Archive for the ‘વિશેષ’ Category
ગઝલ
Tuesday, September 16th, 2008
ધરાના વિલયને હું જોતો રહ્યો છું,
શબદને બચાવીને ઊભો રહ્યો છું.
કહો સાંધશે કોણ ઓઝોનને આ ?
ગગન બાથમાં લઈને ઊભો રહ્યો છું.
ગયા પીગળી સૌ પહાડો બરફના,
અગનઝાળ ઝીલી હું ઊભો રહ્યો છું.
નથી ક્યાંય જંગલ, ન તો ઘાસ લીલું,
હરણને બચાવી હું ઊભો રહ્યો છું.
નદી તો સુકાઈ ગઈ છે યુગોથી,
હલેસાંને ઝાલી હું ઊભો રહ્યો છું.
- હર્ષ બ્રહ્મભટ્ટ
મિત્રો, આજનો દિવસ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન તરીકે મનાવવામાં આવે છે. આમ તો, ૧૯૮૭માં વાતાવરણમાં ઓઝોનનું સ્તર ઓછું થઈ રહ્યું છે તેમ સાબિત થઈ ચૂકેલું. પણ ડે-સ્પેશિયલ અમેરિકાએ ૧૯૯૮માં આજના દિવસને ઓઝોન દિન તરીકે મનાવવાનું નક્કી કરેલું. આપણા કવિએ માત્ર ઓઝોન જ નહી, પરંતુ ગ્લોબલ વૉર્મિંગની, સૂકાતા જંગલ અને નદીઓની પણ ચિંતા વ્યકત કરી છે. ધરાના વિલયને બસ ક્યાં સુધી આમ જોતા રહેશું ? પ્રાણીક હિલીંગ કે રેકી શીખતા ત્યારે સમૂહમાં ઓઝોનનું ગાબડું પૂરાઈ જાય તેવી પ્રાર્થના કરતાં અને જાણે કે બ્રહ્માંડમાં એક હકારાત્મક અભિગમ ફેલાય અને કુદરતી આપત્તિઓ દૂર થાય તેવું માંગી લેતાં.
મેઘાણી : ‘ગની’ દહીંવાલા
Thursday, August 28th, 2008
અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી !
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી !
હવે હે, મોરલા ! તારો અષાઢી કંઠ ક્યાં મળશે !
કવનનાં વૃક્ષ પર ખાલી છે તારી ડાળ, મેઘાણી !
સ્મરણમાં નિત નવા લેબાસમાં હું જોઉં છું તુજને,
કદી સાફો, કદી વાંકડિયા તારા વાળ, મેઘાણી !
કદી અંધારમાં ‘ઇન્સાનિયતના દીવડા’ આપ્યા,
કદી ‘ધરતીનું ધાવણ’ દઈ ઉછેર્યાં બાળ, મેઘાણી !
વગાડી તેં નજાકતથી કદી ‘ટાગોરની વીણા’
સરળતાથી સુણાવ્યા ચારણોના ઢાળ, મેઘાણી !
અચાનક તેં સભામાંથી ઊઠીને ચાલવા માંડ્યું,
બધા શ્રોતાઓને હૈયે પડી ગઈ ફાળ, મેઘાણી !
- ‘ગની’ દહીંવાલા
આપણા લોકલાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ તેમની રચનાઓ તો માણીએ છીએ પરંતુ ગનીચાચા રચિત પ્રશસ્તિકાવ્ય તેમના જન્મદિને અર્પણ….!! ગનીચાચાએ તેમની કૃતિઓને પણ ગઝલમાં વણી લીધી છે અને અન્ય રચનાઓ વિશેની માહિતી આપને www.meghani.com પર મળી રહેશે. અને એક જાણવા જેવી વાત, અમદાવાદમાં એમની અટક પરથી જ મેઘાણીનગર વિસ્તાર છે અને સુરતમાં મેઘાણી બાગ….. !!
.
