Archive for the ‘લઘુકાવ્ય’ Category

  • મુક્તિ : ઉષા ઉપાધ્યાય
  • સ્ત્રી-સ્વાતંત્ર્ય : પન્ના નાયક


  • સ્ત્રી-સ્વાતંત્ર્ય : પન્ના નાયક

    Sunday, March 8th, 2009

     

    બે પગમાંથી

    કયો પગ

    ઊકળતા પાણીમાં મૂકવો

    અને કયો

    બરફના ચોસલામાં

    એનો

    સ્વતંત્ર નિર્ણય લેવા

    અપાયેલો અધિકાર

    એટલે

    સ્ત્રી-સ્વાતંત્ર્ય

    - પન્ના નાયક

    મિત્રો, આજે ઈન્ટરનેશનલ વીમેન્સ ડે….. જેની સર્વ પ્રથમ ઉજવણી કદાચ રશિયામાં અને પછી અમેરિકામાં થઈ હતી. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરીએ તો પહેલો સવાલ એ  જ ઊઠે કે સ્વતંત્રતા એટલે શું ? – અને પાયાનાં આ પ્રશ્નને પન્નાઆંટીએ બહુ સરસ રીતે ઉઠાવ્યો છે. કારણ સ્ત્રીને તો એક પગ ઊકળતા પાણીમાં અને બીજો પગ બરફના ચોસલામાં – બન્ને પરિસ્થિતિ નોર્મલ તો નથી જ. તો સ્વતંત્રતાની વિભાવના શું ? પ્રાચીનકાળથી જ સ્ત્રીની એક વિભાવના “આર્યપુરુષો” એ નક્કી કરેલી જ હતી. 

    “कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा ।
    धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥”

    અર્થાત્ , બાહ્યકાર્યમાં મંત્રી, ગૃહકાર્યમાં દાસી, ભોજનકાર્યમાં માતા, શયનમાં રંભા, ધર્મકાર્યમાં સાનુકૂલ અને ક્ષમા આપવામાં ધરતી સમાન-આ છ ગુણો ધરાવતી પત્ની મળવી મુશ્કેલ છે. વૈદિક કાળથી જ ઉષા ઉપાધ્યાયનાં શબ્દોમાં કહું તો – ” સપ્તર્ષિના બીજા તારાઓ કેવા ઝળહળતા છે પણ અરુંધતીનો તારો આટલો નાનો ને ઝાંખો કેમ છે ?”  (અરુંધતી-વસિષ્ઠ ઋષિનાં પત્ની)   આગળ ઉષાબેન કહે છે, ” હજુ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. એક નારી તરીકે આ પ્રશ્નના ઉત્તરની શોધ એ મારો પ્રમાણિક અવાજ છે. ” અને આ ખોજનું પરિણામ સ્વરૂપ તેમની કવિતા ‘મુક્તિ’.  હા… આજે વીમેન્સ ડે પર કાવ્યત્રયી માણવાનું ના ચૂકશો. તો પન્નાઆંટીએ પોતાની વૅબસાઈટ હમણાં જ લૉન્ચ કરી છે તો તેની મુલાકાત પણ લેશો.

     

    .

    મુક્તિ : ઉષા ઉપાધ્યાય

    Sunday, March 8th, 2009

     

    નળ કરે છળ

    તો ત્યજી શકે દમયંતી,

    રામ કહે “બળ”

    તો છોડી શકે સીતા

    રચાશે પૃથ્વી પર જ્યારે

    એવી સંહિતા

    ત્યારે

    આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા

    સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે

    રાવજીની પાછલી રવેશ જેવો

    ઝાંખું ઝાંખું પ્રકાશતો

    અરુંધતીનો તારો

    ખીલી ઊઠશે બટમોગરાની જેમ

    તેજે છલકાતો…..

    - ઉષા ઉપાધ્યાય

     

    અરુંધતીની ઉગ્ર તપશ્ચર્યા અને વસિષ્ઠઋષિનાં અતિ આગ્રહને કારણે અરુંધતિને સપ્તર્ષિમાં સ્થાન તો મળ્યું છે. કિંતુ તે તારો નાનો અને ઝાંખો છે અને ‘માનવસહજ’ કુતુહલ કોઈ પુરુષને નહીં પણ સ્ત્રીને થયું ને વ્યક્તિગત મૉરલ આ પ્રશ્નનો ઉત્તર શોધવા તેમને મજબૂર કરે છે. અને જ્યારે જવાબ મળશે એટલે કે – ધ્રુવ જેવો જ પ્રકાશિત તારો નક્ષત્રમાં તેનો હશે ત્યારે જ તેને મુક્તિ મળેલી કહેવાશે. આ વાત તો થઈ વૈદિક કાળની….. તો મધ્યયુગમાં સંત તુલસીદાસજીએ કહેલું, 

     ढोर गवार शुद्र पशु नारी ये सब ताड्न के अधिकारी ..

    જે મધ્યયુગની માનસિકતા છતી કરે અને વૈદિકકાળની સ્ત્રીની વિભાવનાને ખંડિત કરે છે પણ હવે આ યુગમાં – એકવીસમી સદીની વાત નહીં  – પણ પુરુષ સ્ત્રીની માનસિકતા સમજે છે તેવું નથી લાગી રહ્યું ?

    હિન્દી સાહિત્યનાં સમર્થ કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તને સ્ત્રીનાં દર્દનો અહેસાસ થયો છે અને ‘યશોધરા’માં કહે છે,

    ‘अबला जीवन हाय तुम्हारी यही कहानी
    आंचल में है दूध और आंखों में पानी’

    તો આપણા ગુજરાતી કવિ ‘નિમ્મેસભાઈ’ એટલે કે નિર્મિશ ઠાકર સ્ત્રીને અશ્રુનું ઘર કહી સ્ત્રીના આંતરમનને અજવાળે છે. 

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME