Posts Tagged ‘gujarati literature’

મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી

Friday, August 13th, 2010

( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

- અંકિત ત્રિવેદી

પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય !  ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .

.

રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

Saturday, July 10th, 2010

rasto

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

- અમૃત ‘ઘાયલ’

અમૃત ‘ઘાયલ’ની એક ખુમારીસભર  ગઝલ.  કોઇ પણ મુશ્કેલીનો રસ્તો આત્મબળનાં સહારે જ મળે છે.  અને કદાચ રસ્તો ન મળે તો, દીપકની જેમ આંધીઓમાં બુઝાઇ નથી જવાનું.  જો ઇશ્વર ખુદ પથદર્શક હોય તો કાળનું પણ શું ગજું ???  ઈશ્વરની કૃપાથી,  સ્વયં પ્રકાશિત બનીએ તો, ગનીચાચા કહે છે એમ, દિશાઓ પણ ફરી જાય છે.  ” શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશા ફરી ગઇ.”  – ‘ગની’ દહીંવાલા

.

એક પળ નીકળે : મનોજ ખંડેરિયા

Monday, May 24th, 2010

 

khobo1 

ન ધારેલ હો એવું જળ નીકળે,
ભરો ખોબો એમાં વમળ નીકળે.

હટાવો જૂના કાટમાળો બધાં !
નીચે જીવતી એક પળ નીકળે.

ગડીબંધ પ્‍હેરણ ત્વરિત પહેરી લે !
વખત જાતાં એમાંય સળ નીકળે.

વહી ચૂક્યા પાણીનું પરબીડિયું -
હું ખોલું તો નમણું કમળ નીકળે.

ધરા શબ્દની, માંગ્યું આપી રહે,
તમે તીર મારો ને જળ નીકળે.

- મનોજ ખંડેરિયા

 

જિંદગીમાં ન ધારેલું તો ઘણું બધું થતું હોય છે.  જોકે, જૂનો કાટમાળ  હટાવતાં એક જીવતી પળ પણ મળી શકે.  એટલેકે, પસ્તી વચ્ચે મળી આવેલી કોઈ ‘યાદ’ જ નહીં – આપણાં પૂર્વગ્રહોનો કાટમાળ જરાક આઘો કરીએ તો – જીવતી પળ પણ મળી જ આવે.   જળનાં વમળની જેમ જ ઊંડે લઇ જતી ગઝલ વળી આપણને કિનારે લાવીને મૂકી દે છે અને કહે છે,  શબદની ધરા – તો માંગ્યું આપી દે બસ તીર મારો અને જળ નીકળે.  એટલે કે,  The Secret – Movie માં દર્શાવ્યું છે એવું પણ શક્ય છે જ .

 

 

.

શું ચીજ છે ? : રમેશ પારેખ

Wednesday, May 12th, 2010

 

bankado

 એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું  શું ચીજ છે ?

ચીજવસ્તુ થઇ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?

કઇ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં,
‘રમેશ’ ગોળ રસ્તા, ગોળ જીવે, હાંફવું શું ચીજ છે ?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા ‘રમેશ’,
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે?

- રમેશ પારેખ

 

આપણે સૌએ વૃદ્ધત્વને હાંફી જતું તો ઘણી વાર જોયું જ છે, પણ, તે શું ચીજ છે ? -  કદાચ ખબર નથી.   બગીચામાં ખાલી બાંકડાનાં સંગે, એક સાંજ પસાર કરવી ગમે … પણ જ્યારે તે ફરજિયાત થઇ જાય એટલે કે,  હવે તે સિવાય કોઇ કામ જ નથી રહ્યું.  ત્યારે એ જ બાંકડાનાં પાટિયાં પર ગુજારેલી પ્રિયજન સાથેની સાંજ – ચીજવસ્તુ જેવી થઇ ગયેલી આંખમાં પણ  કણા ની જેમ ખૂંચે છે.   અત્યારે તો,  છાપાંમાં હૅડલાઇન વાંચી ઓફિસ જતાં, વિચાર આવે છે કે,  છાપુંય વાંચવાનો સમય નથી અને પછી સમય પસાર કરવા, આખે આખું છાપું વાંચ્યા પછી પણ હવે શું ?  એ પ્રશ્ન ઊભો જ હોય.  

ઘરમાં રહેલ વૃદ્ધજનોને એકલતા ન સાલે તેનું ધ્યાન રાખીએ તો શક્ય છે ભવિષ્યમાં આપણને પણ આ એકલતા ના સાલે ?!! 

 

.

જાય છે : અનિલ ચાવડા

Monday, May 10th, 2010

 

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.

- અનિલ ચાવડા

 

મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્‍હાણ પણ  ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે.   જોકે,   જિંદગીમાં આ બધું -  વીત્યા  પછી જ સમજાતું હોય છે.   કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.

 

 .

એક તત્વ દિવ્ય છે : જિગર જોષી ‘પ્રેમ’

Wednesday, April 21st, 2010

 

હૂંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;  હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે,
સવાલ એ નથી, એ માનવી કે કોઇ મત્સ્ય છે;  બધાંની ભીતરે કશેક એક તત્વ દિવ્ય છે.

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા ?  શું સ્થિરતા, પ્રવાહિતા,  શું સામ, દામ, દંડ, ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને, આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,
સ્વભાવગત આ વાત છે સ્વીકારવું – નકારવું,  કરૂણતાઓથી ભર્યું જીવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;  ક્ષણિક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;  વિવેચકોની દ્રષ્ટિઓ ય લીન છે સ્વરૂપમાં,
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;  સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

- જિગર જોષી ‘પ્રેમ’

 

 મત્લામાં જ કવિ સૂચવે છે,  હૂંફાળો સ્પર્શ કાનને કરીને, વાતને (ગઝલને) સાંભળજો.  કવિ કાન પકડીને પોતાની વાત નથી મનાવતો.  એ તો બસ હળવેથી ’કાન’ને  જગાડે છે.  અંકિત કહે છે એમ, કાન ‘કાનજી’ બની જાય તેવી જ આ વાત છે.  જીંદગીનાં સનાતન સત્યોને જો આમ જ હળવેથી સૂણીએ તો ?!!   સુ:ખ અને દુ:ખ એ તો જીવનચક્રનાં બે પૈડાં છે પણ બધુંય ક્ષણિક જ છે.  પણ આપણે તો કૄતિ માણવાને બદલે,  વિવેચકોની જેમ તેનાં સ્થૂળ, સ્વરુપમાં  દોષો જોવામાં જ સમય બગાડીએ છીએ.  

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME