Posts Tagged ‘gujarati sahitya’

કલમ ઉપાડી છે : સુનીલ શાહ

Friday, August 6th, 2010

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.

રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !

રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !

હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

- સુનીલ શાહ

આપણાં સૌની દોરી ઈશ્વરનાં હાથમાં જ રહેલી છે અને ભાગ્ય જાણવા, ઉછાળેલાં સિક્કાની બન્ને બાજુ પણ… તેના જ હાથમાં. સુખ કે દુઃખ જે પણ આવે/આપે,  ઈશ્વર પર શ્રદ્ધા રાખી જીવીએ તો જિંદગી અઘરી નહીં લાગે !

.

રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

Saturday, July 10th, 2010

rasto

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

- અમૃત ‘ઘાયલ’

અમૃત ‘ઘાયલ’ની એક ખુમારીસભર  ગઝલ.  કોઇ પણ મુશ્કેલીનો રસ્તો આત્મબળનાં સહારે જ મળે છે.  અને કદાચ રસ્તો ન મળે તો, દીપકની જેમ આંધીઓમાં બુઝાઇ નથી જવાનું.  જો ઇશ્વર ખુદ પથદર્શક હોય તો કાળનું પણ શું ગજું ???  ઈશ્વરની કૃપાથી,  સ્વયં પ્રકાશિત બનીએ તો, ગનીચાચા કહે છે એમ, દિશાઓ પણ ફરી જાય છે.  ” શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશા ફરી ગઇ.”  – ‘ગની’ દહીંવાલા

.

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા

Monday, May 31st, 2010

 

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવંત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર, ખીણ, ધુમ્મસ, સૂરજ  કે કશું નૈં ?
‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું,
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.

 - ભગવતીકુમાર શર્મા

 

ભગવતીદાદાનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ.  જેમ આંધીમાં તણખલું વંટોળે ચઢે એમ આપણે પણ દુન્યવી  વંટોળે ચઢીએ તો છીએ પણ પછી તણખલાંની જેમ પવનની સંગ લહેરાતા નથી આવડતું  અને આવી કંઇક વારસાગત સમસ્યાઓ લઈને જન્મ લેનારાં આપણે આપણને પણ મળી શકતાં નથી.  સડક પર ઝિબ્રા ક્રોસિંગ આવે ને જાય …  એમ સદીઓ વીતી જાય છતાંય માણસ જાતની ‘કદી’ એ પળ આવતી જ નથી કે  ‘ ટુ બી ઓર નૉટ ટુ બી’ માં અટવાયા વિના ખુદને મળી શકે.  ( ઑડિયો : નયનેશ જાની )

 

 

.

થવાનું હોય છે : મનહર મોદી

Thursday, May 13th, 2010

 

એક કે બે પળ થવાનું હોય છે,
ક્યાં પછી ઝળહળ થવાનું હોય છે ?

આંખમાં અકબંધ અજવાળું વસે,
સ્વપ્નને કાજળ થવાનું હોય છે.

શ્વાસ ને ઉચ્છ્‍વાસ રણમાં ઓગળે,
રેતને મૃગજળ થવાનું હોય છે.

ખૂબ અઘરું હોય છે અંદર જવું,
એકલા બળબળ થવાનું હોય છે.

આજ અથવા કાલ એકેએકને,
સાવ સૂનું સ્થળ થવાનું હોય છે.

- મનહર મોદી

 

સમસ્ત બ્રહ્માંડમાં અગર કશુંક શાશ્વત છે તો બસ નશ્વરતા.   સપના આંજેલી આંખને એ ખબર નથી હોતી કે,  રણની રેતમાં ઓગળેલો સૂરજ જ મૃગજળ બની તરસાવતો હોય છે.   પણ, આપણે જ ઊભી કરેલી ભૂલભૂલામણીઓ પસાર કરી એકલાં અંદર જઇ શકાય તો જ આ બ્રહ્મજ્ઞાન પામી શકાય.

 

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME