Archive for the ‘અનુવાદ’ Category
મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )
Tuesday, July 13th, 2010

સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા (૧)
कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारात्प्रमत्त: शापेनास्तड्ग्मितहिमा वर्षभोग्येण भर्तु: ।
यक्षश्चक्रे जनकतनयास्त्रानपुण्योदकेषु स्त्रिग्धच्छायातरुषु वसतिं रामगिर्याश्रमेषु ॥१॥
તે અદ્રિમાં, જ્યમ ત્યમ, કરી કામિ યક્ષે નિવાસ,
વ્હાલીકેરો વિરહ સહિને, ગાળિયા કૈક માસ;
અંગે ઝાઝો કૃશ થઈ જતાં,કષ્ટથી શોચી શોચી,
સોનાકેરું સરિ ગયું કડું, દૂબળા હાથમાંથી ;
વપ્રક્રીડા કરિ, ગિરિતણાં શૃંગ ઉથામવાને,
નીચું માથું કરિ, નમિઉભો હસ્તિ ના હોય જાણે;
ઘેરાયેલો નિકટ જઈને, શિખ્ખરે પર્વતોનાં,
દીઠો એણે, રમણિય નવો મેઘ આષાઢ થાતાં (૨)
तसिमन्नद्रौ कतिचिदबलाविप्रयुक्त: स कामी नीत्वा मासान् कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठ: ।
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श ॥२॥
તેને દેખી કુતૂહલ થતાં ; નેત્રથી માંડી લક્ષ, બેળે બેળે,
ક્ષણ રહિ ઊભો, યક્ષ તેની સમક્ષ ;
થંભાવીને, વિરહદુઃખનાં આંસુઓ ઝાઝીવાર ;
લાગ્યો ઉંડા કંઈક કરવા, ચિત્તમાંહે વિચાર ;
પ્રેમી સાથે, સુખથી વસતા હોય તેવા જનોની,
થાયે સ્હેજે ચલિત મનની વૃત્તિઓ, મેઘ દેખી ;
તો શું કે’વું પ્રણયિજનનું, વ્હાલિ જેની વિયોગે,
જૂદી થાતાં તલસિ રહી છે, કંથને ભેતવાને (૩)
तस्य स्थित्वा कथमपि पुर: कौतुकाधानहेतो: अन्तर्बाष्पश्चिरमनुचरो राजराजस्य दध्यौ ।
मेघालोके भवति सुखिनोऽप्यन्यथाव्रत्ति चेत: कण्ठाश्लेषप्रणयिनि जने किं पुनर्दूरसंस्थे ॥३॥
દેખી વર્ષા નિકટ, સખીનાં પ્રાણ ઉગારવાને,
સંદેશામાં, કુશળ ખબરો કા’વવા મેઘ સાથે ;
તાજાં ખીલ્યાં કુટજ કુસુમે, હર્ષથી આપી અર્ઘ,
પ્રીતિભીનાં વચનથી દિધો, મેઘને આવકાર (૪)
प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी जीमूतेन स्वकुशलमयीं हारयिष्यन् प्रव्रत्तिम् ।
स प्रत्यग्रै: कुतजकुसुमै: कल्पितार्घाय तस्मै प्रीत: प्रीतिप्रमुखवचनं स्वागतं व्याजहार ॥४॥
ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા,
ક્યાં સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લૈ જવાતા,
એવું કાંઈ ન લહિ, અધીરો યાચતો યક્ષ એને,
કામી નિશ્ચે જડ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે (૫)
धूमज्योति: सलिलमरुतां संनिपात: क्व मेघ: संदेशार्था: क्व पतुकरणै: प्राणिभि: प्रापणीया: ।
इत्यौत्सुक्यादपरिगणयन् गुह्यकस्तं ययाचे कामआर्ता हि प्रक्रतिक्रपणाश्चेतनाचेतनेषु ॥५॥
- કાલિદાસ
( અનુવાદક : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )
( સંપાદક : રજનીકુમાર પંડ્યા )
મહાકવિ કાલિદાસ રચિત ” મેઘદૂતમ્ ” નાં આશરે ચાલીસેક અનુવાદ માત્ર ગુજરાતી ભાષામાં જ થયાં છે. આ મહાકાવ્યમાં કુબેરની સેવા કરતો યક્ષ, સ્વામીસેવા વીસરી પ્રિયતમા સાથે સમય વીતાવે છે. અને ત્યારે ગુસ્સે થયેલાં કુબેર યક્ષને એક વર્ષ સુધી, પ્રિયતમાથી દૂર રહેવાનો શ્રાપ આપે છે. આ વિરહકાળ દરમિયાન રામગિરિ ( હાલમાં નાગપુર પાસે આવેલ રામટેક ) પરથી પસાર થતાં મેઘને જોઇ, યક્ષની વિરહવેદના અતિક્રમી જાય છે. અંતે, યક્ષ સજીવ-નિર્જીવનો ભેદ પણ ન સમજ્યાં વિના, મેઘને જ દૂત બનાવી, કૈલાસ પર્વત પર આવેલ અલકાનગરીમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે. કવિ રામગિરિથી અલકાનગરી સુધીનો માર્ગ મેઘને બતાવે છે જેમાં અદ્ભૂત પ્રવાસવર્ણનો, પ્રકૃતિવર્ણનો પણ માણી શકાય છે.
સૌ વિદ્વાનો અને સાહિત્યરસિકો કિલાભાઇ ઘનશ્યામે ઈ.સ. ૧૯૧૩માં કરેલ સમશ્લોકી અનુવાદને શ્રેષ્ઠતમ માને છે. નવનીતભાઇ શાહ, ફિઝાબેન શાહ અને રજનીકુમાર પંડ્યા અન્ય ગુણીજનોની મદદ થકી, માર્ચ ૨૦૧૦માં તેમનાં અનુવાદને અન્ય રસપ્રદ માહિતી સાથે પુનઃમુદ્રિત કરે છે. વળી, પુસ્તકમાં નામાંકિત ચિત્રકારોની કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત તેની સંગીતમય રજૂઆત આશિતભાઇ દેસાઇ અને પ્રફુલ્લભાઇ દવેએ કરી છે. પુસ્તક અંગે વિસ્તૃત માહિતી આપને ઉર્વીશભાઇનાં બ્લૉગ પરથી મળી શકશે. ( સંસ્કૃત શ્લોક : રક્ષિત પંડિત )
.
સંબંધ : અલ્પેશ પાઠક ‘પાગલ’ ( Trans : Himanshu Patel )
Friday, May 14th, 2010
સંબંધ
એક ગણિત છે
અને ગણિતમાં હું કાચો છું,
પહેલેથી જ !
* * * * *
ભવિષ્યમાં
કદાચ સંબંધ
નામની વસ્તુ
મ્યુઝિયમમાં
સચવાતી હશે !
* * * * *
સંબંધ છળ નથી
પણ સત્ય છે
મૃગજળ જેવું.
- અલ્પેશ પાઠક ‘પાગલ’
The Relationship
The relationship
Is a Mathematics
And from the begining
I am weak at it !
* * * * *
In the future
Perhaps
The relationship
Will be preserved
As a thing
In a museum !
* * * * *
The relationship
Is not a deception,
It is a truth
Like a mirage !
Translator : Himanshu Patel
આ જમાનામાં સંબંધનો બંધ કેવો ખોખલો થઇ ગયો છે તેનું તાદ્રશ્ય નિરુપણ કરતી રચના. બસ, એટલું જ સત્ય કે સંબંધ મૃગજળ છે ! હિમાંશુભાઇએ આ પ્રતિક કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે તે પણ રસપ્રદ છે.
.
આમાર એ જન્મદિન : રવીન્દ્રનાથ ટાગોર
Friday, May 7th, 2010
આમાર એ જન્મદિન – માઝે આમિ હારા
આમિ ચાહિ બન્ધુજન યારા
તાહાદેર હાતેર પરસે
મર્ત્યેર અન્તિમ પ્રીતિરસે
નિયે યાબ જીવનેર ચરમ પ્રસાદ,
નિયે યાબ માનુષેર શેષ આશીર્વાદ.
શૂન્ય ઝુલિ આજિકે આમાર ;
દિયેછિ ઉજાડ કરિ
યાહા કિછુ આછિલ દિબાર,
પ્રતિદાને યદિ કિછુ પાઇ -
કિછુ સ્નેહ, કિછુ ક્ષમા -
તબે તાહા સન્ગે નિયે થાઇ
પારેર ખેયાય યાબો યબે
ભાષાહીન શેષેર ઉત્સવે.
- રવીન્દ્રનાથ ટાગોર
( ૬.૫.૧૯૪૧ )
I’m lost in the middle of my birthday.
