Archive for the ‘કાવ્ય’ Category
મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )
Tuesday, July 13th, 2010

સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા (૧)
कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारात्प्रमत्त: शापेनास्तड्ग्मितहिमा वर्षभोग्येण भर्तु: ।
यक्षश्चक्रे जनकतनयास्त्रानपुण्योदकेषु स्त्रिग्धच्छायातरुषु वसतिं रामगिर्याश्रमेषु ॥१॥
તે અદ્રિમાં, જ્યમ ત્યમ, કરી કામિ યક્ષે નિવાસ,
વ્હાલીકેરો વિરહ સહિને, ગાળિયા કૈક માસ;
અંગે ઝાઝો કૃશ થઈ જતાં,કષ્ટથી શોચી શોચી,
સોનાકેરું સરિ ગયું કડું, દૂબળા હાથમાંથી ;
વપ્રક્રીડા કરિ, ગિરિતણાં શૃંગ ઉથામવાને,
નીચું માથું કરિ, નમિઉભો હસ્તિ ના હોય જાણે;
ઘેરાયેલો નિકટ જઈને, શિખ્ખરે પર્વતોનાં,
દીઠો એણે, રમણિય નવો મેઘ આષાઢ થાતાં (૨)
तसिमन्नद्रौ कतिचिदबलाविप्रयुक्त: स कामी नीत्वा मासान् कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठ: ।
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श ॥२॥
તેને દેખી કુતૂહલ થતાં ; નેત્રથી માંડી લક્ષ, બેળે બેળે,
ક્ષણ રહિ ઊભો, યક્ષ તેની સમક્ષ ;
થંભાવીને, વિરહદુઃખનાં આંસુઓ ઝાઝીવાર ;
લાગ્યો ઉંડા કંઈક કરવા, ચિત્તમાંહે વિચાર ;
પ્રેમી સાથે, સુખથી વસતા હોય તેવા જનોની,
થાયે સ્હેજે ચલિત મનની વૃત્તિઓ, મેઘ દેખી ;
તો શું કે’વું પ્રણયિજનનું, વ્હાલિ જેની વિયોગે,
જૂદી થાતાં તલસિ રહી છે, કંથને ભેતવાને (૩)
तस्य स्थित्वा कथमपि पुर: कौतुकाधानहेतो: अन्तर्बाष्पश्चिरमनुचरो राजराजस्य दध्यौ ।
मेघालोके भवति सुखिनोऽप्यन्यथाव्रत्ति चेत: कण्ठाश्लेषप्रणयिनि जने किं पुनर्दूरसंस्थे ॥३॥
દેખી વર્ષા નિકટ, સખીનાં પ્રાણ ઉગારવાને,
સંદેશામાં, કુશળ ખબરો કા’વવા મેઘ સાથે ;
તાજાં ખીલ્યાં કુટજ કુસુમે, હર્ષથી આપી અર્ઘ,
પ્રીતિભીનાં વચનથી દિધો, મેઘને આવકાર (૪)
प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी जीमूतेन स्वकुशलमयीं हारयिष्यन् प्रव्रत्तिम् ।
स प्रत्यग्रै: कुतजकुसुमै: कल्पितार्घाय तस्मै प्रीत: प्रीतिप्रमुखवचनं स्वागतं व्याजहार ॥४॥
ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા,
ક્યાં સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લૈ જવાતા,
એવું કાંઈ ન લહિ, અધીરો યાચતો યક્ષ એને,
કામી નિશ્ચે જડ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે (૫)
धूमज्योति: सलिलमरुतां संनिपात: क्व मेघ: संदेशार्था: क्व पतुकरणै: प्राणिभि: प्रापणीया: ।
इत्यौत्सुक्यादपरिगणयन् गुह्यकस्तं ययाचे कामआर्ता हि प्रक्रतिक्रपणाश्चेतनाचेतनेषु ॥५॥
- કાલિદાસ
( અનુવાદક : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )
( સંપાદક : રજનીકુમાર પંડ્યા )
મહાકવિ કાલિદાસ રચિત ” મેઘદૂતમ્ ” નાં આશરે ચાલીસેક અનુવાદ માત્ર ગુજરાતી ભાષામાં જ થયાં છે. આ મહાકાવ્યમાં કુબેરની સેવા કરતો યક્ષ, સ્વામીસેવા વીસરી પ્રિયતમા સાથે સમય વીતાવે છે. અને ત્યારે ગુસ્સે થયેલાં કુબેર યક્ષને એક વર્ષ સુધી, પ્રિયતમાથી દૂર રહેવાનો શ્રાપ આપે છે. આ વિરહકાળ દરમિયાન રામગિરિ ( હાલમાં નાગપુર પાસે આવેલ રામટેક ) પરથી પસાર થતાં મેઘને જોઇ, યક્ષની વિરહવેદના અતિક્રમી જાય છે. અંતે, યક્ષ સજીવ-નિર્જીવનો ભેદ પણ ન સમજ્યાં વિના, મેઘને જ દૂત બનાવી, કૈલાસ પર્વત પર આવેલ અલકાનગરીમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે. કવિ રામગિરિથી અલકાનગરી સુધીનો માર્ગ મેઘને બતાવે છે જેમાં અદ્ભૂત પ્રવાસવર્ણનો, પ્રકૃતિવર્ણનો પણ માણી શકાય છે.
સૌ વિદ્વાનો અને સાહિત્યરસિકો કિલાભાઇ ઘનશ્યામે ઈ.સ. ૧૯૧૩માં કરેલ સમશ્લોકી અનુવાદને શ્રેષ્ઠતમ માને છે. નવનીતભાઇ શાહ, ફિઝાબેન શાહ અને રજનીકુમાર પંડ્યા અન્ય ગુણીજનોની મદદ થકી, માર્ચ ૨૦૧૦માં તેમનાં અનુવાદને અન્ય રસપ્રદ માહિતી સાથે પુનઃમુદ્રિત કરે છે. વળી, પુસ્તકમાં નામાંકિત ચિત્રકારોની કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત તેની સંગીતમય રજૂઆત આશિતભાઇ દેસાઇ અને પ્રફુલ્લભાઇ દવેએ કરી છે. પુસ્તક અંગે વિસ્તૃત માહિતી આપને ઉર્વીશભાઇનાં બ્લૉગ પરથી મળી શકશે. ( સંસ્કૃત શ્લોક : રક્ષિત પંડિત )
.
હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા
Monday, May 3rd, 2010
હે ધરા ગુર્જરી ! તું અમારા મનોરથ તણી મંજરી !
તે છતાં, કૂણી તુજ કાયથી, હાય, આ ધાર શોણિત તણી આજ શેં નિર્ઝરી ?
તું જ નરસિંહનાં ભજનની ભોમકા, તું જ જયસિંહ કેરું પરાક્રમ,
ત્હારામાં વસ્યું નગર નર્મદ તણું, પ્રેમને શૌર્યનો તું જ સંગમ,
તું જ શ્રી કૃષ્ણના શંખનો નાદ છે, તું જ છે મિષ્ટ મોહન તણી બંસરી !
હે ધરા ગુર્જરી !
તું જ ગાંધી તણી જન્મદાત્રી ભૂમિ, તું જ વલ્લભ તણી ધન્ય ધરતી,
સત્યને શાંતિનાં દિવ્ય સંદેશ સૌ તારી ગરવી ગિરા નિત્ ઉચરતી.
તે છતાં ચાંદની જેવી તુજ હસ્તી પર, શેં ઝઝુમી ઊઠી શ્યામ આ શર્વરી !
હે ધરા ગુર્જરી !
તે છતાં હાથમાં રક્ત લઈને અમે, આજ કરીએ છીએ અડગ નિશ્ચય,
તારી સેવા અને મુક્તિ માટે સદા, પ્રાણનો પણ કરીશું વિનિમય.
પ્રેરણા કેરી તું મૂર્તિ છે માવડી ! તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી !
હે ધરા ગુર્જરી !
- ભગવતીકુમાર શર્મા
ભારતની આઝાદી વિશે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના વિશે નથી જાણતાં. બૃહ્દ મુંબઈની બે ભાષાઓએ બે રાજ્યોને જ્ન્મ આપ્યો. અને તેમાં પણ વિકસિત મુંબઈ માટેનો વિવાદ કેટલો થયો હશે તેની પણ કલ્પના કરી જ શકાય. જોકે, ધનિક વેપારીઓ સિવાય સામાન્ય જનતાને મુંબઈ મહારાષ્ટ્રમાં જોડાય તેનો વાંધો ન હતો. પણ પ્રજાનાં હ્રદયમાં અલગ ગુજરાતનાં મનોરથ રુપી મંજરી ફૂટી ચૂકેલી હતી. અને તેની કૂણી કાયાને રક્તથી સીંચી એટલે કે, પ્રાણનો વિનિમય કરીને પણ તેની મુક્તિ અને સેવાનો અડગ નિશ્ચય કરે છે.
જે કવિ ” તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી ! “ એમ ગાય છે. ચાર વર્ષની મહાગુજરાતની ચળવળ બાદ, ૧ મે, ૧૯૬૦નાં રોજ, સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે મૂકસેવક રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જ્યારે ગુજરાતની સ્થાપના કરે છે ત્યારે તે સમાચારનું રીપોર્ટીંગ કરવા ભગવતીદાદા સુરતથી અમદાવાદ આવે છે. ધરાની મુક્તિનો, નિશ્ચયની પૂર્તિનો એ આનંદોલ્લાસ આજે પણ તેમનાં મુખ પર જોઇ શકાય છે. જોકે, તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે, રીપોર્ટીંગ કરી પાછાં સુરત જતાં, તે જ દિવસથી શરુ થયેલી ગુજરાત એક્સપ્રેસમાં ટિકિટ બુક કરવા જતાં, કાઉન્ટર પરથી જવાબ મળે છે અરે… સાહેબ, બેસી જાઓને હજુ સુધી તો કોઇ બુકીંગ કરવા આવ્યું જ નથી. એટલે કે, ગુજરાત એક્સપ્રેસનાં પહેલાં પ્રવાસી તેઓ જ. તો ગુજરાતની સ્થાપના થઈ તે જ દિવસે ફાધર વાલેસ ‘વગર ટિકિટે’ મુંબઈથી અમદાવાદ આવેલાં તે પણ સુંદર યોગાનુયોગ નથી !
.
ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્
Sunday, May 2nd, 2010
જય જય ગુર્જરભૂમિ !
જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જરભૂમિ !
જય જય ગુર્જરભૂમિ.
આનર્ત, કચ્છ, સૌરાષ્ટ્ર, ચરોતર, દક્ષિણ લાટપ્રદેશ,
બનાસ, સાબર, મહી, નર્મદા, તાપી, સમદર શેષ,
અર્બુદગિરિ, ગિરનાર, પવનગઢ રક્ષક રહ્યાં ઝઝૂમી.
જય જય ગુર્જરભૂમિ.
છીછરી વ્હેતી તવ સરિતાઓના ઘાટે શોભિત ફૂલ,
ભરચક પાક ભરેલાં ડોલે ખેતર, મધુવનફૂલ,
ફળફૂલભારવતી તરુરાજિ વલ્લરી લૂમી ઝૂમી.
જય જય ગુર્જરભૂમિ.
કાઠી, ખારવા, મેર, રબારી, બારૈયા, વાઘેર,
તવ જળસ્થળવન નિર્ભય ઘૂમે ગીર શા સાવજ શેર,
સોમનાથ, જગજનની, દ્વારકાધીશની પાવનભૂમિ !
જય જય ગુર્જર ભૂમિ.
સિદ્ધપુર, અણહિલપુરપાટણ, સોમનાથ ખંડેર !
સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, વલભીપુર શાં પ્રાચીનનેર !
અતીત ભૂત થઈ ભટકે અહિં તવ અવશેષો ચૂમી !
જય જય ગુર્જર ભૂમિ.
સિદ્ધરાજ મહારાજ, પરશુધર સાર્વભૌમ દ્વિજરાજ,
પ્રેમ ભટ્ટની અમર માણ ને નરસિંહની કરતાલ,
કૃષ્ણ રમાને નર્મદ મોહન જંગ ગયા જ્યહીં ઘૂમી.
જય જય ગુર્જરભૂમિ.
સુંદર કુસુમિત વલ્લરીઓ શી રાસ રમે અહીં નારી,
કચ્છી, પારસી, મેમણ, કોળી, પંચખંડ ઘરબારી !
પૃથ્વી તણાં પાદર ખૂંદે પણ રટણા ‘તુમી તુમી’
જય જય ગુર્જર ભૂમિ.
હે વ્યવહારકુશળ, દાનેશ્વરી, પ્રેમપરાક્રમશૂર !
તવ મુખ આભામંડળ વિલસે રવિશશી ઉભયે નૂર !
વિશ્વસભામાં સહુ સંગે તવ આસન જોઉં નજૂમી.
જય જય ગુર્જર ભૂમિ.
- ઉશનસ્
ગુર્જરભૂમિનાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક મૂલ્યો,સ્થળો તો ગુર્જરી જાતિ અને વિભૂતિઓનો ઉલ્લેખ કરી, કવિ અંતમાં રવિ-શશીનું તેજ જે ગુર્જરીનાં મુખ પર દીપે છે તેને વિશ્વસભામાં સૌ સાથે આસન મળે તેવી અભિલાષા વ્યકત કરે છે. સ્વર્ણિમ ગુજરાતનાં અવસરે, આ અભિલાષા પરિપૂર્ણ થાય તેવી જ અભ્યર્થના.
શબ્દાર્થ : અમિયલ – અમૃત ભરેલ, રસકસવાળી ધરા, આનર્ત – કાઠિયાવાડનું પ્રાચીન નામ, લાટ પ્રદેશ - મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ, સમદર – સમુદ્ર, અર્બુદગિરિ – આબુ પ્હાડની આસપાસનો વિસ્તાર, પવનગઢ – પાવાગઢ, ( તે કુદરતી રીતે જ ગુજરાતની રક્ષા કરે છે અને આથી ગુજરાતનો હિમાલય પણ ગણાય છે ) વલ્લરી - વેલી, લતા, પરશુધર – પરશુરામ, સ્તંભતીર્થ – ખંભાતનું પ્રાચીન નામ.
.
હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી
Saturday, May 1st, 2010

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
હું ગુર્જર ભારતવાસી.
અર્બુદ અરબસમુદ્ર વચાળે,
ધરતીનાં આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે;
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું ગુર્જર ભારતવાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં. (અહીંયા)
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું ગુર્જર ભારતવાસી.
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત,
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી.
હું ગુર્જર ભારતવાસી.
ગિરિચટ્ટાન સમાણી છાતી,
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી;
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
- ઉમાશંકર જોશી
( ૨૯.૪.૧૯૬૦ )
મહાગુજરાત આંદોલન શરુ કરી નવલોહિયા યુવાનોએ લોહી વહાવી આપણને સૌને અલગ ‘ગુજરાત’ અપાવ્યું તે સૌને નતમસ્તક વંદન. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પૂર્વે, ઉમાશંકર જોશીની કલમ ગાઇ ઊઠે છે, હું ગુર્જર ભારતવાસી….! જ્યારે જ્યારે અલગ રાજ્યની માંગણી ઊઠી છે ત્યારે દેશનાં ટુકડા થઇ જશે તેવો ડર સતાવે છે. પણ આજે મને પ્રશ્ન થાય છે, જો ગુજરાત સ્વતંત્ર ન થયું હોત તો તેનો વિકાસ આટલો શક્ય હોત ? જે વિકસિત મુંબઇ માટે મહારાષ્ટ્ર અને ગુજરાત લડતું હતું … આજે પચાસ વર્ષે “Times of India” કહે છે, શું અમદાવાદ મુંબઈનું હરીફ બની રહ્યું છે ? - જે આપણાં સૌ માટે ગર્વની વાત છે. કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી જાય તો શું આપણે તેને જુદાં ઘર નથી કરી આપતાં એવું કંઈ શું ના વિચારી શકાય - અને અંતે તો આપણે સૌ ભારતવાસી જ છીએ એક જ માટીનાં સંતાન !
‘ગુણવંતી ગુજરાત’ નાં સુવર્ણજયંતિનાં અવસરે સૌ ગુજરાતી ( એટલે કે, ગુજરાતમાં રહેનાર દરેક પ્રાંત/રાજ્ય/દેશનો નાગરિક) જગત નાગરિક બની ભારતનું નામ રોશન કરે તેવી મબલખ શુભેચ્છાઓ સહ. હાલમાં જ અમદાવાદનો છસોમા વર્ષમાં પ્રવેશ અને હવે ગુજરાતની સુવર્ણ જયંતિ … આ સુંદર યોગાનુયોગને વૅબમહેફિલ પર અવનવાં ગુજરાતનાં કાવ્યો માણીને ઉજવીશું ?!
.
પુષ્પ તણી પાંદડીએ : સુન્દરમ્
Monday, March 22nd, 2010

( પુષ્પ તણી પાંદડીએ )
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઊરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવર તીર ?
અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
- ‘સુન્દરમ્’
કવિ સુન્દરમનાં જન્મદિને તેમનું એક સુંદર આધ્યાત્મિક પ્રકૃતિ કાવ્ય. આમ તો આ કાવ્ય વિષે એક પુસ્તક જ લખી શકાય. પણ ટૂંકમાં કહું તો, નદી કિનારે બેસી એકાંતમાં ખળખળ વહેતાં પાણીનાં ‘કલરવ’ને માણ્યો છે ? પ્રકૃતિનાં કણ-કણમાં પરમ તત્ત્વનો વાસ છે અને તેની પ્રતીતિ આપણને રોજ ઈશ્વર કરાવે જ છે, પણ બસ તેને નિહાળવાની દ્રષ્ટિ જોઈએ.
શબ્દાર્થ : હાસ-હાસ્ય. પુલકિત-રોમાંચિત. મુખરિત-વાચાળ,બોલકું. કૂપ-કૂવો.
.
ગુજરાતી : ઉમાશંકર જોશી
Sunday, February 21st, 2010
મળી સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;
ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
- ઉમાશંકર જોશી
સવાયા ગુજરાતી ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.” અને જ્યારે તેઓ અંગ્રેજીનાં મૂળ રહેલાં છે તેવી ગ્રીક અને લેટિન ભાષાનાં પણ અભ્યાસુ છે ત્યારે તેમનું આ વિધાન ખૂબ જ ગૌરવપ્રદ છે. તેઓએ વ્યાકરણની સરળતાની નહિં, પણ આપણી ગુજરાતીપણાંની સરળતાની વાત કરી છે. ( તેમણે તેમનાં અંતિમ ગુજરાતી પુસ્તક શબ્દલોકમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે. )
આજે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે, આપણી સરળ અને સહજ માતૃભાષા અને તેને સમૃદ્ધ કરનાર સૌ સાહિત્યકારોને શતશત વંદન સહ. કોઈ પણ ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે અને સાંપ્રત કાળમાં જ્યારે ભાષાવાદનો વિવાદ તેનાં મૂળ પ્રસારી રહ્યો છે ત્યારે, વિશ્વની દરેક ભાષાને ગુજરાતી જેટલી જ સન્માનીય ગણી આજનાં દિને આદર વ્યકત કરું છું. ગુણવંતભાઈ કહે છે એમ, માતાનાં ધાવણ પછીનાં ક્રમે માતૃભાષા આવે છે. અને કોઈની પણ ‘મા’ - માતૃહ્રદય જ ધરાવતી હોય. આપણી ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે, જો અન્ય ભાષાની ગરિમા જાળવીશું તો આપણી ગરિમા તો જળવાશે જ. બ…સ જરુર છે, માતૃભાષા પ્રત્યે પ્રેમની.
.
