Archive for the ‘ગઝલ’ Category
વિગત : કીર્તિકાંત પુરોહિત
Saturday, September 24th, 2011
.
ઈશ્વરે ખુદ લખી છે વિગત ડાયરીમાં,
છળ કરે આચરણ સત્યનું માનવીમાં.
ભરજુવાની પવન લૂંટતો’તો કળીની,
ક્રોધથી નસ ઉપસતી રહી પાંદડીમાં.
શબ્દને લય, વજન, છંદનું દાપું દઈને,
પોંખવી છે ગઝલ, સૂરની પાલખીમાં.
માનવી જાત છે જાનવરની કહીને,
માનવી માનવીથી ડરે ખાનગીમાં.
ખુદને જો ખુદની જોઇએ કોઈ ઓળખ,
જાતને ડુબાડવી યે પડે આરસીમાં.
‘કીર્તિ’ – ના ધૂળ સમજો, ન માથે ચઢાવો,
એક વીંટી સમી જાળવો આંગળીમાં.
- કીર્તિકાંત પુરોહિત
.
.
ઈશ્વરની ડાયરીની વિગતો જાણવાનું કોને ન ગમે ? કીર્તિઅંકલ પણ એવી જ કઈક વાત કરે છે. તો પાંદડીમાં ઉપસેલી નસો નું કલ્પન અનેરું છે.
.
.
.
.
લે, તરસને સાચવી : ગુંજન ગાંધી
Wednesday, September 21st, 2011
.
લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી ?
બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી ?
દ્રશ્ય ભીનું થઈ ગયું,
ક્યાં નજર સંતાડવી ?
વાત પૂરી ના થઈ ?
તો ક્ષણો લંબાવવી.
પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી !
- ગુંજન ગાંધી
.
.
ગુંજનભાઈ ટૂંકી બહરમાં - એટલે કે, ટૂંકમાં ઘણાં રામબાણ ઉપાય કહી ગયાં . અને કશું યાદ ન રહે કે, ન સૂઝે તો – દીવાલ એટલે કે, આપણાં જ હઠાગ્રહો મૂકી , ખુલ્લે બારણે હઠાગ્રહોની બહાર નીકળી જવું સારું. કારણ દીવાલ ક્યારેય બારણા જેવી સરળ નથી હોતી.
.
.
.
.
સ્વયં : અશરફ ડબાવાલા
Tuesday, September 20th, 2011.
છોને બધા સમજે કે એ સાકાર છે સ્વયં,
હું છું, એ એના ભાસનો આધાર છે સ્વયં.
આ શૂન્યતાને શબ્દમાં ઢાળ્યા કરો છો શું ?
એને ઘડી રહ્યા છો જે આકાર છે સ્વયં.
વચમાં છું દ્વિધામાં કે હું કોના તરફ વળું,
એ પાર તારો સાદ ને આ પાર છે સ્વયં.
મનમાંથી મન તો અમને ફંગોળે મનન સુધી,
એને કહો એ શું કે જે સરકાર છે સ્વયં.
અશરફ, તમારા હાથમાં શોભે છે એ કમળ;
જે આખાય સરોવરનો પણ શણગાર છે સ્વયં.
- અશરફ ડબાવાલા
.
.
‘ અહમ્ બ્રહ્માસ્મિ’ નો નાદ ગૂંજવા લાગે ત્યારે સ્વયંને ‘સ્વયં’ થી અલગ કેમ કરી શકાય ? આપણું હોવાપણું જ તો ઈશ્વરનાં હોવાપણુંનો આધાર છે.
.
.
.
.
કૈંક જડવું જોઇએ : રતિલાલ ‘અનિલ’
Monday, September 19th, 2011.
સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ.
બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ.
એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ.
આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ.
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ.
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ.
પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે,
આળ જેવું કૈંક ચડવું જોઇએ.
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ.
– રતિલાલ ‘અનિલ’
.
.
જાતની સાથે ઝઘડવું એટલે, આત્મચિંતન. જો તટસ્થપણે મનોમંથન કરીએ તો, આત્મચ્છિદ્ર મળી જ આવે એટલે કે, આપણું જ કોઇ કડવું સત્ય જડી જાય. ભીનાં ને ભીનાં સડવું એનાં કરતાં તો આત્મપ્રકાશનાં તાપમાં પોતાનાં દોષને દૂર કરવો તે વધુ સારું. કારણ, આખરે આપણે તો માનવ – ઈશ્વર નિરાકારી નિર્ગુણ સ્વરુપે છે પણ આપણે તો આપણી જાતને ઘડવી જ પડે.
.
.
.
.
ઈશ્વરમાં : ભરત વિંઝુડા
Tuesday, September 13th, 2011.
તું નદી છે તો જા સમંદરમાં,
નહીં સમાવી શકું હું ગાગરમાં !
બેઉ બાજુ વિચાર તારા છે,
કેમ પડખું ફરું હું બિસ્તરમાં !
તૂટતાં-તૂટતાં વધે છે પણ,
માત્ર સંખ્યા જ આમ પથ્થરમાં !
તે પછી તારા ગામની હદ છે,
આવું છું ગામમાંથી પાદરમાં !
આપણાંમાં કશુંક ખૂટે છે,
શોધીએ છીએ એ જ ઈશ્વરમાં !
- ભરત વિંઝુડા
,
,
સીધી બાત દિલસે…. ગઝલિયત ને બરકરાર રાખીને પણ ગઝલ કેટલી સહજ અને સરળ રીતે ખૂલી શકે છે !!
.
.
.
.
ભૌમિતીક ગઝલ : નયન દેસાઈ
Monday, September 12th, 2011.
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
- નયન દેસાઈ
.
.
ચોરસ કે લંબચોરસ ઓરડામાં સમય ખુદ ટૂંટિયું વાળીને બેઠો હોય એટલે કે, વક્રરેખાની જેમ વાંકો હોય ત્યારે, કશુંક તો છેદાઇ જ જતું હોય છે. શક્યતાનું વર્તુળ પણ પૂરું ન થઈ શકતાં, ‘રાઉન્ડર’ની અણી વર્તુળ દોરતાં પાનાને ભોંકાતી હોય એમ જ હૃદયને ભોંકાતી હોય છે. પણ જો શૂન્યતાની સાંકળો બાંધી શકીએ તો, સુખ અને દુ:ખની સમાંતર જતી બે રેખાઓ વચ્ચેનો અવકાશ – આપણે ખુદ જ છીએ !
આ ગઝલ વાંચ્યા પછી તો મારા માટે ભૂમિતી પણ કેટલું સરળ બની ગયું અને જિંદગીનું ગણિત પણ …..
.
.
.
.
