Posts Tagged ‘geet’

કહેને : માધવ રામાનુજ

Tuesday, January 11th, 2011

.

.

સૈયર, તારા કિયા છૂંદણે, મોહ્યો તારો છેલ, કહેને !
સૈયર, તારી કિયા ફૂલની, લૂમીઝૂમી વેલ, કહેને !

કૂવાને કાંઠે કઈ ઘડીએ, રહી ગઈ વાત અધૂરી ?
સૈયર, તારા ઉજાગરાની, કિયા તારલે સાખું પૂરી.

કિયા વરતમાં પાંચ આંગળે, કિયો પીપળો પૂજ્યો, સૈયર ?
મન ભરીને મોહે એવો, કિયો ટૂચકો સૂઝ્યો, સૈયર.

સૈયર તું તે કિયા ફૂલની, લૂમીઝૂમી વેલ, કહેને ?
સૈયર, તારા કિયા છૂંદણે,  મોહ્યો તારો છેલ, કહેને !

- માધવ રામાનુજ

.

.

બે સૈયરો ભેગી થાય અને પછી તો  ટોળ-ટિખ્ખળ, મજાક-મસ્તી ન કરે તો જ આશ્ચર્ય !  અને એમાં પણ, કયો ટૂચકો કરીને પિયુને પટાવ્યો તે વાત જાણવાની તો સૌને તાલાવેલી.  એવી જ કોઇ ક્ષણોને માધવ રામાનુજે શબ્દોમાં અદ્‍ભૂત રીતે કંડારી છે.  તેમની અન્ય રચનાઓ માણવા તેમની પોતાની વૅબસાઇટ http://madhavramanuj.com/ પર માણી શકશો.

.

.

.

.

 

શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી

Tuesday, July 20th, 2010

shravan panihari

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા ! અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં, હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

આછાં  છાયલ અંગનાં,  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો,  રખે  ને  રેલ્યો  જાય.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર ;
તું વરસીને રહી જશે, એનો બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

- ઉમાશંકર જોશી

શ્રાવણી સવારે, માથે હેલ લઇ પાણી ભરવા નાયિકા ચાલી, પણ, ગગનમાં  વાદળો  છવાયેલાં જોઇ તે શ્રાવણને નહીં વરસવા વિનંતી કરે છે.  શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !  તારે તો સરવડાં એટલે કે, તું તો, થોડુંક વરસીને રહી જઇશ, પણ મારું તો  હૈયું ભીંજાઇ જશે.  વળી, ભીંજાયેલું હૈયું , પિયુને સાંભરશે ત્યારે મારા નયનોમાંથી અવિરત આંસુની ધારા બારેમાસ વહેશે તેનું શું ?

શબ્દાર્થ : છાયલ -  ( સંસ્કૃત – છાયાવત્‌ ) છાપેલી સાડી.   કંચવો – ( સંસ્કૃત – કંચુક ) કમખો, કાપડું, બ્લાઉઝ.   સરવડાં – ઝાપટું, થોડુંક વરસીને રહી જવું.

વિશેષ : કવિ શ્રી ઉમાશંકર જોશીનાં જન્મશતાબ્દીપર્વ (૨૧ જુલાઇ, ૨૦૧૦) નાં ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૮ વાગ્યે તેમનાં નિવાસસ્થાનેથી સાહિત્ય પરિષદ સુધી યાત્રા કર્યા બાદ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી પરિસંવાદ યોજવામાં આવેલ છે. ત્યાર બાદ, સાંજે ૬:૦૦ થી ૮:૩૦ તેમણે રચેલ કાવ્યગાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સ્થળ : ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ

.

તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી

Sunday, June 20th, 2010

dikri

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને  યે મોજ  જરી આવે  તે  થયું મને , STDની ડાળથી ટહૂકું !

હૉસ્ટેલને ?  હૉસ્ટેલ તો ફાવે છે,  જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી ;
સાચવજો, ભોળી છે,  ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?  સ્કૂટરને ? ભારે   ઉતાવળા, શમ્ભુ  તો   કેતો’તો   ફ્રીજ ,
કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ?  વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
ઝાઝી તો વાતુંનાં  ગાડાં   ભરાય :  કહું  હાઈકુમાં, એટલે  કે   ટૂંકું.
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

- મનોહર ત્રિવેદી

પિતા અને પુત્રીનાં અનોખા બંધનને ઉજાગર કરતી, મનોહરભાઇની આ ખૂબ જાણીતી રચનાને આજે તેમનાં જ અવાજમાં માણીશું.  દીકરી એટલે જ વ્હાલનો દરિયો પણ સમય વીતતાં જ તેને દાદી બની જતાં વાર નથી લાગતી.  આખાયે ગીતમાં બસ રુટિન વાતચીત જ છે, પણ  હોસ્ટેલમાં રહેતી દીકરીની સંવેદનાઓને આબાદ ઝીલી છે.  મારું બાળપણ યાદ કરું તો , મમ્મી કે અન્ય ન કહી શકે તેવું હું પપ્પાને દાદી બનીને  કહેતાં વાર ન’તી લગાડતી… કદાચ આજે પણ   !!   :)

Happy Father’s Day to all !!

