મારો હવે,
    કોઈ કક્ષા હો ન ક્ષય મારો હવે.

    અસ્તોદય શું ? અંત શું ? આરંભ શું ?
    હર સમયથી પર સમય મારો હવે.

    માન શું ? અપમાન, લાભાલાભ શું ?
    ક્યાં રહ્યો છે એ વિષય મારો હવે.

    મેં કરી નાંખ્યો છે એને નામશેષ,
    મારી મુટ્ઠીમાં પ્રલય મારો હવે.

    કાળથી પણ કાંકરી ખરશે નહીં,
    થઈ ગયો છે ગઢ અજય મારો હવે.

    આત્મવત્ ઉર્ફે અજન્મા થઈ ગયો,
    ના પ્રભવે અથવા વિલય મારો હવે.

    શબ્દ મતલબ બ્રહ્મ, મતલબ સત્ય પણ,
    શબ્દનો જયઘોષ, જય મારો હવે.

    - અમૃત ‘ઘાયલ’

    શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
    તોડીફોડી યથેચ્છ જોડ્યો છે. – ઘાયલ

    જોમ અને ખુમારી સભર ગઝલ રચનાર ઘાયલ જે ‘શબ્દ’ને  યથેચ્છ તોડતાં, ફોડતાં તેઓ આત્મસાક્ષાત્કારની ક્ષણે કહે છે, શબ્દ જ બ્રહ્મ … શબ્દ જ સત્ય !  મારો જે જયજયકાર છે તે તો શબ્દનો જ એટલે કે, બ્રહ્મનો , સત્યનો જયઘોષ. ‘ઘાયલ’ની એક અનોખી શૈલીની ગઝલ !

    .

    .

    જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ

    Wednesday, August 18th, 2010

    જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
    મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

    આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
    પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. – મારો0

    તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
    ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું.  – મારો0

    બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
    પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. – મારો0

    - મીરાંબાઈ

    મીરાંબાઇ આમ તો, રાજસ્થાનનાં  … તો ગુજરાતીમાં કેવી રીતે તેમનાં આટલાં બધાં ભજનો ? આ પ્રશ્ન કાયમ મને સતાવતો.  પણ, ઘણું કરીને,  પ્રાચીન ભજનોને અર્વાચીન બોલીમાં જ આપણે અપનાવી લીધાં છે તેમ, મીરાંબાઇનાં રાજસ્થાની કે હિન્દી ભજનો પણ ગુજરાતીમાં ફેરવાઇ ગયાં હશે ?!!  હાલમાં જ ક્યાંક વાંચવામાં આવેલું કે, કૃષ્ણની જે મૂર્તિ લઇને મીરાંબાઈ, મેવાડ ગયેલાં, તે મૂર્તિની સ્થાપના દહેગામ પાસે આવેલ કોઇ ગામમાં કરેલી છે.

    મીરાંબાઈ, દેવળ ને કાયા અને હંસ ને આત્માની ઉપમા આપી, સ્થૂળ દેહ નહિં,  નિરાકાર આત્મસ્વરુપ જ સત્ય છે, તે બ્રહ્મસત્યને કેટલી સહજતાપૂર્વક વર્ણવે છે !

    .

    ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ

    Wednesday, August 18th, 2010

    ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
    મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

    મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
    કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

    રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
    સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ.

    મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
    રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

    વિષનો પ્યાલો રાણાએ મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
    અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

    - મીરાંબાઈ

    રાણી મીરાંબાઇ મહેલ છોડી,  મેવાડનાં રાણાને છોડી, સાધુ-સંતોની જોડે વસવાટ કરે છે. કૃષ્ણ દિવાની, પ્રેમ દિવાની મીરાં  હરિરસનો પ્યાલો પીવાનું ભૂલી શકતી નથી.  રાણા તેમને પત્ર મોકલી, મહેલમાં પુનરાગમન માટે વિનંતી કરે છે પણ, મીરાં તો તેમને પણ રાજપાટ છોડી, સાધુ-સંતો જોડે વસવાટ કરવાનું કહે છે. ત્યારે રાણો ક્રોધિત થઇ, વિષનો પ્યાલો મોકલે છે, પણ હરિરસનો પ્યાલો જેણે પીધો હોય તેને વિષની અસર કેમ થાય ?!!

    .

    દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ

    Thursday, August 5th, 2010

    કઠ ભલે, કર્મઠ બનો,
    નેતિ નેતિ નઠ બનો.

    મત મતાંતર મઠ બનો,
    લીલ લહેરો, લઠ બનો.

    વ્હેણ પોતે તઠ બનો,
    સર્વ ગળતર ગઠ બનો.

    સૌમ્ય, શાલીન સ્વત્વથી,
    જાત સાથે શઠ બનો.

    સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
    દર્પ ગાળી દઠ બનો.

    - પંચમ શુક્લ

    વેદજ્ઞાનને આ ગઝલગાનમાં અનોખી રીતે માણી શકાય છે. સંસારમાં કઠણાઇ (કઠ) તો રહેવાની જ છે, પણ કર્મનિષ્ઠ બની, આપણે આપણું કર્મ કરવું જોઇએ. જો આપણું મન વિચલિત થાય તો, થોડું શઠપણું દાખવી, જાતને છેતરી, સમજાવી ફોસલાવીને પણ, વિચલીત મનને સ્થિર કરવા પ્રયત્ન કરી શકાય.  જો અભિમાન ઓગાળી, નિર્બુદ્ધિવાન બનીએ તો અષ્ટસિદ્ધિ પામતાં વાર નથી લાગતી.   ( ગઝલનો રસાસ્વાદ કરાવવા માટે પંચમભાઈને નમ્ર વિનંતી અને વાચકોને પણ … )

    વેદ, ઉપનિષદ કાળથી સાંપ્રત કાળ સુધી , જીવન જીવવાની ઉપરોક્ત કળાને , મુખ્યત્વે ધાર્મિક બનાવી તેનાં આધારે અલગ અલગ સ્વરુપમાં વર્ણવવામાં આવી છે.  પણ ધર્મ એટલે શું ?  હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ …. ?!!   વેદકાલીન ધર્મની વ્યાખ્યા મુજબ, ‘धारयति इति धर्म : ‘  અર્થાત્‌,  જે ધારણ કરીએ છે તે ધર્મ.   અલગ અલગ ધર્મનાં તિલક-ચાંલ્લા, દોરા-ધાગા, વેશ-પરિધાન ધારણ કરીએ એટલે તે ધર્મ ધારણ કરી લીધો ?!!

    ના….. ધારણ તો મનુષ્યત્વ કરી, જીવન જીવવાની કળા આત્મસાત્‌ કરવાની છે  અને મનુષ્ય માત્રનો ‘ધર્મ’ એ જ હોઇ શકે.

    શબ્દાર્થ :  કઠ – કઠણાઇ, કર્મઠ – કર્મનિષ્ઠ, નઠ -  નઠારું (નિર્લજ્જ ) , મઠ -  આશ્રમ,  લઠ - લાઠી, ડંડો,  તઠ - તટ, કિનારો, ગઠ - ગાંઠ, શઠ - ધૂર્ત, લુચ્ચું,  અઠ – આઠ, ગ્રહો – ગ્રહણ કરવું, દર્પ - અભિમાન, દઠ – બુદ્ધિહીન.

    .

    અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ

    Wednesday, August 4th, 2010

    નીરખું જેના થકી અંદર સતત,
    એક બારી ઊઘડે અંદર સતત.

    આંખ મીંચીને સહજ જોયા કરું,
    એક સૂરજ ઊઘડે અંદર સતત.

    લ્યો, હવે અટકી ગયો વરસાદ ને,
    સાત રંગો ઊઘડે અંદર સતત.

    બ્હાર ફરતો ચાકડો કાયમ અને -
    હાથ બે શું શું ઘડે અંદર સતત.

    કોણ ઊભું છે કિનારે થઈ ખડક ?
    કે સમંદર ઊમટે અંદર સતત.

    કોઈ આવી બંધ ઝટ બાંધો હવે,
    પૂર આ ઊંચે ચઢે અંદર સતત.

    - હર્ષ બ્રહ્મભટ્ટ

    સતત અંદર નીરખીએ તો જ ‘અંદર’ની બારી ઊઘડી શકે અને એ બારી થકી જ આંખ મીંચીને  આપણી અંદર સતત ઊઘડતો સૂરજને નિહાળી શકાય. અને તે સૂરજનો ‘દિવ્ય’ પ્રકાશ આપણને અંદર અને બહારથી દેદિપ્યમાન કરી દે છે.   કવિ હર્ષ બ્રહ્મભટ્ટને આઇ.એન.ટી. સંસ્થા દ્વારા,  વર્ષ ૨૦૧૦નો  ‘શયદા’ એવોર્ડ આપવામાં આવે છે તે અવસરે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    .

    પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ

    Friday, February 5th, 2010

     

    પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.

    ઊંચૈ મહલ બસૈ તું નિરંતર, બગિયન બિચ મુજ રહના,
    ફૂલફૂલ ગુંજન ઊઠૈ મધુર, સુનિ મન સુખ પાવત ગહના.
    મૈં અવર શબદ નવ માનું, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.

    તું નીચે કાહે નહિ આવે, એકલ રહૈ ઉદાસી ?
    રૂપ, રંગ, સુરભિ સહ ખેલેં, મિલ કર દોય વિલાસી.
    મૈં ઓસબિન્દુ તુમ ભાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું. 

    જલ જલ સો કાલિન્દી, દ્રુમ દ્રુમ કદંબ હૈ મન મોરે,
    કુંજ ભલી વ્રજકી, તુમ બિન વૈકુંઠ નહિ સહ તોરે.
    મૈં ચડું ન પરબત-સાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.

    - રાજેન્દ્ર શાહ

     

    કૃષ્ણ તો ગીતામાં કહે છે, મને પામવા જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ સરળ છે.  પણ કવિને તો  ભક્તિનો, પ્રેમનો માર્ગ પણ કપરો લાગે છે. પ્રેમ એ જ ભક્તિને !   પ્રેમ કરવો તો સરળ … પણ પ્રેમને જતાવવો જ કપરો. અને કવિ એટલે જ કહે છે, ” પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું. “ 

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME