Archive for the ‘કૃષ્ણ’ Category
ગઝલ : મૂકેશ જોશી
Wednesday, February 4th, 2009
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
- મૂકેશ જોશી
સાવ સીધીને સરળ વાત, કૃષ્ણને પામવા પહેલાં ખુદ રાધા બનવું પડે. કૃષ્ણ ગોકુળ છોડ્યાની રાતે પોતાનામાંથી રાધાને બાદ તો કરી દે છે કિન્તુ રાધાના સાદને છેદવા તો સુદર્શન ધારણ કર્યું છે… એટલે જ તો જિંદગીભર શંખ ફૂંકે છે જો વાંસળી ફૂંકે ને રાધા યાદ આવે તો ?!! આજે પણ રાધાનો નાદ બ્રહ્માંડમાં ગૂંજે છે. તો અંતિમ શેર તો – કૃષ્ણનો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા છે તેને જ સમજવા પ્રયત્ન કરી જો પછી તો કૃષ્ણ નામે આખોય ગ્રંથ સમજાય જશે. ગીતામાં પણ કહ્યું છે ને એમ જ ભક્તિ માર્ગ જ સરળ છે … !!
.
