Posts Tagged ‘gazal’

ગઝલ : અંકિત ત્રિવેદી

Monday, August 25th, 2008

 

લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો’ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.

આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.

એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.

- અંકિત ત્રિવેદી

 

હમણાં એક કાર્યક્રમમાં જવાનું થયું. બાજુમાં એક ઘરડાં બા બેઠેલાં તો મને પૂછ્યું કે, સ્ટેજ પર
મીઠડું બોલતો અને પરાણે વ્હાલો લાગે એવો આ છોકરો કોણ છે ? મેં કહ્યું , બા, એનું નામ તો અંકિત ત્રિવેદી છે. હવે બાને તો સાહિત્યની બહુ સૂઝ ન’તી લાગતી પણ તોયે …?!! અને અંકિતના પુસ્તક ‘ગઝલપૂર્વક’ ના દ્વિતીય વિમોચન સમારંભમાં સુરેશદાદાએ પણ નોંધ્યું કે આજના કાર્યક્રમમાં યુવતીઓ વધુ દેખાય છે. તો નાના-મોટાં સહુને મોહિત કરનાર અંકિતના પરિચયની તો કોઈને જરુર નથી. પણ વૅબમહેફિલના વાંચકોને જાણીને આનંદ થશે કે, ૨-૩ મહિનાથી સાઈટની કામગીરી માટે સાહિત્યકારોને મળવાનું થતું.  અંકિતને પણ મળવાનું થયું અને હજુ વેબમહેફિલે તો પગલું ઉપાડ્યું’તું ને એમણે વૅબમહેફિલનો હાથ શરૂઆતથી જ થામી લીધો. એમના પ્રત્યક્ષ અને પરોક્ષ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અને મને ગમતી એમની રચના ….

 

વરસાદની ગઝલ : રઈશ મનીઆર

Friday, August 22nd, 2008

જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી  પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

એ નથી વન્ટોળનો, ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

- રઈશ મનીઆર

વરસાદી માહોલ હોય અને ભીંજાવાનું મન કોને ન થાય?
પણ જો વાદળો ના વરસે તો ?-  વરસાદી ગઝલમાં તો ભીંજાઈએને ?!!
રઈશભાઈની આ વરસાદી ગઝલમાં, વરસાદનો કેફ એવો ચઢે છે કે, મત્લાના શેરથી તૃણની જેમ આપણે પણ ….. !! અને આ કેફની કેફિયત તો વર્ષા ખુદ શાંત બની સાંભળવામાં તલ્લીન…. તો ‘પાણીદાર’ શબ્દ અને વાદળને સાથે જોડી ધારી જમાવટ થઈ છે. મક્તાનો શેર પણ એટલો ચોટદાર છે કે સાચે જ સન્નાટો છવાય જાય છે દિલોદિમાગ પર.

ગની જન્મશતાબ્દી વર્ષ

Sunday, August 17th, 2008

 

“જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’ ,
 હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે. “

આ શેરને શબ્દશઃ સાર્થક કર્યો છે એવા ‘ગની’ચાચાને આજે શતક પૂરૂં થયું . ગઝલને ગુજરાતીપણું આપવામાં તેમનું કાર્યપ્રદાન ઘણું જ રહ્યું છે. તેમનો ગુજરાતી પ્રેમ તેમના જ શબ્દોમાં -

“’ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ,
 વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું . “

અને આ ગઝલ-બુલબુલની મસ્ત મજાની ગઝલ માણીશું
“દિવસો જુદાઈનાં જાય છે”- પણ અંગ્રેજીમાં અને તેનો અનુવાદ કર્યો છે શ્રી પ્રદીપ ખાંડવાલાએ.

 
Days of separation are passing, but they will surely lead to a reunion
enemies holding my hands will for certain lead me to my kin, Gani.

Not to the earth, not to the sky, not to rise or to decline,
only wanted to reach each others heart’s concern, Gani.

This flower still could not spread perfume to the world’s garden,
If the earth witholds consent, raise me not to the sky then, Gani.

How peculiar is this life ! Call it the life of loving ;
can’t stay without living; can’t survive until termination, Gani.

Your tears are like the jewels of the lowly, do not with the dust mingle,
if this request is acceptable, then voyage from the heart to the vision, Gani.

You are like a queen’s raiment, we are the chundadi of a poor woman,
you are on the body but a while, until burial we are a companion, Gani.

When the fire in the heart got inflamed, then God Himself showed mercy.
someone shut off the breath, so air would not feed inflamation, Gani.

 

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી ! કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

 

 

સત જેવું

Saturday, August 16th, 2008

આજે રક્ષાબંધન …..

ભાઈ અને બહેનનો પવિત્ર બંધન નિભાવવાનો એક શિરસ્તો માત્ર ?!! 

ના…….લાગણીના તાંતણે નવેસરથી ફરી ફરી બંધાવવાનો અવસર !!

આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ …….

આજે માણીશું લલિત ત્રિવેદીની એક સુંદર ગઝલ

માત્ર એક ઉદ્.ગાર વાચક શબ્દ “વાહ્….!! ” જ એને વધાવી શકે.

તો શું અંદર છે અસલિયત જેવું,

ઉપર ઉપર તો છે વખત જેવું.

દેખવું ક્યાં ને દાઝવું ક્યાં છે ?

ચક્ષુમાં છે અફર નિયત જેવું !

એક સાંધો  ને  તેર તૂટે છે

પહેરવું યાને શખ્શિયત જેવું.

આમ ના થાય એ ધરાશાયી

ક્યાંક અંદર હશે લડત જેવું !

ભોગવત કેમ ગુલમહોર વગર ?

મારું સર્વસ્વ શહેરીયત જેવું !

ઠેઠ અંદર  જઈને બેઠો છે

એમ  લાગે ચડ્યું છે સત જેવું .

સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ

Friday, August 15th, 2008

સાહિત્યરસિકો,

વેબમહેફિલમાં આપનું સ્વાગત !!   મહેફિલનો પ્રારંભ તો ગઝલથી જ થાય…  ‘ઘાયલ’ તો કહે છે, ‘ દિલને લાગે જે લાજમી તે ગઝલ ‘ તો મૂર્ધન્ય કવિશ્રી રાજેન્દ્ર શુક્લ પોતાની આગવી શૈલીમાં ‘ગઝલ’ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે.  રાજેન્દ્ર શુક્લ એ એવું નામ છે કે જેણે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મેળવી ‘ગુજરાતી ગઝલ’ને એક અનેરું સ્થાન અપાવ્યું.  તેમના પોતાનાં જ હસ્તાક્ષરમાં માણીએ ‘ગઝલ’ વિષેની ગઝલ.

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.

- રાજેન્દ્ર શુક્લ

આ ગઝલને ક્ષેમુ દિવેટીયાએ સ્વરબદ્ધ પણ કરી છે
અને શ્યામલ-સૌમિલ મુન્શીએ સ્વર આપ્યો છે. સાંભળો :

This text will be replaced by the flash music player.
Powered By Indic IME