દોસ્તો, જમાનાને નવી ભાષાની પ્યાસ છે,
આ રૂઢ વાણી તો હવે જીભનો લિબાસ છે.
વ્હેવારનું જે ગદ્ય છે, જડબેસલાક છે,
ક્યાં પ્રેમનાય ગીતમાં એની મીઠાશ છે ?
છે વ્હેણ વાક્યોનું, ‘સમજ’ એમાં તણાય છે,
શબ્દોની હત્યા થાય છે, અર્થો હતાશ છે.
દુ:ખો અવિકારી વિશેષણ – શાં અહીં સતત,
આ આપણે તો આધિથી એ જ ઈતિહાસ છે.
સૌ સર્વનામો આગિયા જેવાં રહ્યાં સદા,
વિશેષ નામોનોય તે સુક્કો ઉજાસ છે.
સત્તાનું છે વ્યાકરણ સૌનું અલગ અલગ,
એનાં વિચિત્ર જોડણી સન્ધિ સમાસ છે.
આ વ્યાકરણને કોઈ તો બદલો ભલા હવે,
હે દોસ્ત ! એની યાતના એનો જ ત્રાસ છે.
- યોસેફ મૅકવાન
મિત્રો , હજુ હમણાં જ આપણે આં.રા. માતૃભાષાદિનની ઉજવણી કરી વૅબમહેફિલ પર અને હા…. ‘ગુજરાતી બચાવો’ રેલી પણ કાઢેલી આપણા જાણીતા સાહિત્યકારોએ. નવા જમાનાને નવી ભાષા કેવી જોઈએ ? બસ, ગદ્ય-પદ્ય, જોડણી, વિશેષણો, સર્વનામ, સંધિ, સમાસનું વ્યાકરણ તે જ ભાષા…. ના, એ તો આપણી જીભનો લિબાસ, શણગાર …… કે વાણીવિલાસ. ભાષા એ તો બે વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિનું એક માધ્યમ માત્ર. અને મૂંગા-બહેરાં પણ પોતાની સાંકેતિક ભાષામાં વિચારોની આપલે કરી લે છે ભલે તે હિન્દીભાષી હોય કે ગુજરાતીભાષી !! ને ત્યારે મૂંગામંતર બની જાય છે ગુજરાતી , હિન્દી, તમિલ, મરાઠી કે અંગ્રેજી માટે થતાં વિવાદો … !!
કવિને તો બસ પ્યાસ છે એક એવી નવી ભાષાની કે જે માત્ર સાંભળવામાં સુસંસ્કૃત નહીં પણ વ્યવહારમાં , વર્તનમાં પણ એટલી જ સુસંસ્કૃત હોય. …. !!
એક નમ્ર ખુલાસો : કવિ વ્યંગાત્મક રીતે ગદ્ય-પદ્ય, વિશેષણ, સર્વનામ, સંધિ, સમાસ, જોડણીનો ઉલ્લેખ કરી वचनेषु किम् दरिद्रताम् ? અર્થાત્ માત્ર બોલીને જ અટકી જાય તેવાં સમૃદ્ધ વાણીવૈભવ ધરાવતા મનુષ્યોને સુવાક્યોને બદલે સત્કર્મ કરવા ઇજન આપે છે. ‘મારું જીવન જ મારો સંદેશ’ કહી ગાંધીજીએ ‘સત્યનાં પ્રયોગો’ પુસ્તક માત્ર લખ્યું નથી પરંતુ સત્યનાં પ્રયોગો જીવ્યાં છે.
કવિ કહે છે, શબ્દોનાં વ્હેણમાં ‘સમજ’ હંમેશા તણાઈ જતી હોય છે અને આથી ‘અર્થો’ ડૂબી જતાં હોય છે હતાશાની ગર્તમાં….. આ તો વાત છે વ્યવહારની ભાષાની જે ગદ્યની જેમ જડબેસલાક છે અને હવે તો પ્રણયગીતમાં કાવ્યપ્રકારનાં વ્યવહાર પૂરતી પણ મીઠાશ નથી રહી. સુસંસ્કૃત ભાષા એટલે કે વિશેષણ, સમાસ કે સંધિયુક્ત શબ્દો – પણ હૃદય તો સુસંસ્કૃત વ્યવહાર અને વર્તનની ભાષા જ ઉકેલી શકશે. કવિને તો પ્યાસ છે બસ પ્રીતની ભાષાની જેમાં માત્ર વાણીવિલાસ નથી પણ કશુંક કરી છૂટવાની ઈચ્છા અને તૈયારી પણ છે.
.