નીરજને જન્મદિને શુભેચ્છા :
Wednesday, August 27th, 2008ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
નીરજ શાહ એટલે કે રણકાર.કૉમ ગુજરાતી ગીતોની મહેફિલ જમાવે છે તે નીરજભાઈ…
તેનો આજે જન્મદિન …. અને ખાસ તો વૅબમહેફિલના વાચકોને આનંદ થશે કે
વૅબમહેફિલમાં નામ મારું ભલે જોડાયેલું હોય પણ જેમ અંકિતભાઈ શરુઆતથી જ
મદદ કરી રહ્યા છે તેમ નીરજે પણ શરુઆતથી જ તમામ ટેકનિકલ મદદ કરી છે.
પોતે લંડનમાં રહી જૉબ કરે છે અને સૉફ્ટ્વેર કન્સ્લ્ટીંગનો બિઝનેસ પણ.
તેના જન્મદિને આભારનું એક નાનકડું પુષ્પગુચ્છ….
ચોમાસામાં વનવર્ણન
Sunday, August 24th, 2008
યુગપ્રવર્તક શ્રીકૃષ્ણની આજે જન્મતિથી અને આપણા સાહિત્યના યુગપ્રવર્તક એવા વીર નર્મદનો જન્મદિવસ. પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે પણ શૌર્યસભર તેમના કાવ્યોએ તેમને
‘વીર નર્મદ’ નામ આપ્યું. પ્રાચીન સાહિત્ય બહુધા ધર્મ અને ભક્તિવિષયક હતું. પરંતુ દલપત પછી નર્મદે નવીન વિષયવસ્તુ, પ્રકાર અને દ્રષ્ટિ અપનાવી પદ્ય તેમજ ગદ્યમાં પણ વિશેષ પદાર્પણ કર્યુ. તેમની ‘મારી હકીકત’ એ તો ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. તેમણે ‘પિંગળપ્રવેશ’ અને ‘અલંકારપ્રવેશ’ પુસ્તક આપી સાહિત્ય ઉપયોગી કાર્ય કર્યું.
’The spectator’ પરથી પ્રેરણા લઈ ‘ડાંડિયો’ નામનું દૈનિકપત્ર પણ શરુ કર્યું. જેની સ્કેન કોપી ચંદ્રકાંત શાહની સાઈટ પર જોઈ શકાશે.
રમેશ પારેખ કહે છે એમ દરેક કવિમાં એક વિરહી યક્ષ રહેલો છે અને ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે” જેવી પ્રેરણાદાયી કાવ્યપંક્તિ કે માભોમનું ઋણ ચૂકવતી ‘જય જય ગરવી ગુજરાત’ ના રચયિતા પણ એમાંથી શાને બાકાત રહે ? વરસાદમાં માણીએ ‘વરસાદમાં વનવર્ણન’ના અંશો
કેવો ઠંડો પવન અતિશે જોરમાં આવતો રે,
આ ! આ આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે,
ઓહો ! કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે,
ઓહો ! આવ્યો ખૂબ તૂટી પડ્યો મેઘ મોટી જ ધારે.
ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે,
ગાજી રેહે ગરજન થકી રાન આખું વળી રે;
વ્યાઘ્રોસિંહો અતિશ તડૂકે, ઝાડ મોટાં પડે રે,
જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી પડે રે.
પહાડે મોરો થનગન કરે શિર ઊંચું લઈને,
આંબાડાળે કરતી ટહુકા ખૂબ કોયલડી તે;
દાદુરો તે સરવર વિષે બોલતા, કૂદતા ને
પીએ તો યે પય પય કરે આકળા ચાતકા તે.
પાણી પાણી સકળ વનની કુંજમાહે મચે ને
પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઈને રે;
કો કો ઠામે ડુંગર પથી ધોધ મોટા પડે રે,
જેમાં રૂડા સૂરજકિરણે રંગ ઝાઝા બને રે.
એને જોતાં અચરત થઈ કાં ન તું ને સ્તવું રે,
ધો ધો ધો ધો મધુર સુણતામ કાં ન લ્હેરે સૂઉં રે.