I want my friends,
their touch,
with the earth’s last love.
I will take life’s final offering,
I will take the human’s last blessing.
Today my sack is empty.
I have given completely
whatever I had to give.
In return if I recieve anything -
some love, some forgiveness-
then I will take it with me
when I step on the boat that crosses
to the festival of the wordless end.
- Rabindra Nath Tagore
મારા આ જન્મદિનમાં હું ખોવાઇ ગયો છું : ( ગદ્યાનુવાદ)
મારા આ જન્મદિનમાં હું ખોવાઇ ગયો છું. હું ઇચ્છું છું કે, જેઓ બન્ધુજન છે તેમનાં હાથનાં સ્પર્શથી મર્ત્યલોકના અંતિમ પ્રીતિરસે જીવનનો ચરમ પ્રસાદ લઇને જાઉં, માનવનો અંતિમ આશીર્વાદ લેતો જાઉં. આજે મારી ઝોળી ખાલી છે. જે કંઇ આપવા જેવું હતું તે નિ:શેષ આપી દીધું છે. પ્રતિદાનમાં જો કાંઇ પામું – થોડોક સ્નેહ, થોડીક ક્ષમા- તો તેને ભાષાહીન છેવટનાં ઉત્સવ વખતે પેલે પારની નાવમાં જઈશ ત્યારે સાથે લેતો જાઉં.
- ઉમાશંકર જોશી
સૌ પ્રથમ નૉબલ પારિતોષિક વિજેતા ભારતીય રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિએ તેમની એક રચના જેનો અનુવાદ ઉમાશંકર જોશી એ કરેલો છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ વિદેશ ગયેલાં અને તેમનાં વિદેશી મિત્રોને રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી તેમને સંભળાવતા. ત્યાર બાદ, રવીન્દ્રનાથ ટાગોરે પોતે જ પોતાનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. જે ચિત્રકાર William Rothenstein ( રવીન્દ્રનાથ પોતે પણ સારા ચિત્રકાર હતાં – તેમનાં થોડાંક ચિત્રો ) દ્વારા આંગ્લ કવિ W.B.Yeats પાસે પહોંચે છે. અને તેઓ કહે છે, `I read Rabindranath every day, to read one line of his is to forget all the troubles of the world.’ ….. ” A tradition, where poetry and religion are the same thing, has passed through the centuries, gathering from learned and unlearned metaphor and emotion, and carried back again to the multitude the thought of the scholar and of the noble.”
માત્ર નૉબલ પારિતોષિક મેળવીને જ નહીં, તેમણે આપણી સંસ્કૃતિ, ધર્મનું વિશ્વનાં વિશાળ ફલકમાં એવી રીતે પ્રતિનિધિત્વ કર્યું કે આપણાં દેશનું નામ સાચા અર્થમાં રોશન કર્યું. તેમનાં જન્મદિને, જિંદગીનાં અંતિમ ઉત્સવ બાદ પે…લે પાર , ‘થોડોક સ્નેહ’ આપણાં સૌ વતી … !
.
પુસ્તકો : અનુ – અરુણા જાડેજા
Friday, April 23rd, 2010
પુસ્તકો ખીચોખીચ ભર્યું આભ હોય
ત્યારે, આપણે જમીન થવું પડે છે
એમને ઊંડે મૂળે ઊતરવાં દેવાં પડે છે
આપણામાં.
ક્યારેક એ વૃક્ષ થઈ જાય ઘટાદાર
ત્યારે આપણે પથિક થઈને
વિસામો લેવાનો હોય છે એમના છાંયામાં
નિરાંતે.
ક્યારેક ક્યારેક તો એ પંખી થઇ જાય
ત્યારે પાંખોમાં બળ સમેટીને
ઊડવું પડે છે આપણે, એમની
હારોહાર.
પુસ્તકોમાંથી ક્યારેક ક્યારેક શિશિર પણ મળી આવે
પછી આપણે વેરાન વગડો થઈ જઈએ
ત્યારે એ જ વસંતનો પગરવ થઈ જાય
આપણા માટે.
પુસ્તકોને સ્પર્શ હોય, ગંધ હોય
પણ એ માટે મનને ફૂટવી જોઇએ
સંવેદનાની લાખો પાંખડીઓ
પછી તો પુસ્તકો ઉડાડી દે
વસંતનાં સઘળાં રંગો
પુસ્તકોને સમજાય છે બધું, બધું
આપણને સમજાય છે કે ?
