Posts Tagged ‘geet’

માડી તારું કંકુ :અવિનાશ વ્યાસ

Wednesday, October 1st, 2008

 

માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગમાં તે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો, નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમા તારાના મોતી, જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા, અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં,
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો. 

- અવિનાશ વ્યાસ

 

માના નવલાં નોરતા શરૂ થઈ ગયાં છે …… આદ્યશકિતની ઉપાસના સાહિત્યમાં એક અલગ જ ભક્તિનો રંગ ઉમેરે છે. રવિ ઉપાધ્યાય, તુષાર શુક્લ, અવિનાશ વ્યાસ વિ. એ આપણને ખૂબ જ સુંદર મા નાં ઉપાસનાગીત આપ્યાં છે. માના ચરણોમાં ગીતપુષ્પ….!

ગીત

Tuesday, September 16th, 2008

 

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

 વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

- સંદીપ ભાટિયા  

 

મૃત્યુ વિશે ઘણું બધું લખાયું છે પણ સંદીપભાઈ આ જ વાતને બહુ ભારેખમ બનાવ્યા વિના સરળ અને સહજ રીતે કહી દે છે. ગીતામાં લખેલા બધાં શ્લોકો યાદ આવી જાય છતાં પણ તે પણ એટલું જ સત્ય છે કે શું માણસ જેવો માણસ ધુમાડો થઈ જાય તે જેવી તેવી વાત છે ?  એના પડછાયાને બસ એક ફ્રેમમાં કેદ કરી દેવાથી એ હેતાળ સ્પર્શના પડઘા શમી જશે ? ખરે જ સ્તબ્ધ થયેલી રેતશીશીમાંથી સમય પણ જાણે સરતો નથી અને તારીખિયાને પાને સાચે જ સૂરજ અટકી જાય છે.

આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થાય છે તો ગીતની સંવેદનાને વાસ્તવિક જીવનમાં નિભાવવાનો એક પ્રયાસ કરી જોજો. ઓફિસ જવાનું મોડું થાય છે એની ફિકર કર્યા વિના એક નજર દાદા-દાદીના ફોટા પર કરી જોજો અને કાગડાને વાસ નાંખજો જરૂર તેમના વ્હાલ અને આશીર્વાદનો અહેસાસ કરી શકશો. આશિત દેસાઈએ આ ગીતને ખૂબ સુંદર રીતે સ્વરબદ્ધ પણ કર્યું છે .

આજે ઓઝોન દિન પણ ખરો તો માણીશું બીજી એક ગઝલ……..

 

 

પ્રાતઃકુંવરીનું ગીત

Monday, September 8th, 2008

 

ઓલ્યા પહાડની પાછળ, પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો,
વસ્તર જાતાં રાતનું જાણે આભને ગાલે શર્મભર્યો શેરડો એક છવાયો.

રમતાં’તાં થોડાં તારલા, થોડી બાકી રહેલી રાત,
ભમતા’તા નભમોરલાં, થઈ વાદળિયાં પરભાતે,
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા.

એકદંડિયા મહેલથી પ્રાત:કુંવરીને છોડાવી,
હજાર હાથે લડે બાણાસુર કાળસેના તેડાવી,
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો. – ઓલ્યા.

કુદરતમાં નાહીને પશુપંખીએ મંત્ર જગાવ્યો,
ભૂલાઈ જાતા સામને, પાછો પંખીઓએ ગવરાવ્યો,
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો. – ઓલ્યા.

-નીનુ મજુમદાર

 

નીનુ મજુમદારે ‘પંખીઓએ કલશોર કર્યો’ ગીતમાં સંધ્યાની વિવિધ રંગોથી કલાત્મક રંગોળી કરી છે તો આ ગીતમાં પરોઢિયે સૂર્યનું પહેલું કિરણ ફૂટે, થોડા તારા પણ આંખમિચોલી કરતા હોય અને વાદળા નભમોરલા બની નૃત્ય કરતા હોય ત્યારે પંખીઓ જાણે ભૂલાઈ જાતા ‘સામવેદ’ને ગાવા માંડે છે ને સૂર્ય સાત અશ્વો પર સવાર થઈ પ્રાતઃકુંવરીને છોડાવી લાવે છે તેનું અદ્.ભૂત વર્ણન કર્યું છે. 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME