ગઝલ : ભાવેશ ભટ્ટ ‘મન’
Wednesday, October 22nd, 2008
જિંદગીનું કોઈ સંપાદન કરે,
મોતને પ્રસ્તાવના લખવી પડે!
એકલો ચોક્કસ નથી હું,કોઈ છે,
રોજ સાથે કોણ આવે છે બધે?
આંખમાં રહી આંખ જેવી થઈ ગઈ,
આ તરસનું નામ બદલું છું હવે.
અર્થની થોડી ઘણી લાશો સિવાય,
મૌનના દરિયા કિનારે શું મળે?
હું કહું છું કે આ સમય એ કોણ છે?
ચોર છે તો કોઈને ચોરી શકે!
જાદુની કોઈ જ છડી પાસે ન હોય,
જો મળે એવી પરી,ક્યાંથી ગમે?
- ભાવેશ ભટ્ટ ‘મન’
મત્લાનો શેર આખીય જિંદગીનો સાર બે જ લીટીમાં કહી દે છે. અને જિંદગીનું સંપાદન કરવાની વાત જ – જો કે આપણે તો રોજ જ કરતાં હોઈએ પણ જો ખરેખર ખુદા જ સંપાદન કરે તો ? જન્મ તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે ભલે બીજું બધું જ અનિશ્ચિત !અને આથી જ તે કહે છે પ્રસ્તાવના તો મોતને જ લખવી પડે. આંખની તરસ આંખ જેવી થઈ આંસુ બને છે તેથી જ તરસનું નામ તેણે બદલી નાંખ્યું ! મૌન પણ બોલકું હોય છે જ્યાં ન બોલાયેલાં શબ્દનો અર્થ આપણે આપણી જાતે શોધવો પડે અને અંતે તમામ અર્થની લાશો જ કારણ મૌન ઉકેલી નથી શકાતું અને આપણે જ નિઃશબ્દ બનવું પડે છે.
“કોઈ પ્રકરણ ક્યાંક સારું આવશે,
એક પાનું ફેરવી જો તો ખરો.” – ભાવેશનો જ શેર . બસ આ એક પાનાની આશાએ જિંદગી નામનું આખું પુસ્તક વાંચી નાંખવું પડે અને અંતે ખબર પડે કે મોતે જ પ્રસ્તાવના લખેલી હોય છે.
