જાય છે : અનિલ ચાવડા
Monday, May 10th, 2010
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.
- અનિલ ચાવડા
મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્હાણ પણ ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે. જોકે, જિંદગીમાં આ બધું - વીત્યા પછી જ સમજાતું હોય છે. કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