( વિડીયો સૌજન્ય :  પંકજ ત્રિવેદી )

.

કાગળ : મેઘબિંદુ

Wednesday, June 16th, 2010

 

prem-patra 

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?

સુખની ઘટના લખું તમોને, ત્યાં દુઃખ કલમને રોકે,
દુઃખની ઘટના લખવા જાઉં, ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યાં,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યા;
તોય તમારી ઇચ્છા દોડે મુજથી આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?

- મેઘબિંદુ

 

પોતાની સંવેદનાઓને પ્રિયજનને કહેવી ઘણી અશક્ય હોય અને આથી જ આપણે કાગળ અને કલમનો સહારો લઇએ પણ ત્યારે પણ આંખનાં ઝળઝળિયાની ઝાંખપ ક્યાં કશું લખવા દે છે ?   ઇન્ટરનેટ યુગમાં e-mail દ્વારા મનની વાતો ફેસબુક કે ઓર્કુટ પર શૅર કરીએ છીએ. પણ જો રુબરુમાં એ જ વાતો કહેવાની હોય તો….  ફરી એ જ વ્યથા !  

 

.

એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’

Wednesday, April 21st, 2010

 

હૂંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;  હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે,
સવાલ એ નથી, એ માનવી કે કોઇ મત્સ્ય છે;  બધાંની ભીતરે કશેક એક તત્વ દિવ્ય છે.

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા ?  શું સ્થિરતા, પ્રવાહિતા,  શું સામ, દામ, દંડ, ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને, આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,
સ્વભાવગત આ વાત છે સ્વીકારવું – નકારવું,  કરૂણતાઓથી ભર્યું જીવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;  ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;  વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;  સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

- જિગર જોષી ‘પ્રેમ’

 

 મત્લામાં જ કવિ સૂચવે છે,  હૂંફાળો સ્પર્શ કાનને કરીને, વાતને (ગઝલને) સાંભળજો.  કવિ કાન પકડીને પોતાની વાત નથી મનાવતો.  એ તો બસ હળવેથી ’કાન’ને  જગાડે છે.  અંકિત કહે છે એમ, કાન ‘કાનજી’ બની જાય તેવી જ આ વાત છે.  જીંદગીનાં સનાતન સત્યોને જો આમ જ હળવેથી સૂણીએ તો ?!!   સુ:ખ અને દુ:ખ એ તો જીવનચક્રનાં બે પૈડાં છે પણ બધુંય ક્ષણિક જ છે.  પણ આપણે તો કૄતિ માણવાને બદલે,  વિવેચકોની જેમ તેનાં સ્થૂળ, સ્વરુપમાં  દોષો જોવામાં જ સમય બગાડીએ છીએ.  

 

 

ગુજરાતી : ઉમાશંકર જોશી

Sunday, February 21st, 2010

 

મળી સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા.

પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

- ઉમાશંકર જોશી

 

સવાયા ગુજરાતી ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.”   અને જ્યારે તેઓ અંગ્રેજીનાં મૂળ રહેલાં છે તેવી ગ્રીક અને લેટિન ભાષાનાં પણ અભ્યાસુ છે ત્યારે તેમનું આ વિધાન ખૂબ જ ગૌરવપ્રદ છે. તેઓએ વ્યાકરણની સરળતાની નહિં, પણ આપણી ગુજરાતીપણાંની સરળતાની વાત કરી છે.   ( તેમણે તેમનાં અંતિમ ગુજરાતી પુસ્તક શબ્દલોકમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે. )

આજે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે, આપણી સરળ અને સહજ માતૃભાષા અને તેને સમૃદ્ધ કરનાર સૌ સાહિત્યકારોને શતશત વંદન સહ.   કોઈ પણ ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે અને સાંપ્રત કાળમાં જ્યારે  ભાષાવાદનો વિવાદ તેનાં મૂળ પ્રસારી રહ્યો છે ત્યારે, વિશ્વની દરેક ભાષાને ગુજરાતી જેટલી જ સન્માનીય ગણી આજનાં દિને આદર વ્યકત કરું છું.    ગુણવંતભાઈ કહે છે એમ, માતાનાં ધાવણ પછીનાં ક્રમે માતૃભાષા આવે છે.  અને કોઈની પણ ‘મા’ -  માતૃહ્રદય જ ધરાવતી હોય.  આપણી  ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે, જો અન્ય ભાષાની ગરિમા જાળવીશું તો આપણી ગરિમા તો જળવાશે જ.  બ…સ જરુર છે, માતૃભાષા પ્રત્યે પ્રેમની.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME