Archive for the ‘ગીત’ Category
બેસતું વર્ષ : હરદ્વાર ગોસ્વામી
Monday, November 3rd, 2008
મઠિયાં, સુંવાળી, ઘૂઘરા, મોહનથાળની સાથે ફેન્સી ફરસાણ ,કાજુકતરી ને અન્ય રાજસ્થાની,બંગાળી મિઠાઈઓ કે ડેસર્ટસ્ તો તારામંડળ, કોઠી, જમીનચકરડી, ટ્રેન, હવાઈ ને લવિંગીયાની સાથે/બદલે સ્પાર્કલ્સ, સેવન શૉટ્સ ને ભાતભાતનાં ચાઈનીસ ક્રેકર્સ સાથે દિવાળી ઊજવી. હા,’તૈયાર’ બીબાંથી રંગોળી પણ ખરી જ અને દીવાની સાથે સરકીટ પણ …તો સબરસ ને તોરણની બૂમો હજુયે બોમ્બના ધડાકા સાથે કાનમાં પડઘાય….. !!
ગુણવંત શાહ કહે છે એમ,
“જીવનમાં વર્ષો ઉમેરાતાં જાય છે,
આ વર્ષે જીવન ઉમેરીએ તો કેવું ? ” બસ- એવી જ કંઈક જીવંત આશાઓ સાથે નવ વર્ષનો આરંભ થઈ ગયો. પાંચ પાંચ દિવસ સુધી હૈયે હિલ્લોળાં લેતો આ અવસર જાણે આજે જ બેસતું વરસ હોય એમ જ હરખાય.. !! અને ત્યારે મિત્ર હરદ્વારનું આ ગીત મનમાં ગૂંજે નહિં તો જ આશ્ચર્ય. નવલાં વર્ષે આપ સૌની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી અંતરની શુભેચ્છાઓ …..!!
હોઠ પર છે હરખ મન સતત ગૂંજતું,
હર દિશા મહેંકતી વર્ષ છે બેસતું.
ભાઈની લાગણી બ્હેનની માંગણી,
સ્નેહનાં સૂરની તર્જ સૌ રણઝણી,
શબ્દને વંદીને ચોપડાં પૂજ તું,
- હોઠ પર છે હરખ.
કોઈના કામમાં ખોટ તું ખાય છે,
લાભપાંચમ ખરી એ જ કે’વાય છે,
આ દિવાળી ઉપર દિલથી દિલ જોડ તું,
- હોઠ પર છે હરખ.
- હરદ્વાર ગોસ્વામી
દિપાવલીના શુભ દિવસે સુંદર સમાચાર અખબારમાં વાંચવા મળ્યાં. આપણા નેટજગતનાં નીલમ આંટીને તેમના પુસ્તક ‘ગગનનાં ગોખે’ અને ગૌરાંગભાઈ ઠાકરને તેમનાં ગઝલસંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે. આપ બન્નેને તેમજ અન્ય સાહિત્યકારોને વૅબમહેફિલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ….!! ( સર્વર ડાઉન હોવાથી બેસતાં વર્ષે આ પૉસ્ટ મૂકી શકાઈ ન હતી. )
કોડિયું : દિનેશ શાહ
Tuesday, October 28th, 2008
મિત્રો, દિપાવલીના શુભ પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. હમણાં જ સાહિત્ય પરિષદનાં આંગણે બે વિજ્ઞાની એટલે ના, વિજ્ઞાન મેળો ન હતો. પણ શૈલેષભાઈએ સુંદર આયોજન કરી દિનેશ અંકલ અને હિમાંશુભાઈના કાવ્યપઠનનો કાર્યક્રમ રાખેલો. બન્ને આદરણીય અમેરિકાથી આવેલા અને તેમને સાથે માણવાનું શક્ય બન્યું હતું. દિવાળીમાં આંગણે દીવડા તો પ્રગટાવીએ જ. પણ આજે વાત કરવી છે માનવદીપની … અને આમ પણ દીવો એ તો આત્માનું પ્રતિક છે અને તેને પ્રગટાવી અંતરને ઉજાગર કરવાનો હોય. દિનેશઅંકલે રજૂ કરેલું ‘કોડિયું’ ગીત …
( દિનેશ ઑ. શાહ )
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
કો’ક રુપાળા હાથે મુજને, ઊંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
લાખ દીવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
માડી તારું કંકુ :અવિનાશ વ્યાસ
Wednesday, October 1st, 2008
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગમાં તે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો, નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
માવડીની કોટમા તારાના મોતી, જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા, અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં,
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- અવિનાશ વ્યાસ
માના નવલાં નોરતા શરૂ થઈ ગયાં છે …… આદ્યશકિતની ઉપાસના સાહિત્યમાં એક અલગ જ ભક્તિનો રંગ ઉમેરે છે. રવિ ઉપાધ્યાય, તુષાર શુક્લ, અવિનાશ વ્યાસ વિ. એ આપણને ખૂબ જ સુંદર મા નાં ઉપાસનાગીત આપ્યાં છે. માના ચરણોમાં ગીતપુષ્પ….!
ગીત
Tuesday, September 16th, 2008
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
- સંદીપ ભાટિયા
મૃત્યુ વિશે ઘણું બધું લખાયું છે પણ સંદીપભાઈ આ જ વાતને બહુ ભારેખમ બનાવ્યા વિના સરળ અને સહજ રીતે કહી દે છે. ગીતામાં લખેલા બધાં શ્લોકો યાદ આવી જાય છતાં પણ તે પણ એટલું જ સત્ય છે કે શું માણસ જેવો માણસ ધુમાડો થઈ જાય તે જેવી તેવી વાત છે ? એના પડછાયાને બસ એક ફ્રેમમાં કેદ કરી દેવાથી એ હેતાળ સ્પર્શના પડઘા શમી જશે ? ખરે જ સ્તબ્ધ થયેલી રેતશીશીમાંથી સમય પણ જાણે સરતો નથી અને તારીખિયાને પાને સાચે જ સૂરજ અટકી જાય છે.
આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થાય છે તો ગીતની સંવેદનાને વાસ્તવિક જીવનમાં નિભાવવાનો એક પ્રયાસ કરી જોજો. ઓફિસ જવાનું મોડું થાય છે એની ફિકર કર્યા વિના એક નજર દાદા-દાદીના ફોટા પર કરી જોજો અને કાગડાને વાસ નાંખજો જરૂર તેમના વ્હાલ અને આશીર્વાદનો અહેસાસ કરી શકશો. આશિત દેસાઈએ આ ગીતને ખૂબ સુંદર રીતે સ્વરબદ્ધ પણ કર્યું છે .
આજે ઓઝોન દિન પણ ખરો તો માણીશું બીજી એક ગઝલ……..
પ્રાતઃકુંવરીનું ગીત
Monday, September 8th, 2008
ઓલ્યા પહાડની પાછળ, પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો,
વસ્તર જાતાં રાતનું જાણે આભને ગાલે શર્મભર્યો શેરડો એક છવાયો.
રમતાં’તાં થોડાં તારલા, થોડી બાકી રહેલી રાત,
ભમતા’તા નભમોરલાં, થઈ વાદળિયાં પરભાતે,
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા.
એકદંડિયા મહેલથી પ્રાત:કુંવરીને છોડાવી,
હજાર હાથે લડે બાણાસુર કાળસેના તેડાવી,
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો. – ઓલ્યા.
કુદરતમાં નાહીને પશુપંખીએ મંત્ર જગાવ્યો,
ભૂલાઈ જાતા સામને, પાછો પંખીઓએ ગવરાવ્યો,
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો. – ઓલ્યા.
-નીનુ મજુમદાર
નીનુ મજુમદારે ‘પંખીઓએ કલશોર કર્યો’ ગીતમાં સંધ્યાની વિવિધ રંગોથી કલાત્મક રંગોળી કરી છે તો આ ગીતમાં પરોઢિયે સૂર્યનું પહેલું કિરણ ફૂટે, થોડા તારા પણ આંખમિચોલી કરતા હોય અને વાદળા નભમોરલા બની નૃત્ય કરતા હોય ત્યારે પંખીઓ જાણે ભૂલાઈ જાતા ‘સામવેદ’ને ગાવા માંડે છે ને સૂર્ય સાત અશ્વો પર સવાર થઈ પ્રાતઃકુંવરીને છોડાવી લાવે છે તેનું અદ્.ભૂત વર્ણન કર્યું છે.