પુસ્તકોનું આભ-શું મન ?
- નીલિમા પાલવણકર
અનુ્વાદક : અરુણા જાડેજા
પુસ્તકોની છાજલી …. એટલે રમેશ પારેખ માટે તો તીર્થધામ. તો કવિયત્રી નીલિમાબેનને પુસ્તકમાં આખુંયે આભ સમાયેલું લાગે છે. પણ પુસ્તકની ઊંચાઈને પામવા આપણે આપણી ઊંડાઈ માપવી પડે. પુસ્તકોને તો બધુંય સમજાતું હોય છે પણ આપણને ? આપણે વિવેચક બનીને ક્યારેય પુસ્તક માણી શકીશું ? પુસ્તક વાંચવું એ પણ એક કળા છે અને તે કળા વાચક કે ભાવક બનીને જ આત્મસાત્ કરી શકાય નહિં કે વિવેચક. આજે ‘વિશ્વ પુસ્તક દિને’ આ કળાને આત્મસાત્ કરવાનો એક પ્રયત્ન કરી જોઇએ ?!!
.
હથોડી : કાર્લ સેન્ડબર્ગ (અનુ : સુરેશ દલાલ)
Friday, February 12th, 2010
જૂના પુરાણા દેવોને
મેં જતા જોયા છે
અને નવા દેવોને આવતા.
પ્રત્યેક દિવસે
અને વરસે-વરસે
મૂર્તિઓ પડે છે અને પ્રતિમાઓ ઊભી થાય છે.
આજે હું હથોડીની ભક્તિ કરુ છું.
- કાર્લ સેન્ડબર્ગ
( અનુવાદક : સુરેશ દલાલ)
Original Poem by Carl Sandburg
I have seen
The old gods go
And the new gods come.
Day by day
And year by year
The idols fall
And the idols rise.
Today
I worship the hammer.
- Carl Sandburg
Poetry (March 1914)
પ્રખ્યાત અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગની કલમે એક હથોડી જેવો જ ભારે ઘા. સાંપ્રત પરિસ્થિતિ જોતાં આજે પણ તે એટલી જ યોગ્ય, કદાચ તેના કરતાં પણ વધુ યોગ્ય વાત લાગે. સારે જહાઁ કી ના… બ..સ સારે જહાઁસે અચ્છા હિન્દોસ્તાઁ માટે પણ…. પથ્થરમાંથી મૂર્તિ કંડારતા જે ચીવટ અને ધીરજ રાખીએ તેટલી જીવનમાં રાખી, ખુદનાં જ શિલ્પી બનીએ તો – માંયલાને પણ પામી શકાય.
Read more :
Carl Sandburg on wikipedia, Carl Sandburg’s biography, Carl Sandburg’s own website
.
ખુશ્બુ ગુલાબમાં આવી : ‘આદિલ’ મન્સૂરી
Friday, November 6th, 2009
સર્વ કળીઓના ખ્વાબમાં આવી,
તારી ખુશ્બુ ગુલાબમાં આવી.
આંખ પ્યાલીમાં ઓગળી ગઈ છે,
કોની છાયા શરાબમાં આવી.
તારા હૈયે જે વાત ઘૂંટાઈ,
જો એ મારી કિતાબમાં આવી.
એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.
લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.
પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.
- ‘આદિલ’ મન્સૂરી
Oh Love, your fragrance subtly penetrates
In the buds of roses and spreads when they bloom.
Look, my eyes are dissolved in the chalice of wine
Tell me whose shadow gives divine colours to the wine.
The poignant story that haunts your heart
See, it is now caught in the pages of my book.
When She slowly deigned to raise her eyelids
The brightness dazzled the Sun himself.
The letters I wrote were a thousand thousand
The response I got is in only one line !
Now let us do this sum of love again
There’s an error dear, in our calculation.
Translator : Rajanikant Pancholi
૬ નવેમ્બર, ૨૦૦૮નાં રોજ આધુનિક ગઝલનાં પ્રણેતા ”આદિલ’ મન્સૂરીએ આપણાં સૌની વચ્ચેથી વિદાય લીધી. આજે તેમની પુણ્યતિથિએ એક શબ્દાંજલિ. ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય પરિષદ ખાતે ” એક શામ, આદિલ કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આપ સૌને પણ જોડાવા આમંત્રણ.
.




