એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’
Wednesday, April 21st, 2010
હૂંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે,
સવાલ એ નથી, એ માનવી કે કોઇ મત્સ્ય છે; બધાંની ભીતરે કશેક એક તત્વ દિવ્ય છે.
શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા ? શું સ્થિરતા, પ્રવાહિતા, શું સામ, દામ, દંડ, ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.
ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને, આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,
સ્વભાવગત આ વાત છે સ્વીકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જીવનનું આ જ સત્ય છે.
ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે; ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?
કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત; વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !
- જિગર જોષી ‘પ્રેમ’
મત્લામાં જ કવિ સૂચવે છે, હૂંફાળો સ્પર્શ કાનને કરીને, વાતને (ગઝલને) સાંભળજો. કવિ કાન પકડીને પોતાની વાત નથી મનાવતો. એ તો બસ હળવેથી ’કાન’ને જગાડે છે. અંકિત કહે છે એમ, કાન ‘કાનજી’ બની જાય તેવી જ આ વાત છે. જીંદગીનાં સનાતન સત્યોને જો આમ જ હળવેથી સૂણીએ તો ?!! સુ:ખ અને દુ:ખ એ તો જીવનચક્રનાં બે પૈડાં છે પણ બધુંય ક્ષણિક જ છે. પણ આપણે તો કૄતિ માણવાને બદલે, વિવેચકોની જેમ તેનાં સ્થૂળ, સ્વરુપમાં દોષો જોવામાં જ સમય બગાડીએ છીએ.
.
