Archive for the ‘Uncategorized’ Category
અવિરામ : રાધેશ્યામ શર્મા
Monday, January 26th, 2009
નિસરણીઓ
નીસરી
ભૂકંપિત
બજારમાં
મકાનો
ગોતવા
અને
મન્દિરો
મળ્યાં
ત્યાં
શિખર
વિહોણાં
બાવન
ગજની
ધજાઓને
વીંટઈ
સૂતેલાં
શું
ગાઉં
મારો
રાવણહથ્થો
ધરબાઈ
પડ્યો છે
કો’ક
અજાણ્યા
પગથિયામાં.
- રાધેશ્યામ શર્મા
છવ્વીસ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાકદિન સિવાય ભૂકંપદિન ? પણ ખરો….એ સવારે કચ્છ અને અમદાવાદમાં આવેલ ભૂકંપમાં જેણે પોતાનાં મકાનો,દુકાનો અને સગાવ્હાલાં ગુમાવ્યા છે તેઓને તો જીવનપર્યંત આફ્ટર શૉક આવ્યાં જ કરવાનાં…… ભૂકંપે મનમાં પાડેલી તિરાડો ક્યારે અને શેનાથી સંધાશે ?!! કોઈ કચ્છી માંડુને પોતાના ધરબાઈ ગયેલા રાવણહથ્થા વિના હજુ ગાવાનું મન થતું હશે ?
અને હા…. વફા સા’બે પોતાનાં બ્લૉગ પર મૂકેલ આ દેશભક્તિનાં ગીતો સાથે પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ …….
.
ગઝલ : ભગવતીકુમાર શર્મા
Monday, November 17th, 2008
ઉદાસી દિવસ-રાત કોઠે પડી છે ;
તિરાડો ઘણી ઘરની ભીંતે પડી છે.
પરિસ્થિતિ આ રીતે થાળે પડી છે;
ગલીમાં ખુશી ઊંધે માથે પડી છે!
વિધાતાની પગલીનો નકશો તો ન્યારો,
કરચલીઓ ઊંડી કપાળે પડી છે!
ગયું વરસી વાદળ ને સૂરજ ઝળુંબ્યો;
કે મોતીની માળાઓ તડકે પડી છે.
એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;
હયાતી મરણને ભરોસે પડી છે.
- ભગવતીકુમાર શર્મા
સમય જતાં ઘરની ભીંતોમાં પડેલી તિરાડો કરતાંયે મનમાં,સંબંધમાં તિરાડો વધુ ઊંડી અને પહોળી પડતી જતી હોય છે. તો શરીરરૂપી ઘર પણ સમયની ઝાપટો કેટલી ખાઈ શકે છે ? અને દરેક સ્થિતિ અંતે ઉદાસીમાં પરિણમે છે. પરિસ્થિતિ થાળે પાડવા કમને સમાધાન કરવું પડે છે ખુશી ગુમાવીને. પણ આ તારું, આ મારું છોડી જો આપણુંની ભાવના સર્જી સમાધાન કરીએ તો ? વૃદ્ધત્વની કરચલીઓ એ તો વિધાતાએ જીંદગીમાં પાડેલાં તેનાં પગલાંની નિશાની છે, એમ કહી ઈશ્વરની એકહથ્થુ સાર્વત્રિક સત્તાનો સ્વીકાર કરે છે. તો અસ્તિત્વ છે તેનો નાશ છે જ અને આથી જ તો મારો, તમારો નહીં હયાતીનો ઉદ્ધાર કરી દે. અને આમ પણ હયાત તો બસ પરમચેતનરૂપ આત્મા જ રહે તો આત્માનો જ ઉદ્ધાર ઈચ્છીએ જેથી જન્મોજન્મનાં બંધનમાંથી મુક્તિ મળે .
